________________
૮. ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ
પ્રજાવૃદ્ધિ થવા લાગી અને તેમાં અનેકવિધ સંઘર્ષો પેદા થવા લાગ્યા, અને તે સંઘર્ષોને પરિણામે આજસુધીમાં કેટલાંય માનવકુળો સર્વકાળ માટે સર્વથા ઉચ્છિન્ન પણ થઈ ચૂક્યાં, એ પરિસ્થિતિ શી રીતે અટકે? એ સંઘર્ષોનું ઉપશમન કેવી રીતે કરી શકાય અને ફરીફરીને એ ભયાનક સંઘર્ષો ઊઠવા જ ન પામે એ એક ઉદાત્ત આશયને લક્ષ્યમાં રાખી, અનેક સાધકોએ એ વિશે જાતઅનુભવ કરીને, વિવિધ સાધનાઓ કરીને અને અનેકવિધ વેદનાઓ સહીને પણ એ સંઘર્ષોને સમૂળ નાબૂદ કરવા માટે જે જે પોતાના અનુભવો વર્ણવ્યા, પોતે દેહ, મન, વાસના-તૃષ્ણા, સ્વાર્થ વગેરેનું પૃથક્કરણ કરીને, એક ચેતનતત્ત્વ અને તેના વિવિધ આવિર્ભાવો, સર્વત્ર ચેતનતત્ત્વની એકરૂપતા, તેને અનુભવવાના ઉપાયો વગેરેની અતીન્દ્રિય શોધો કરીને જે કાંઈ પ્રવચનરૂપે જગત સમક્ષ જણાવ્યું છે, તે બધું અહીં “ધર્મના નામથી સમજી લેવાનું છે. અધ્ધર રહેલાં સૂર્ય, ચંદ્ર, ગ્રહમંડળ અને તારાગણ તથા અધ્ધર રહેલી પૃથિવી, સમુદ્રો, મોટાં મોટાં ઉત્તુંગ શૃંગવાળા મહાકાય પર્વતો અને નદીઓ-એ બધાં જેમ એક ગુરુત્વાકર્ષણના પ્રબળ પ્રભાવથી પોતપોતાની સમતુલામાં રહે છે, એક દોરાવો પણ ચસકતાં નથી, અને કદાચ ચસકે તો જાણે પ્રલય થવા બેઠો છે એવું જ થાય છે, તે જ રીતે માનવના ચિત્તમાં વાસનાના પ્રવાહો ઊઠતા હોય, વહેતા હોય અને તેને સંઘર્ષ નીપજાવવા પ્રેરતા હોય છતાં જે પ્રવચનના પ્રબળ સંસ્કાર, પ્રબળ ભાવના કે પ્રબળ અનુભવને બળે, માનવ સંઘર્ષમાં ન પડતાં પોતાની માનસિક સમતુલાને સાચવી શકે અને વાસનાના બળવાળા વેગને આપોઆપ નિષ્ફળ કરી મૂકે, તે પ્રવચનના પ્રબળ સંસ્કાર, પ્રબળ ભાવના કે પ્રબળ અનુભવ, માનવને સંઘર્ષ તરફ જતાં ધરી રાખે છે, અટકાવી રાખે છે, ઝાલી રાખે છે. માટે જ તે “ધર્મને નામને યથાર્થ રીતે યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org