________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૬૧
૦ સિદ્ધાર્થ રાજા કૃત્ જન્મમહોત્સવ :
ત્રિશલા માતાએ જ્યારે શ્રમણ ભગવાન્ મહાવીરને જન્મ આપ્યો ત્યારે સૌ પ્રથમ પ્રિયંવદા નામની દાસીએ સિદ્ધાર્થ રાજાને પુત્ર જન્મની શુભ વધામણી આપી. તે શુભ વધામણી સાંભળી રાજા ઘણાં જ હર્ષિત થયા. હર્ષના આવેશથી તેની વાણી ગદગદિત બની. તેના રોમાંચ ખડાં થઈ ગયા. હર્ષદાયી વધામણી આપનારી દાસી પરત્વે ઘણાં જ પ્રસન્ન થઈને તેણે મુગટ સિવાયના બધાં આભૂષણો તેણીને બક્ષીસમાં આપી દીધા તથા તેણીને દાસીપણાંથી મુક્ત કરી દીધી.
તે પછી ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોએ તીર્થંકરનો જન્માભિષેક કર્યા પછી પ્રભાતકાળ સમયે સિદ્ધાર્થ રાજાએ નગરરક્ષકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! તમે જલદીથી કુંડપુર નગરમાં કેદખાનાની શુદ્ધિ કરો અર્થાત્ કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકો. તોલમાપની વૃદ્ધિ કરો. તે વધારીને કુડપુર નગરને અંદરથી અને બહારથી વાળીચોળી સાફ કરાવી, સુગંધી પાણી છંટાવી, લીંપણ કરાવો. તેમજ શૃંગાટક, ત્રિક (ત્રણ રસ્તાનો સંગમ), ચૌક (ચાર રસ્તાઓનો સંગમ), ચચ્ચર (ઘણાં રસ્તા ભેગા થતા હોય તે) ચઉમુખ (ચાર દરવાજાવાળા સ્થાન), રાજમાર્ગો તથા સામાન્ય માર્ગો તથા રસ્તાઓના મધ્ય ભાગો અને દુકાનોના માર્ગોને સાફ કરી, જમીન સરખી કરી, પાણી છંટાવી પવિત્ર કરો. આગંતુકોને બેસવા માટે મંચ બંધાવો.
- તેમજ – વિવિધ રંગોથી સુશોભિત ધજા અને પતાકાઓ વડે નગરને સુશોભિત. કરો. નગર આખાને લીંપી–ગૂંપીને સ્વચ્છ કરો, ભીંત વગેરે સ્થાને ચુના ઘોળાવો. ગોશીર્ષ ચંદન, સરસ રક્તચંદન, દર્દર ચંદન આદિથી ભીંતો વગેરે સ્થળોએ પાંચે આંગળા અને હથેલીના થાપાં લગાવો. ઘરોની અંદર ચોકમાં મંગળકળશ રખાવો. વારે વારે ચંદનના કળશોથી રમણીય લાગતા તોરણો બંધાવો. સ્થળે સ્થળે ઉપરથી છેક ભૂમિ સુધી લટકતી એવી લાંબી અને ગોળ આકારની પુષ્પમાળાઓનો સમૂહ બંધાવો. સરસ–સુગંધી એવા પંચવર્ણા પુષ્પોના સમૂહને અહીં-તહીં ગોઠવાવો. સ્થાને સ્થાને પુષ્પોના ઘર રચાવો. સ્થાને–સ્થાને સર્વત્ર પ્રજ્વલિત કાળો અગરુ, ઉત્તમ કિંઠુ, સેલારસ અને દશાંગાદિ ધૂપની સુગંધથી સંપૂર્ણ નગરને સુગંધિત કરો. સુગંધી પદાર્થની ગુટિકા સદશ નગર તમે પોતે કરો ને બીજા પાસે કરાવો.
- તદુપરાંત – જનરંજનને માટે નટ, નાટક કરો, નૃત્ય કરાવો, દોરડા પર ચઢી ખેલ બતાવનારાનો ખેલ કરાવો, મલ્લકુસ્તી, મુષ્ટિયુદ્ધ કરાવો, વિદુષકોને બોલાવીને હાસ્ય કરાવો, ભાંડ ભવાઈયાને બોલાવો. ઊંચા કે લાંબા કુદકા કરનાર અથવા નદી આદિ તરનાર પ્લવકના ખેલ કરાવો. રસિક કથા કરનાર, કાવ્યસુભાષિત આદિ બોલનાર, રાસ રમનાર, વાંસ પર ચઢી ખેલ કરનાર, ચિત્રપટ્ટ રાખી ભિક્ષા માંગનાર, ચામડાની મસકને હવા પૂરી વગાડનાર, વીણા વગાડનાર, તાળી વગાડી રંજન કરનાર આદિ સર્વે પોતપોતાની કળા મુજબ લોકોનું રંજન કરે એવી વ્યવસ્થા નગરમાં તમે જાતે કરો – બીજા પાસે કરાવો.
– આ પ્રમાણે કરાવીને હજારો ધુંસરા અને હજારો મુસળ (સાંબેલા) ઊંચા કરાવો અર્થાત્ ગાડાં હાંકવા, હળ વડે ખેડવું, સાંબેલાથી ખાંડવું–પીસવું વગેરે કાર્ય બંધ કરાવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org