________________
૩૮૬
ધન્ય ધરાઃ
સાધુમહારાજોએ જૈન સાધુસમાજમાં એક ક્રાંતિકારી પગલું ભર્યું અને એને લીધે શ્રી બૂટેરાયજી મહારાજ સંવેગી દીક્ષા ધારણ કરી જ્યારે પંજાબમાં પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો ખળભળાટ મચી ગયો, પરંતુ તેઓશ્રીના પ્રભાવથી પંજાબના વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ અને એમની સાથે ૧૮ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી, આમ, પંજાબી સાધુઓનો ગુજરાત પર મોટો ઉપકાર થયો.
પૂજ્યશ્રીએ સંઘની વારંવાર વિનંતી હોવા છતાં આચાર્યની પદવી લેવાની ના પાડી હતી. જીવનભર ગણિ જ રહ્યા. તેમ છતાં, તેઓશ્રીની તપશ્ચર્યા ઉગ્ર જ રહી; શાસનપ્રભાવના અત્યંત પ્રભાવશાળી જ રહી.
પૂ. શ્રી મૂળચંદજી મહારાજે અમદાવાદ, પાલિતાણા આદિ સ્થળોમાં યતિઓ-શ્રીપૂજ્યોનું જોર હતું તે તોડી નાખ્યું. તેમને વંદન કરવાનું, તેમના સામૈયામાં જવાનું, તેમની પાસેથી પદવી લેવાનું બંધ કર્યું. તેમના સ્થાપનાચાર્ય ઉપર છેવટે રૂમાલ ઓઢાડવાનું પણ ન સ્વીકાર્યું. પાલિતાણામાં તો યતિઓનું એટલું બધું જોર હતું કે સાધુઓ પાલિતાણામાં આવી, છાનામાના યાત્રા કરીને ચાલ્યા જતા. એવે સમયે શ્રી મૂળચંદજી મહારાજે દર્શનવિજયજી મહારાજને ચાતુર્માસ માટે પાલિતાણા મોકલ્યા. શ્રી દર્શનવિજયજી મહારાજ વાદમાં અને પ્રવચનમાં એટલા પારંગત હતા કે યુવાનવર્ગ યતિઓ પાસે જવાને બદલે એમની પાસે જવા માંડ્યો. યતિઓનું જોર ઓછું થયું. તે પછી ખુદ મૂળચંદજી મહારાજે જ પાલિતાણામાં પધારીને ભક્તિસંગીત તેમ જ વિવિધ રાગરાગિણીમાં પૂજા ભણાવવાનો પ્રચાર કરીને લોકોના દિલ જીતી લીધાં..
પ્રખર ચારિત્રપાલક સાધુભગવંત મૂળચંદજી મહારાજ સં. ૧૯૪૪નું ચોમાસું પાલિતાણામાં, ગિરિરાજ શત્રુંજયની છાયામાં, વિતાવતા હતા ત્યારે તેઓશ્રીની તબિયત બગડી. શિષ્ય પરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૃદ્ધિચંદજી મહારાજ ખડે પગે વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં. ૧૯૪૫ના માગશર સુદ ૬ને દિવસે બપોરે ૩-૩૦ કલાકે પ૯ વર્ષની વયે પૂજ્યશ્રીએ દેહ છોડ્યો. ભાવનગરના સંધે દાદાસાહેબના પ્રાંગણમાં તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો અને ત્યાં જ આ મહાન પ્રભાવકનું સમાધિમંદિર બંધાવ્યું.
સદ્ગુણોથી શોભતા સમર્થ શાસનરત્ન પૂ. મુનિરાજશ્રી વૃદ્ધિવિજ્યજી
(વૃદ્ધિચંદજી) મહારાજ ગઈ કાલના તેમ જ આજના કેટલાય પ્રખર આચાર્યો તેમ જ મુનિવરોનું ગુરુપદ શોભાવનાર પરમ પ્રતાપી શ્રી વૃદ્ધિચંદજી મહારાજ તેમની ક્રિયા-તત્પરતા, શાંતિપ્રિયતા અને નિરાભિમાનીપણાને લીધે જૈનશાસનમાં જાણીતા છે.
તેઓશ્રીનો જન્મ પંજાબમાં લાહોર જિલ્લામાં રામનગર શહેરમાં વિ. સં. ૧૮૯૦ના પોષ સુદ ૧૧ને દિવસે થયો હતો. પિતાનું નામ ધર્મજશ અને માતાનું નામ કૃષ્ણાદેવી હતું. તેમનું પોતાનું સંસારીનામ કૃપારામ હતું. જ્ઞાતિએ ઓસવાલ હતા. કૃપારામ ગામઠી નિશાળે અભ્યાસ કરી ચૌદ વર્ષની ઉંમરે દુકાને બેઠા. એ સમયે પંજાબમાં ઢંઢક મતનું પ્રાબલ્ય હતું. ધર્મવૃત્તિવાળા કૃપારામ પણ તે મતની ક્રિયાઓ કરવા લાગ્યા. દરમિયાન કૃપારામનું વેવિશાળ કરવામાં આવ્યું હતું પણ કોઈ કારણસર તે તૂટ્યું. બીજે ઠેકાણે વાત ચાલતી હતી, પણ તે મુલતવી રહી. આ વખતે સં. ૧૯૦૩માં પૂ. બૂટેરાયજી મહારાજે મુનિ મૂળચંદજી તથા શ્રી પ્રેમચંદજી સાથે ઢંઢક મતનો ત્યાગ કર્યો. કૃપારામમાં વૈરાગ્યભાવના જાગી. સં. ૧૯૦૫માં દીક્ષા લેવાનો વિચાર કર્યો, પણ તે પાર પડ્યો નહીં, પરંતુ બૂટેરાયજી મહારાજે સં. ૧૯૦૮માં અષાઢ સુદ ૧૩ને દિવસે દિલ્હીમાં દીક્ષા આપી તેમને શ્રી વૃદ્ધિચંદજી નામે ઘોષિત કર્યા.
શ્રી વૃદ્ધિચંદજી મહારાજે દીક્ષા ગ્રહણ કરીને અભ્યાસ અને ભક્તિમાં ખૂબ ધ્યાન આપ્યું. પછી તેઓ ગુજરાતમાં આવ્યા. અહીં તેઓશ્રીની પુણ્યપ્રતિભા ખૂબ વિસ્તરી. સં. ૧૯૧૨માં અમદાવાદમાં શ્રી બૂટેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજની વડી દીક્ષા પં. શ્રી મણિવિજયજી દાદા પાસે થઈ. શ્રી વૃદ્ધિચંદજીનું નામ મુનિશ્રી વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રીએ ગ્રામાનુગ્રામ વિહાર કરીને ધર્મોપદેશ આપવા માંડ્યો, તેમ જ શાસનહિત માટે અનેક કાર્યો કરવા માંડ્યા. તેમની વાણી અતીવ મધુર અને પ્રભાવી હતી. વળી તેઓશ્રી એટલા નમ્ર હતા કે કોઈની સામે સહેજ પણ કડક વલણ દાખવતા નહીં. શ્રી બૂટેરાયજી મહારાજના સ્વર્ગવાસ પછી શ્રી મૂળચંદજી મહારાજ, કે જેઓ તેમના ગુરુભાઈ હતા તેમને વડીલ માન્યા અને તેમના ભક્તિવિનયમાં પોતાની મહત્તા સમજી. શત્રુંજય અંગેની લડતમાં તેઓશ્રીએ આગવું કાર્ય કર્યું.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org