________________
૭૨
આગમ કથાનુયોગ-૨
દ્વાર હતું, ત્યાં આવે છે. આવીને પોતાના આભિષેક્ય હસ્તિરત્નને ઊભો રાખ્યો. રાખીને આભિષેક હસ્તિરત્નથી નીચે ઉતર્યો. ઉતરીને ૧૬,૦૦૦ દેવોનું સત્કા–સન્માન કર્યું. સત્કાર-સન્માન કરીને ૩૨,૦૦૦ રાજાઓનું સત્કાર–સન્માન કર્યું. કરીને સેનાપતિરત્નનું સત્કાર–સન્માન કર્યું. કરીને એ જ પ્રમાણે – ગૃહપતિરત્ન, વર્ધકિરન, પુરોહિતરત્નના સત્કાર-સન્માન કર્યા. કરીને ૩૬૦ સૂપકારોના સત્કાર-સન્માન કર્યા. કરીને અન્ય પણ ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ પ્રભૂતિના સત્કાર-સન્માન કર્યા. (તે બધાંના) સત્કાર-સન્માન કરી વિદાય આપી.
ત્યારપછી સ્ત્રીરત્ન–૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, બત્રીશબદ્ધ ૩૨,૦૦૦ નાટક મંડલી સાથે સંપરિવૃત્ત થઈને સર્વ ભવનોમાં શિખર સમાન અને કૈલાશ પર્વતમાં શિખર સમાન ઊંચા એવા ભવનમાં કૈલાશ પર્વતના શિખરે પ્રવેશ કરતા દેવરાજ સદશ તે રાજાએ પ્રવેશ કર્યો.
ત્યારપછી તે ભરતરાજાએ મિત્રોનું, જ્ઞાતિજનોનું, પોતાના સ્વજનોનું, સંબંધિઓનું, પરિજનોનું નિરીક્ષણ કર્યું. કરીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગયો, જઈને – યાવત્ – સ્નાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં ભોજનમંડપ છે ત્યાં આવ્યો. આવીને ભોજનમંડપમાં સુખાસને બેસીને અઠમભક્તનું પારણું કર્યું. કરીને ઉપર પોતાના ઉત્તમ પ્રાસાદમાં આવ્યો. ત્યાં બેસીને વાગતા મૃદંગ સાથે બત્રીશબદ્ધ નાટકો જોતો જોતો, સાંભળતો–સાંભળતો, આનંદ કરતો-કરતો મહાન્ ભોગોને ભોગવતો-ભોગવતો વિચરે છે. ૦ ભરતનો રાજ્યાભિષેક :
ત્યારપછી અન્ય કોઈ દિવસે રાજ્યધુરાનું ચિંતન કરતા રાજા ભરતને આ પ્રકારનો – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. મેં મારા બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ દ્વારા લઘુહિમવંત પર્વતથી લઈને સમુદ્ર પર્યંતની સીમામાં આવેલ સંપૂર્ણ ભરતક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કર્યો છે. હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે ઘણા ધૂમધામ સાથે રાજ્યાભિષેક દ્વારા અભિસિંચન કરવું. આ પ્રમાણે વિચારે છે. વિચારીને કાલે પ્રાતઃકાળે સૂર્યનો ઉદય થતાં જ જ્યાં સ્નાનગૃહ છે - યાવત્ – સ્નાન કરીને બહાર નીકળ્યો. નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં જ્યાં સિંહાસન હતું ત્યાં આવે છે. આવીને પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન પર બેઠો.
ત્યારપછી ૧૬,૦૦૦ દેવોને, ૩૨,૦૦૦ રાજાઓને, સેનાપતિરત્નને – યાવત – પુરોહિત રત્નને, ૩૬૦ સૂપકારોને, અઢાર શ્રેણી–પ્રશ્રેણીઓને અને બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, કોટવાલ યાવત્ સાર્થવાહોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! મેં મારા બળ, વીર્ય દ્વારા – યાવત્ – ભરતક્ષેત્રને જીતી લીધું છે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે બધા મળીને ધૂમધામ સાથે મારા રાજ્યાભિષેકનો પ્રબંધ કરો. ત્યાર પછી ભરતરાજાની આ આજ્ઞા સાંભળીને તે ૧૬,૦૦૦ દેવો – યાવત્ – સાર્થવાહ આદિ સર્વે હર્ષિત–સંતુષ્ટ થયા. બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરી ભરતરાજાની તે આજ્ઞાને સારી રીતે વિનયપૂર્વક સ્વીકારે છે. ત્યાર પછી ભરતરાજા જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો. આવીને – યાવત્ – અઠમ તપની પ્રતિજાગૃત થઈ આરાધના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org