________________
શાશ્વત સૌરભ ભાગ-૧
વિજયપ્રભસૂરિનું ચરિત ‘દિગ્વિજય મહાકાવ્ય' (૧૩ સર્ગો)માં આલેખ્યું છે. પ્રાસંગિકરૂપે તેમના ગુરુ વિજયસિંહસૂરિ અને પ્રગુરુ વિજયદેવસૂરિનું ચરિત વર્ણવ્યું છે. વિજયદેવસૂરિએ વિમલગિરિ સંઘ કાઢ્યો હતો. વિજયપ્રભસૂરિએ ઘોઘોમા અર્હત્ પ્રતિમાઓની પ્રતિષ્ઠા સં. ૧૭૨૩ (ઈ.સ. ૧૬૬૬-૬૭)માં કરી. એમણે જે જે ગામો અને નગરોમાં વિહાર કરેલા તેના વર્ણન દ્વારા ભૌગોલિક માહિતી મળે છે. ઉદયપુર, શંખેશ્વર, સિરોહી, આગરા, બનારસ, પટના, સમેતશિખર વગેરે મોટાં સ્થળોનું વર્ણન કરેલું છે.
પ્રમોદમાણિક્યના શિષ્ય જયસોમ ઉપાધ્યાયે સં. ૧૬૫૦ (ઈ.સ. ૧૫૯૪)માં ‘કર્મચંદ્રવંશાવલીપ્રબંધ' રચ્યો. મંત્રી કર્મચંદ્ર બીકાનેરનો ઓસવાળ વણિક હતો. એનું કુટુંબ રાજસ્થાનનાં રાજકુળોમાં અને મુઘલ દરબારમાં સારો પ્રભાવ ધરાવતું. અકબરના ગાઢ સંપર્કમાં એ આવેલો. ખરતર ગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિનો એણે અકબર સાથે પરિચય કરાવ્યો. આ ગ્રંથ ગુજરાત અને રાજસ્થાનના રાજકીય અને ધાર્મિક ઇતિહાસની ઘણી સામગ્રી પૂરી પાડે છે.
મુઘલકાલના ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી અકબરના રાજ્યમાન્ય ઝવેરીઓમાંના એક હતા. ભારતનાં ઘણાં વેપારી–કેન્દ્રોમાં એમની પેઢીઓ ચાલતી હતી. જહાંગીરે એમને અમદાવાદના નગરશેઠનું પદ વંશપરંપરાગત આપ્યું હતું. શાંતિદાસે સં. ૧૬૭૮(ઈ.સ. ૧૬૨૨)માં અમદાવાદના બીબીપુર–સરસપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. એનો પ્રતિષ્ઠામહોત્સવ સં. ૧૬૮૨ (ઈ.સ. ૧૬૨૬)માં મુક્તિસાગર ગણિના હસ્તે થયો હતો, જેઓ આચાર્યપદ પ્રાપ્તિ પછી રાજસાગરસૂરિ તરીકે ઓળખાયા. આ ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરની સંસ્કૃત સાહિત્યિક પ્રશસ્તિ સં. ૧૬૯૭ (ઈ.સ. ૧૬૪૦-૪૧)માં રચાઈ હતી. એમાં શાંતિદાસના પૂર્વજોની વંશાવલી અને કુટુંબ વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરની પ્રશસ્તિ પણ સુંદર રીતે કરવામાં આવી છે. આ પ્રશસ્તિમાંથી અમદાવાદના સ્થાનિક ઇતિહાસ વિશે ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય છે.
ગુજરાત અને રાજસ્થાનમાં રચાયેલા વિજ્ઞપ્તિપત્રો એ મુઘલકાલના ઇતિહાસનું એક મહત્ત્વનું સાધન છે. આવા વિજ્ઞપ્તિપત્રો બે પ્રકારના હોય છે ઃ ૧. સાધુ શિષ્ય પોતાના ગુરુ કે આચાર્યને કાવ્યરૂપે વિજ્ઞપ્તિલેખ લખે, ૨. નગરનો જૈન સંઘ બીજા સ્થળે નિવાસ કરતા આચાર્યને પોતાના નગરમાં ચાતુર્માસ
Jain Education International
૩૪૯
કરવાનો વિજ્ઞપ્તિપત્ર લખે. આ પ્રકારના વિજ્ઞપ્તિપત્રો સંસ્કૃત, ગુજરાતી કાવ્યમાં કે અલંકૃત ગદ્યમાં રચાયેલા હોય છે. સંઘ તરફથી રચાયેલા વિજ્ઞપ્તિપત્રો સચિત્ર હોય છે. એમાં જ્યાંથી એ પત્ર લખાયો હોય તે નગરનાં મહત્ત્વનાં સ્થાનો, રાજમાર્ગો, મંદિરો, બજારો વગેરેનાં ચિત્રો હોય છે. સ્થાનિક ઇતિહાસ, મહાજનો, વિવિધ પ્રકારની કારીગરી, ધાર્મિક સામાજિક રિવાજો, ચિત્રકલા, ભાષા ને સાહિત્ય એમ વિવિધ દૃષ્ટિએ વિજ્ઞપ્તિપત્રો મહત્ત્વના છે.
વિજ્ઞપ્તિપત્રોનો સહુથી જૂનો નમૂનો પાટણના ગ્રંથ ભંડારમાંનું એક તાડપત્રનું પાનું છે. ૧૩મી સદીમાં કાદંબરીના ગદ્ય જેવા અલંકૃત ગદ્યમાં લખેલ છે. વડઉદ(વડોદરા)થી પ્રભાચંદ્રગણિ નામે સાધુએ ચંદ્રકુલના આચાર્ય ભાનુપ્રભસૂરિ ઉપર લખેલ પત્ર છે.
‘વિજ્ઞપ્તિત્રિવેણી’ (સં. ૧૪૮૪-ઈ.સ. ૧૪૨૮) ગ્રંથમાં ત્રણ ખંડમાં રચાયેલ સંસ્કૃત વિજ્ઞપ્તિપત્ર પ્રસિદ્ધ થયેલ છે. સિંધના મલિક–વાહણ નામના સ્થળેથી જયસાગર ઉપાધ્યાયે પોતાની વિહારયાત્રાનું કાવ્યમય અને વિગતપૂર્ણ નિવેદન પાટણમાં વિરાજમાન ખરતર ગચ્છના આચાર્ય જિનભદ્રસૂરિને મોકલેલું. તપાગચ્છના આચાર્ય દેવસુંદરસૂરિએ ૧૦૮ હાથ જેટલા લાંબા અને ચિત્રકાવ્યોથી સુશોભિત ‘ત્રિદશતરંગિણીવિજ્ઞપ્તિ' નામના વિજ્ઞપ્તિપત્રની રચના કરેલી. મુનિ સુંદરસૂરિએ ‘ગુર્વાવલી’ (સં. ૧૪૯૬-ઈ.સ. ૧૪૪૦) રચી. એ ઉપર્યુક્ત વિજ્ઞપ્તિપત્રનો એક અંશ છે.
મુનિ લાભવિજયે દેવાસ(માળવા)થી પાટણમાં વિજયપ્રભસૂરિ ઉપર સંસ્કૃત કાવ્યમાં સચિત્ર વિજ્ઞપ્તિપત્ર સં. ૧૭૧૮ (ઈ.સ. ૧૬૬૨)માં લખ્યું હતું. હીરવિજયસૂરિના શિષ્ય મહોદય કીર્તિવિજયગણિએ વિદ્યાપુર (વિજાપુર)થી સં. ૧૬૭૨ (ઈ.સ. ૧૬૧૫-૧૬)માં ઇલદુર્ગ(ઈડર)માં ચાતુર્માસ કરી રહેલા આચાર્ય વિજયસેનસૂરિ ઉપર સંસ્કૃત વિજ્ઞપ્તિપત્ર લખ્યો હતો.
મરાઠા કાલ
મરાઠા કાલ દરમિયાન સંસ્કૃત ભાષામાં ઘણું ઓછું સાહિત્ય રચાયું છે. સંસ્કૃત સાહિત્યની જે કૃતિઓની માહિતી ઉપલબ્ધ છે તેના પરથી જણાય છે કે મોટા ભાગની કૃતિઓ જૈન લેખકોની છે, જેમાં પ્રકરણગ્રંથો મળે છે ઉપરાંત ન્યાય, વ્યાકરણ, પટ્ટાવલી ચરિત્ર અને રાજવંશાવલી જેવા વિષયોનો સમાવેશ થાય
For Private & Personal Use Only
www.jainelibrary.org