________________
૪: હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો ?
અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીજી મહારાજા શ્રી સૂયગડાંગજી નામના મહાન આગમગ્રંથરત્નના આધારે આત્મજાગૃતિનો સંદેશો સંભળાવ્યા બાદ આત્માને વળગેલાં અને વળગનારાં બંધનને ઓળખાવી તેને તોડવાનો ઉપદેશ આપી રહ્યા છે.
ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે? તેને કેવી રીતે તોડી શકાય ? એવું જ્યારે શ્રી જંબુસ્વામીજીએ પૂછ્યું ત્યારે તેના જવાબમાં સુધર્માસ્વામીજી મહારાજે પહેલા નંબરે પરિગ્રહને બંધન તરીકે ઓળખાવ્યું, બીજા નંબરે હિંસાદિ પાપોને બંધન તરીકે ઓળખાવ્યાં અને ત્રીજા નંબરે મમતાને બંધન તરીકે ઓળખાવ્યું છે.
ભલે, આ ત્રણ આપણને બંધન તરીકે દેખાય કે ન દેખાય, ધ્યાનમાં આવે કે ન આવે, પ્રજ્ઞામાં બેસે કે ન બેસે, પણ ત્રણ સર્વજ્ઞ-સર્વદર્શી એવા લોકના નાથે કહેલી આ વાત છે, નરી વાસ્તવિકતા છે. જેટલા અંશે જીવનમાં પરિગ્રહને સ્થાન તેટલા અંશે આત્મા બંધાતો જાય છે. જેટલા અંશે જીવનમાં હિંસા-ચોરીજૂઠ-અબ્રહ્મને સ્થાન તેટલા અંશે આત્મા બંધાતો જાય છે. જેટલા અંશે દેશ, કુળ, જાતિ, સ્વજન, પરિવાર પ્રત્યે મમત્વ, તેટલા અંશે આત્મા બંધાતો જાય છે.
પરિગ્રહથી દુઃખનું બંધન ઉભું થાય છે. એનાથી જુદા પ્રકારનું બંધન હિંસાથી ઉભું થાય છે. હિંસાથી વૈરનું બંધન ઉભું થાય છે અને એનાથી જુદા પ્રકારનું બંધન કુળ-પરિવાર આદિની મમતાથી ઉભું થાય છે. મમતા કરવાથી કોઈ કોઈને બચાવી શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org