SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ સંગીતિ જ થાય છે. આ રીતની એકાદશી આત્માના બંધનરૂપ છે અને આવી ને આવી જ એકાદશીઓ લાખ વરસ કરવામાં આવે અને એમાં જરાય લક્ષ્યાનુકૂલ ફેરફાર ન કરવામાં આવે તો એ તદ્દન નકામી તો છે જ; પણ માણસના જીવનને વધારે બગાડી મૂકનારી નીવડે છે. માણસની વૃત્તિ ખાવા તરફ છે અને તેમાંય ખાસ કરીને સ્વાદ તરફ વધારે છે. તેને સંયમમાં લાવવાના અને જીભ ઉપર જય મેળવવાના અભ્યાસ ખાતર તો જ્ઞાની અને અનુભવી વિવેકી પુરુષોએ એકાદશી જેવાં વ્રતની યોજના કરી છે. માણસ કંઈ એકદમ સંયમી કે જિતેંદ્રિય બની શકતો નથી; એ તો હળવે હળવે અભ્યાસ કરતો કરતો સંયમ કેળવી શકે છે. એ માટે જ મહિનામાં બે વાર વા એક વાર પોતાની શક્તિ મુજબ નિર્જલા એકાદશી કરવાની આપણને સૂચના મળી વા તુલસીપત્ર ઉપર માત્ર એટલો જ ફલાહાર કરવાની છૂટ મળી. તે છૂટને આપણે સ્વાદિયા લોકોએ એટલી બધી વિકૃત કરી નાખી છે કે તેમાં એકાદશીની ગંધ પણ રહી નથી; છતાં માણસ એકાદશી કર્યાનું અભિમાન માણે છે. આનું નામ ધર્મને હણવો કહેવાય વા ધર્મને વિપરીત રૂપે ગ્રહણ કર્યો કહેવાય. જૈન લોકોમાં પણ એકાદશીની જ પેઠે ઉપવાસ વગેરે વ્રતો કરવાનું ફરમાન છે. આ ફરમાનને જે લોકો યોગ્ય રીતે નથી સમજ્યા તે લોકોએ ઉપવાસ કરવાનું તો ચાલું રાખ્યું; પણ ઉપવાસ કરવાની આગલી સાંજે પેટ ઠાંસીને ભરવાની રીત શોધી કાઢી; એટલું જ નહિ, પણ જે લોકોને ઉપવાસ કરવાનો હોય તેમને આગલી સાંજે ભારે સ્વાદીલું જમણ આપવાની પ્રથા પણ શરૂ કરી અને તેમાં પુણ્ય મળે છે એવી પણ વાત ચલાવી. ખરી રીતે એકાદશીનું વ્રત વા ઉપવાસનું વ્રત એક બાહ્ય પ્રવૃત્તિ છે; તેનો સંબંધ શરીર-પૂરતો છે, મન સાથે તેનો સીધો સંબંધ નથી. એટલે એ કેવળ બાહ્ય તપ જ ગણાય. એકલું બાહ્ય તપ કરવાથી કોઈની મનઃશુદ્ધિ વા આત્મશુદ્ધિ થતી નથી, થઈ નથી અને થવાની પણ નથી એમ શાસ્ત્રકારો પોકારી પોકારીને કહે છે. બાહ્ય તપ સાથે જ અંતરનું નિરીક્ષણ ચાલે અને ઈશ્વરનું ચિંતન થતું હોય તો સંભવ છે કે એ બાહ્ય તપ પણ મનની ઉપર થોડી ઘણી અસર કરે અને એ અસર દ્વારા મનુષ્ય ધીરે ધીરે શુદ્ધિ અને શાંતિ મેળવી શકે. પેટમાં મળ તો થોડો થોડો રહેતો જ હોય, તેને નિર્મળ કરવા ઉપવાસની ક્રિયાની યોજના કરવામાં આવી; તો સ્વાદિયા એવા આપણે લોકોએ આગલી સાંજે ઠાંસીને ખાવાની શોધ કરી દીધી; એટલું જ નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy