________________
૨. મહાવીર-જીવનનો મહિમા
"देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥"
समंतभद्र स्वामी મિત્રો તરફથી અનેક વાર સૂચવવામાં આવે છે કે શ્રી મહાવીરજીવન વા એ વિશે કાંઈ લખાય તો સારું. સૂચના કરનારો તો આ કામ સરળ છે એમ સમજીને સૂચવે છે, પણ જેમ જેમ જૈન આગમ સાહિત્ય, બૌદ્ધ ત્રિપટિકો, ઉપનિષદાદિ આર્ય સાહિત્યને વિશેષ વિશેષ જોતો જાઉં છું તેમ તેમ એ કામ કઠણ લાગતું જાય છે. જે મહાપુરુષનું જીવન લખવાને લેખની ચલાવવી છે તેમને વિશે ન્યૂનાધિક લખાવા દ્વારા જરાય અન્યાય ન થાય અને વાચકવર્ગને પ્રેરક તથા હિતકર સત્ય દર્શાવી શકાય તો જ કોઈના પણ જીવન વિષે લખનારનો શ્રમ સફળ થયો ગણાય. વર્તમાનમાં તો સમસમયી પુરુષોના જીવનવૃત્તાંતમાં પણ એ ઉદ્દેશ ઘણો ઓછો સચવાતો જણાય છે. એ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે સ્થિરતા, તટસ્થતા, જીવનવિષયક અંતરંગ અને બહિરંગસામગ્રી, વિશાળદષ્ટિ વગેરે સાધનોને મેળવ્યા સિવાય લખાતાં જીવનચરિત્રો ઘણે ભાગે પોતાના નાયકને અને વાચકવર્ગને અન્યાયકારી થઈ પડે છે. ભગવાન મહાવીર તો આપણાથી સર્વપ્રકારે પરોક્ષ છે; એટલે એમનું જીવન લખવા માટે તો ઉપર્યુક્ત સામગ્રી મેળવ્યા સિવાય એ વિશે કાંઈ પણ લખવું તેને હું ઐતિહાસિક અને સામાજિક જોખમ સમજું છું. અહીં જે વાત થાય છે તે પૌરાણિક (પુરાણની માફક લખાયેલા) અને દંતકથામય (પરંપરાથી ચાલી આવતા) જીવનને લગતી નથી, પણ આ વૈજ્ઞાનિક સમયમાં લોકો જે જાતના જીવનચરિત્રની અપેક્ષા રાખે છે તેની વાત છે. એમ તો પ્રાકૃત અને સંસ્કૃતમાં તેમ જ જૂની કે નવી ભાષામાં લખાયેલાં કેટલાંય મહાવીરચરિત્રો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે અને એથી પણ વધારે હજુ ભંડારોમાં અપ્રગટપણે પડેલાં છે. મહાવીર-જીવન લખવાનું કામ અશક્ય કે કઠણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org