________________
શ્રાવિકા કથા
ત્યારે સુલસા શ્રાવિકાએ કહ્યું, હું આપને હમણાં જ આ તેલ આપું છું મારે માટે જ મેં તે તેલ તૈયાર કરેલ છે, તે પ્રાસુક અને નિર્દોષ છે. આપને કલ્પે તેમ છે. હજી તેણી તેલ લઈને બહાર આવવા ગઈ ત્યાં તેલની કૂપક (શીશો) પડીને ભાંગી ગયો, કંઈ પણ ગ્લાનિરહિત સુલસા ફરી બીજી તેલની કૂપક લેવા નીકળી. પરંતુ તે પણ ભાંગી ગઈ. ત્યારે સાધુને વહોરાવવાના ભક્તિભાવથી તેણી ત્રીજી કૂપક લેવા ગઈ. તે પણ પડીને ભાંગી ગઈ. પોતાના માટે પુત્ર પ્રાપ્તિ અર્થે તૈયાર કરેલ એ ત્રણ લાખ સુવર્ણ મુદ્રાથી પકાવાયેલ – તૈયાર કરવાયેલ બધું જ તેલ ઢોળાઈ ગયું.
-
૩૦૫
ત્યારે પણ સુલસાને આવું મહામૂલ્ય તેલ ઢોળાઈ જવાની કિંચિંતુ પણ ગ્લાનિ ન થઈ, પરંતુ સાધુ ભગવંતને ખપ હતો તેવી વસ્તુ ઘરમાં હોવા છતાં આપી ન શકી તે વાતે અત્યંત વ્યથિત થઈ ગઈ. તેણીની આંખમાં દુઃખ અને શોકથી અશ્રુ આવી ગયા કે અરેરે ! આજે હું ગ્લાન સાધુની સેવાના લાભથી વંચિત રહી.
ત્યારે તે દેવે સુલસાના સમ્યકત્વથી પ્રભાવિત થઈ પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું અને પરમ હર્ષિત થઈને વિધિપૂર્વક તેણે સુલસાને બત્રીશ ગુટિકા આપીને કહ્યું કે, હે શ્રાવિકા ! તું અનુક્રમે આ બત્રીશ ગુટિકા ખાજે. તને ક્રમે ક્રમે એક–એક એવા બત્રીશ પુત્રોની પ્રાપ્તિ થશે. તેમ છતાં પણ જો તારે કંઈ પ્રયોજન રહે તો તું મને યાદ કરજે. મારું સ્મરણ કરીશ ત્યારે હું હાજર થઈ જઈશ. એમ કહીને સુલસાના સમ્યક્ત્વની પરીક્ષા કરવા આવેલો દેવ તેણીથી સંતુષ્ટ થઈને ત્યાંથી ગયો.
સુલસાને તે વખતે એવો સંકલ્પ ઉત્પન્ન થયો કે કેટલા કાળ સુધી હું બાળકરૂપ અશુચિનું મર્દન કરીશ. તેના કરતા (આ બત્રીશ પુત્રો) કરતા મને એક જ પુત્ર થાય કે જે સર્વગુણ સંપન્ન હોય અને બત્રીશ લક્ષણોથી યુક્ત હોય તો વધારે સારું. આ પ્રમાણે વિચારીને સુલસા એકી સાથે બત્રીશે ગુટિકા ખાઈ ગઈ. પણ દૈવ યોગે તેના ગર્ભમાં એક સાથે બત્રીશ પુત્રો ઉત્પન્ન થયા. તેનું ઉદર અતીવ–અતીવ વધવા લાગ્યું. તેને સખત પીડા થવા લાગી.
તે વખતે અત્યંત વ્યથિત થઈને તેણીએ અધૃતિપૂર્વક કાયોત્સર્ગ કર્યો અને તે દેવનું સ્મરણ કર્યું. ત્યારે દેવે આવીને પૂછ્યું કે, મને કેમ યાદ કર્યો. ત્યારે સુલસાએ પોતાના મનોગત સંકલ્પને જણાવતા કહ્યું કે, મેં બત્રીશ લક્ષણયુક્ત એક જ પુત્ર થાય તેવા આશયથી બધી ગુટિકા સાથે ખાઈ લીધી છે. હવે મારા ઉદરમાં ઘણી જ પીડા થઈ રહી છે. ત્યારે તે દેવે કીધું કે, તેં ઘણું જ ખોટું કર્યું છે. હવે આ બધાં પુત્રો સમાન આયુષ્યવાળા થશે, બત્રીશે બત્રીશ પુત્રો એક સાથે મરણ પામશે. દેવ તેણીની અશાતાને ઉપશમિત કરીને ગયો.
પ્રસવકાળે તેણીને બત્રીશ પુત્રો જન્મ્યા. શ્રેણિકની સદેશ વયવાળા આ બધાં પુત્રો મોટા થવા લાગ્યા. તેઓ બધાં એકબીજાથી અવિરહિતપણે રહેતા હતા. આ બધાં સુલસાપુત્રો દેવદત્તા પુત્રો રૂપે ખ્યાતિ પામ્યા. પૂર્વે જણાવ્યા પ્રમાણે શ્રેણિક જ્યારે ચેલણાને ભગાડીને લાવતો હતો ત્યારે તેનું રક્ષણ કરવામાં સારથી કે સુભટરૂપે એવા આ બત્રીશે સુલસા પુત્રો એક જ સાથે મૃત્યુ પામ્યા.
Jain international
For Private & Personal Use Only
www.jainelibrary.org