________________
આશ્વસ્ત કરવામાં કે નૈતિક બળ પૂરવામાં અને મનોરંજનસભર બનાવવામાં કવિઓનો ફાળો બહુમૂલ્ય છે. મુસ્લિમ આક્રમણ અને રાજકીય વિપત્તિ સમયે જૈનોએ કોઈ જાતના ભેદભાવ સિવાય ઉપાશ્રયના ભંડારોમાં ભૂગર્ભમાં જૈનજૈનેતર સાહિત્યને ગોપવી રાખ્યું છે. તેથી આ હસ્તલિખિત મધ્યકાલીન સાહિત્ય દ્વારા ગુજરાતી ભાષાના વિકાસનો ક્રમબદ્ધ ઇતિહાસ જાણી શકાય છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક મુખ્ય વિશેષતા એ છે કે સાહિત્યનું મુખ્ય વાહન પદ્ય રહ્યું છે અર્થાત્ મોટાભાગનું સાહિત્ય પદ્યમાં સર્જાયું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની નજરે ચડે એવી બીજી વિશિષ્ટતા એ છે કે મધ્યકાળના જૈન કે જૈનેતર બધાં સાહિત્યમાં કેન્દ્રસ્થાને ધર્મ રહ્યો છે. જૈન સાધુઓના હાથે લખાયેલ રાસ, ફાગુ, પ્રબંધો, ચરિત્રો, ધર્મકથાઓ, પદો, સ્તવન-સઝાયો કે બાલાવબોધો વગેરે કોઈ પણ પ્રકારનું સાહિત્ય ચાહે શૃંગારિક હોય, પૌરાણિક હોય, સામાજિક હોય કે સાહિત્યિક હોય પરંતુ દરેક કૃતિને અંતે ધર્મના મહિમાને કે વૈરાગ્યના પરિણામને આલેખેલ છે. જૈનેતર કવિઓએ પણ જે પદો, ભજનો, ગીતો, રાસ, ચોપાઈ, દુહા, આખ્યાનો વગેરે સાહિત્ય લખ્યું છે તેમાં ભગવાન-ભક્તિ-ભક્તનો મહિમા તેમજ સંસારની ક્ષણભંગુરતા, અસારતાને દર્શાવી ઈશ્વરપ્રાપ્તિમાં જ જીવનની સાર્થકતા છે એવાં વૈરાગ્યપ્રદ ગાન મુક્ત કંઠે ગાયાં છે. આમ મધ્યકાલીન સાહિત્ય બહુધા ધર્મમૂલક હોવાથી તેમાં કલા કરતાં ધર્મને વધારે સ્થાન-માન મળ્યું છે.
મધ્યકાલીન સાહિત્યમાં પરલોકની ચિંતા વધારે હોવાથી તેમાં સમકાલીન જીવનના રંગો એકંદરે ઓછા પુરાયા છે. વૈરાગ્ય-ભક્તિ-ધર્મના કુંડાળાને ફરતું સાહિત્ય જ પ્રાયઃ રચાયું છે તેમ છતાં માનવીય સંવેદનો પ્રેમ, વિરહ, હર્ષ, શોક, પરાક્રમ આદિનું વર્ણન પણ ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. પ્રકૃતિ તેમજ પશુપંખીઓનું વર્ણન પણ દૃષ્ટિગોચર થાય છે. ઐતિહાસિક તથા ભૌગોલિક માહિતી પણ જોવા મળે છે તેમજ સામાજિક રીતરિવાજોના વર્ણનનું પ્રતિબિંબ પણ ક્યાંક ઝળકે છે.
ઢગલાબંધ મધ્યકાલીન સાહિત્યના સર્જક વિશાળ કવિવૃંદમાં બધા વર્ણનાતના કવિઓ સમાવિષ્ટ થાય છે. તે દરેકને સમાજમાં માનદૃષ્ટિથી જોવામાં આવતા. સાહિત્યસર્જનમાં તેઓને ધર્મ, વર્ણ, જાતિ કે ઊંચ-નીચના ભેદો ક્યાંય નડ્યા નથી. આ કવિઓના સર્જનમાં ઘણું સામ્ય જોવા મળે છે કારણ કે એક જ વિષય ઉપર અનેક કવિઓએ પોતાની લેખનકળા અજમાવી છે તેથી એક
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org