SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પથપ્રદર્શક ગુાતળા બંબૂસેવી ભજનિકો – ડૉ. નિરંજન રાજ્યગુરુ આપણું ભક્તિસંગીત ધર્મ અને અધ્યાત્મસાધના સાથે જોડાયેલું છે. પ્રાચીનકાળથી ધર્મ-સંપ્રદાયો અને તેનાં મંદિરો આપણી મોટાભાગની લલિતકલાઓનાં ઉદ્ભવસ્થાન હતાં. ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય અને સંગીત જેવી કલાઓ ધર્મના આશ્રયે જ પાંગરી અને ફાલીફૂલી છે. ગિરનાર, પ્રભાસ-સોમનાથ, દ્વારકા, શત્રુંજય, પાવાગઢ, અંબાજી વગેરે તીર્થો માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતવર્ષના આદિ તીર્થધામો તરીકે જાણીતાં સ્થળો છે, ગુજરાતના ભક્તિસંગીતનો ફેલાવો કરવામાં આ તીર્થો અને તરણેતર, ભવનાથ કે માધવપુરના મેળા જેવા લોકમેળાઓએ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. શૈવ, શાકત, વૈષ્ણવ, જૈન, ઇસ્લામ અને નાના-મોટા અનેક ધર્મ-પંથ-સંપ્રદાયોનાં તીર્થસ્થળો ગુજરાતમાં આવેલાં હોઈ ભારતના અન્ય પ્રદેશના યાત્રાળુઓ-સાધકો-સિદ્ધપુરૂષો અને ભજનિકોની વણઝાર કાયમ ચાલુ રહે અને પોતપોતાનાં ભાષા, બોલી, સાહિત્ય, સંગીત, અન્ય કલાઓ અને ધર્મસંસ્કારોની વિવિધ પરંપરાઓની સરવાણી અહીં વહેવડાવતા રહે. પ્રાચીનકાળથી જ સૌરાષ્ટ્રનો વ્યાપારસંબંધ દરિયાપારના અનેક દેશો સાથે જોડાયેલો હોઈ જુદા જુદા અનેક દેશ-વિદેશોના સંગીત સંસ્કારોનું પણ આદાનપ્રદાન થતું રહે. આ રીતે આપણું ભક્તિસંગીત અનેક પરિમાણોની વિશિષ્ટતાઓ ધરાવે છે. આપણી ગુજરાતી ભાષાના ઉદ્દભવથી જ આપણે ત્યાં કેટલાક એવા સાહિત્યસર્જકોનો જન્મ થયેલો જેઓ માત્ર કવિ જ નહોતા પણ વાગેયકાર હતા. કાવ્યના સર્જનની સાથોસાથ તેઓ પોતાની રચનાને સંગીતના માધ્યમ સાથે લોકસમુદાયમાં રજૂ કરતા. ગીત અને સંગીત એમને મન અભિન્ન વસ્તુ હતી. આપણા આદિ કવિ મનાતા નરસિંહ મહેતાથી શરૂ કરીને આજ સુધીના લગભગ તમામ સંત અને ભક્ત કવિઓ ભજનિકો હતા. નરસિંહ કરતાલ લઈને અંત્યજોને ત્યાં કીર્તન ગાવા જાય કે મીરાં પગે ઘુંઘર બાંધીને હાથમાં એકતારો લઈને પદો ગાતાં હોય. એ પરંપરામાં થયેલા સૌ અધ્યાત્મદર્શી લોકભજનિકોએ લોક-સંગીતમાંથી જ ભક્તિસંગીતનું સર્જન અને સંમાર્જન કર્યું છે. ગામડે ગામડે ભજનમંડળીઓના સ્વરો લહેરાતા હોય, રાસમંડળીના તાલે જન સમસ્તના હૈયાં હિલોળા લેતાં હોય એવાં દૃશ્યો આજે વિલુપ્ત થઈ રહ્યાં છે, પરંતુ થોડા સમય પહેલાં ગામડે ગામડે ભજનમંડળીઓ દ્વારા ભજનગાન થતું. આ ભજનગાન સમૂહગાન રૂપે જળવાતું. ધીરેધીરે એમાં ઘણું પરિવર્તન આવ્યું. અત્યારે તો ભજનને એક વ્યવસાય તરીકે સ્વીકારીને મનોરંજનના માધ્યમ તરીકે ભજન કે ભક્તિસંગીતનો ઉપયોગ કરનારા ધંધાદારી કલાકારો પેદા થવા માંડ્યા છે, ત્યારે આપણા ગુજરાતમાં ભક્તિસંગીત કે લોકસંગીતને પોતાની આગવી પ્રતિભા વડે નવું જ વિશિષ્ટ પરિમાણ બક્યું હોય અને છતાં ભજનના મૂળ ભાવ, શબ્દો, સ્વર, તાલ, રાગ, ઢાળ, લયની પરંપરાને જાળવી રાખી હોય તેવા તથા અર્વાચીન રંગે રંગાયેલા નવી પેઢીના ભજનિકો-લોકગાયકોને યાદ કરવાનો ઉપક્રમ આ પરિચય લેખમાં છે. આવા જૂની પેઢીના લોકગાયકો કે ભજનિકો વિશે કોઈ સળંગ સીલસીલાબંધ ઇતિહાસ કદી યે નહીં સાંપડે. કાળની ગર્તામાં વિલિન થઈ ગયેલા એ લોક સંસ્કૃતિના કલાધરો પોતાના શબ્દ અને સૂરનો વારસો ભવિષ્યની પેઢીઓ માટે સોંપતા ગયા છે. એ ઉપલબ્ધિ પણ નાનીસૂની નથી. આવા લોકભજનિકો કે ગાયક કલાકારોના જીવન વિશે, એમની પ્રકૃતિ કે પ્રવૃતિ વિશે પ્રમાણભૂત કહી શકાય તેવી વિગતો નથી મળતી. હા, કેટલાક જૂની પેઢીના જાણકારોને એમના વિશે માહિતી હોય ખરી પણ કોઈ ગ્રંથમાં, પુસ્તક-પુસ્તિકામાં, પત્રિકા-સામયિકમાં એમના વિશે પરિચયાત્મક રીતે નથી લખાયું. અને ક્યાંક લખાયું હશે તો તે આપણી નજરે નથી ચડતું. અહીં તો થોડીક નામાવલિ અને યાદી તથા જે હકીકતો સાંપડી છે તેની આછેરી ઝલકનો પ્રયાસ છે. જેથી ભવિષ્યના કોઈ સંશોધકો દ્વારા એમના વિશે પ્રમાણભૂત સંશોધનકાર્ય હાથ ધરી શકાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy