________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ગુરાલના સાંસ્કૃતિક વિકાસમાં જૈનોનું પ્રદાન
૩૦૦
જૈનધર્મ કેવળ સાધુઓનો જ ધર્મ નહોતો, ચંદ્રગુપ્ત મૌર્યે સ્વીકારેલ જૈન ધર્મ રાજસભાઓ સુધી વિસ્તરેલો હતો. જૈનધર્મ એક સમયે ગુજરાતનો રાજધર્મ ગણાતો. જૈનો એ ગુજરાતની શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ, ઉદાર, દાનવીર અને શાંતિપ્રિય પ્રજા છે. એ લડાઈ, ઝઘડા, ટંટા, ફિસાદ, તોફાન, મારામારી વગેરેથી દૂર રહીને વ્યાપાર-ઉદ્યોગ દ્વારા દ્રવ્યોપાર્જન કરે છે. કેટલાંક લોકો માને છે કે જૈનો દેરાસરો, ઉપાશ્રયો, પ્રતિષ્ઠા અને દીક્ષા-મહોત્સવોમાં જ પૈસા ખર્ચે છે, પરંતુ એ માન્યતા બરાબર નથી. જૈનો ધાર્મિક ઉપરાંત બીજાં અનેક સમાજોપયોગી અને રાષ્ટ્રોપયોગી કાર્યોમાં પૈસા વાપરે છે. વિવિધ ક્ષેત્રોમાં એમનો ફાળો મહત્ત્વનો છે. ખાસ કરીને ભૂતકાળમાં જૈન ગ્રંથોની પોથીઓ સુંદર ચિત્રકલાથી સુશોભિત કરવામાં આવતી હતી. લલિતકળાને ક્ષેત્રે ભારતમાં જૈનોનું આગવું પ્રદાન રહ્યું છે. પ્રેમ અને ભક્તિયુક્ત રાજસ્થાની ચિત્રકલા અનુપમ અને ચિત્તાકર્ષક છે. કલાને ક્ષેત્રે જૈનોની આગવી દેણ છે. ધર્મ અને કલાનો અદ્ભુત સમન્વય સાધી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર પૂ.આ.શ્રી વિજયયશોદેવસૂરિજી મ., જેમણે ભગવાન મહાવીરના રંગીન ચિત્રસંપુટની ઉમદા ભેટ આપણને આપી, ઉપરાંત મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીરચિત ૨૧ ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરાવી શાસનની મહત્તમ સેવા કરી છે.
—ડૉ. મુગટલાલ બાવીસી
જૈન સાહિત્યનો વ્યાપ ઘણો મોટો છે. સાહિત્યને ઉત્તેજન આપવા જૈન સમાજે બનતું બધું જ કર્યું. પાઠશાળાઓ બનાવી, પુસ્તકો લહિયાઓ પાસે તૈયાર કરાવ્યાં, સાક્ષરો અને વિદ્વાનોનું બહુમાન કર્યું. કલાકારોને પણ અર્હત સમાશ્રય આપીને ઘણું મોટું પાયાનું કામ કર્યું અને તેથી જ સોમપુરા શિલ્પીઓએ મંદિરોનાં રૂપરંગ અને સજાવટમાં દિલ દઈને કામ કર્યું. હસ્તલેખનની કળાને પણ જૈનોએ પરિપાલિત કરી.
Jain Education Intemational
વિવિધક્ષેત્રમાં જૈનોના આગવા પ્રદાનનો પરિચય કરાવે છે ડૉ. મુગટલાલ પી. બાવીશી. સુરેન્દ્રનગરના લીંબડી ગામે તા. ૨૪મી એપ્રિલ ૧૯૩૫માં તેમનો જન્મ થયો. ઉચ્ચશિક્ષણ મેળવી વિવિધ આર્ટ્સ કોલેજમાં ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે સેવા આપી. ‘લીંબડી રાજ્યનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ' વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની Ph.D.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ડૉ. બાવીશીના ‘અર્વાચીન યુરોપની મહાન પ્રતિભાઓ' અને ગુજરાતના ઇતિહાસને લગતી વંશાવળીઓ નામનાં બે પુસ્તકો પ્રગટ થયાં. ઝાલાવાડ જૈન મિત્રમંડળ સુરત તરફથી જૂન ૧૯૮૫માં પ્રગટ થયેલ ડિરેક્ટરીનું તેમણે સંપાદન કરેલું. આ સિવાય તેમનાં ઘણાં પ્રકાશનો વિવિધ વિષયો ઉપરનાં છે, જે સારો આવકાર પામ્યાં છે. સારી અસરકારક વક્તૃત્વ શક્તિ ધરાવે છે. ઇતિહાસ અને સાહિત્યને લગતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ૧૯૭૬થી ૧૯૮૪ સુધી ગુજરાત ઇતિહાસ પરિષદના મંત્રી તરીકેની યશસ્વી કામગીરી બજાવી. ઓલ ઇન્ડિયા હિસ્ટ્રી કોંગ્રેસના સભ્ય અને ગુજરાતી સાહિત્ય પરિષદના આજીવન સભ્ય છે. ઝાલાવાડ જૈન મિત્ર મંડળ, સુરતના સહમંત્રી તરીકે પણ કામગીરી કરી. લીંબડી કેળવણી મંડળ, નર્મદ સાહિત્યસભા સુરતના આજીવન સભ્ય છે.
વાચન, ચિંતન, સંશોધન, લેખન, અધ્યયન અને અધ્યાપન એ એમની પ્રિય પ્રવૃત્તિઓ છે. મૌલિક પ્રવૃત્તિઓમાં પણ એટલે જ રસ ધરાવે છે. આ ગ્રંથ શ્રેણીના પણ હંમેશાં શુભેચ્છક રહ્યા છે. ધન્યવાદ.
—સંપાદક.
For Private & Personal Use Only
www.jainelibrary.org