________________
સ્વપ્ન શિલ્પીઓ
૬૪૯
અખિલાઈ અકબંધ : પરિચય શૃંખલા
(વિવિધ ક્ષેત્રના પ્રતિભાઓના પ્રેરક પરિચયો)
–નટવર આહલપરા
શિક્ષણ અને સાહિત્ય માનવસંસ્કૃતિનાં સંવર્ધકો રહ્યાં છે. જ્ઞાનવિજ્ઞાનની જ્યોતને અખંડ પ્રજ્વલિત રાખનારાં આ ક્ષેત્રોમાં પ્રેરણાદાયી પ્રતિભાઓ જન્મતી રહી છે. જેમ લોકકલાકારોએ પદ-ભજન અને કથાવારતાઓ દ્વારા પ્રજાજીવનની સંસ્કારવેલને સીચી છે, તેમ પ્રાચીન ઋષિમુનિઓથી માંડીને આજના શિક્ષણશાસ્ત્રીઓએ સમાજને ઉત્તમ કેળવણી પ્રાપ્ત થાય તે માટે જીવનભર સાધના કરી છે.
સાંસ્કૃતિક વિકાસ સાથે માનવજીવન અનેકાનેક ક્ષેત્રોમાં વિસ્તરતું રહ્યું છે. એમાં ભૂસ્તરીયથી માંડીને અવકાશ સંશોધનો થતાં રહ્યાં છે. શરીરવિજ્ઞાનથી માંડીને યંત્રવિજ્ઞાનની અનેક શાખાઓ વિકસી છે. જેમ અગ્નિની, પૈડાની કે ખેતીની શોધથી માનવી અજબગજબની જીવનશૈલી અખત્યાર કરી શક્યો, તેમ આજે કયૂટરની શોધથી દરેક ક્ષેત્રમાં ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયો એનું આશ્ચર્ય થયા વગર રહેતું નથી. વૈજ્ઞાનિક સંશોધનોએ બ્રહ્માંડને એકદમ પારદર્શી અને નિકટવર્તી કરી નાખ્યું . છે. કહેવાની જરૂર નથી કે આજના શિક્ષણતંત્રે આ સર્વ ઉપલબ્ધિઓને આત્મસાત્ કરવાની રહે છે. એ માટે સતત પ્રવૃત્ત રહેતા મહાનુભાવો આજે સમાજની સર્વશ્રેષ્ઠ સેવા કરી રહ્યા છે.
બીજી બાજુ, વિશ્વયુદ્ધોનો ડૂમો અને આતંકનો ઓથાર માનવને સુખચેનથી રહેવા દેતો નથી. કુદરતી આપત્તિઓ કે માનવસર્જિત આપત્તિઓમાં માનવમનને શાતા આપનાર એક માત્ર સાધન છે કલા. સાહિત્ય-સંગીત-નૃત્ય-ચિત્ર આદિ કલાઓ રોજિંદા જીવનને આનંદસમાધિમાં લઈ જનારા પદાર્થો છે. કલાની ભવ્ય પરંપરાઓને જીવંત રાખનારા કલાકારો પણ સમાજની સેવા કરે છે એમ કહી શકાય.
જાણીતા વાર્તાલેખક, નિબંધકાર, કવિ, વિવેચક, શિક્ષક, ઉદ્ઘોષક એવા શ્રી નટવર આહલપરા પોતાની વ્યસ્તતા વચ્ચેય ઉદ્યોગકારોને અને પ્રતિભાસંપન્ન એવા શ્રેષ્ઠીઓને અનેકવાર કલાકો સુધી મળ્યા. એમના જીવનની અંતરંગ વાતોને જાણી, માણી અને પછી આ લેખમાળામાં ઉતારી છે. પરિચયો વાચકો, યુવાનો, યુવતીઓ અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરક બની રહેશે. પરિચયકારશ્રી આહલપરા સાંસ્કૃતિક આયોજનોમાં હંમેશાં આગળ રહ્યા છે. શ્રી નટવરભાઈને માતા નર્મદાબહેન અને પિતા પુરુષોત્તમભાઈ પાસેથી કલા, સંસ્કાર, પુરુષાર્થ જેવા ગુણો મળ્યા છે. તેમનું વ્યક્તિત્વ એક સ્વસ્થ સંવેદનશીલ અધ્યાપકના જેવું લાગે છે, તેઓ શબ્દલોકમાં આસાનીથી વિહરી શકે છે. લઘુકથા, ટૂંકીવાર્તાઓ, કાવ્યો અને નિબંધ જેવાં સ્વરૂપોનું સર્જન કરવાનો આનંદ તેઓ માણી શકે છે. ધન્યવાદ.
- સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org