________________
વિશિષ્ટ સંશોધનગ્રંથ
જૈનધર્મનો પ્રાણ અથવા મુખ્ય પાયો નવતત્ત્વ છે. જૈનધર્મ અને નવતત્વ એક બીજાના પૂરક છે.
પુરાણા સમયમાં જે ધર્મો પ્રચલિત હતા તેમાં ઈશ્વરકૃપા ઉપર અતિશય ભાર મૂકવામાં આવ્યો હતો. તથા યજ્ઞો અને ક્રિયાકાંડમાં જ સમાજ ફસાયો હતો, જેમાં પશુહિંસા પુષ્કળ પ્રમાણમાં થતી હતી. દુ:ખ નિવારણ માટે આ જાતના ધર્મો પ્રચલીત હતા. જૈનધર્મે નવીન વિચારસરણી આપી અને આ બધી રૂઢિચૂસ્ત પ્રથાઓનો નિષેધ કર્યો અને નવા વિચારમાં એવી સ્થાપના કરી કે તમારા પૂર્વકર્મો જેવા હોય તેવા સુખદુઃખના પરિણામ માણસે ભોગવવા પડે છે. વાવે તેવું લણે, ખાડો ખોદે તે પડે અને હાથના કર્યા હૈયે વાગે - એવી શાણપણ ભરેલી કહેવતો આપણે સાંભળીએ છીએ. પણ આ કહેવતો આ જીવનને લક્ષમાં રાખીને રચાઈ છે. આ વિચારોને નવતત્ત્વ અને કર્મવાદમાં સિદ્ધાંત તરીકે જૈનધર્મે વિસ્તૃત કર્યા છે. અને તેનું ધ્યેય આવતા જન્મમાં મોક્ષપ્રાપ્તિ કરવાનું છે. આમ પુનર્જન્મ અને પરલોક, મોક્ષ અને નર્ક જેવા તત્ત્વો એ સિદ્ધાંતમાં વણાયા છે.
નવતત્ત્વની રચના પૌરાણિક કાળમાં થઈ હતી તેથી તેની ભાષા અને તેના પારિભાષિક શબ્દો આધુનિક સમાજમાં સમજાય તેમ નથી. અને અભ્યાસ માટે એ અતિ-કઠિન અને સમજવા દુર્લભ છે. આથી આધુનિક સમયમાં તેને લોકગ્રાહ્ય બનાવવા માટે : (૧) સરળ ગુજરાતી ભાષામાં તેની રજૂઆત થાય તે ખૂબજ જરૂરી છે. (૨) વળી નવતત્ત્વમાં ટીકા અને વિવરણવાળા પુસ્તકો મળે છે. પણ ઘણા જ ટૂંકા અને સંક્ષિપ્ત અનુવાદો જોવામાં નથી આવતા. (૩) વળી પારિભાષિક શબ્દોની યોગ્ય અને સ્પષ્ટ વ્યાખ્યા દર્શાવતા ગ્રંથો બહુ જ ઓછા છે.
બા. બ્ર. મહાસતીજી વિસ્તીર્ણાજીએ જે જુની ગુજરાતીનો નવતત્ત્વનો ગ્રંથ પસંદ કર્યો છે, તે વર્તમાન બધી જરૂરીયાતોને સંતોષે છે, અને તેમનું પુસ્તક આ દૃષ્ટિએ જૈનધર્મના અભ્યાસને માટે પંડિતો અને મુમુક્ષુને સમજાય તેવો ગ્રંથ હોવાથી તેનો ઉપયોગ લોકગ્રાહી થાય તેવી આશા વ્યક્ત કરું છું.
વિવિધ વિષયો ઉપર અભ્યાસ કરીને જૈન સાધુ-સાધ્વીજીઓ પીએચ.ડી.ની પદવી મેળવે છે તે એક ઘણું જ આવકાર્ય પગલું છે. આમ કરવાથી તેમના ઉપદેશમાં વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો ઉઘાડ થશે.
શ્રી નવીનભાઈ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org