________________
૧૪૦ • સંગીતિ
જશે, અને એનું સુખ આપણે તો માણીશું પણ આપણા તમામ બંધુઓને પણ એ સુખમાં ભાગીદાર બનાવી શકીશું.
મારી નમ્ર સમજ પ્રમાણે ઉપર જે દસ ગુણો વિશે લખવામાં આવ્યું છે, તે દસે ગુણો મેળવવા માટે આપણે જરૂર પ્રયત્ન કરીશું અને શાશ્વત આનંદના વાચનનું શુભ પરિણામ ભોગવી શકીશું.
ઉપર જે દસ ગુણો જણાવેલા છે, તેમાંના કેટલાક તો એકબીજામાં સમાઈ જાય તેવા છે. છતાં કેવળ સ્પષ્ટતા ખાતર એ એકબીજામાં સમાઈ જતા ગુણોને પણ પ્રધાનતા આપવા માટે અહીં જુદા જુદા ગણાવેલા છે. એટલે સાત્ત્વિક આનંદની પ્રાપ્તિની ઇચ્છાવાળો વાચક એ લખાણમાં પુનરુક્તિ ન ગણતાં તે તે ગુણોની મહત્તા અને આવશ્યકતા પર જ પોતાનું ધ્યાન ઠેરવશે.
બૌદ્ધ ગ્રંથોમાં એ ગુણો માટે “દસ પારમિતા' શબ્દ યોજેલો છે. બુદ્ધ થનાર ઉમેદવારે પોતાના પૂર્વના જીવનમાં એ દસે પારમિતાઓ કેળવી હોય તો જ તે પરિણામે બુદ્ધ બની શકે છે. બુદ્ધ થનારો કોઈ આત્મા અકસ્માત બુદ્ધ બની શકતો નથી અથવા તે કાંઈ એમ ને એમ અધ્ધરથી ટપકી પડતો નથી. જેણે પોતાના પૂર્વજીવનમાં એ પારમિતાઓ પૂરેપૂરી કેળવેલી હોય, તે જ બુદ્ધપદને લાયક થઈ શકે છે. “પારમિતા' શબ્દની વ્યુત્પત્તિની ચર્ચામાં અહીં પડવાની જરૂર નથી. પણ તેનો ભાવાર્થ એ છે કે ગુણને તેની પૂર્ણતા સુધી, તેના પાર સુધી કેળવીને પોતામાં પ્રકટ કરવો; જેમ કે દાનપારમિતા એટલે દાનગુણને એટલી હદે કેળવવો કે કોઈ દુઃખી-અર્થી પોતાનું ધન, રાજય કે બીજો વૈભવ માંગવા આવે તો તેને તમામ પ્રસન્ન મુખે આપી દેવું; એટલું જ નહિ પણ શરીરનો કોઈ ભાગ-આંખ વગેરે અવયવો પણઆપી દેવાની જરૂર પડે, અથવા કદાચ એટલેથી પણ કામ ન સરે અને આખું શરીર જ આપી દેવાની ફરજ આવી પડે, તો તે પણ વગર આનાકાનીએ પ્રસન્નતાપૂર્વક આપી દેવાય એવી જે મનોવૃત્તિ કેળવવી તેનું નામ દાનપારમિતા કેળવી કહેવાય. ભારતને આઝાદ કરવામાં જે જે શુદ્ધ સત્યાગ્રહીઓએ પોતાનાં શરીર સુધ્ધાંનો જે ભોગ આપેલો છે, તે આ દાનપારમિતામાં આવી શકે. વધારે સમજ માટે પ્રજ્ઞાપારમિતાને સમજાવી દઉં : પ્રજ્ઞા એટલે બુદ્ધિ. અર્થાત્ બુદ્ધિના ગુણને એટલી હદ સુધી કેળવવો જોઈએ કે તે તમામ પ્રવૃત્તિના ગુણદોષ બરાબર જાણી શકે. તેનાં પરિણામો પણ સમજી શકે અને વ્યવહારના કે પરમાર્થના તમામ કોયડા તે બરાબર ઉકેલી શકે, જેથી પોતાની ઉચ્ચોચ્ચ આનંદની સાધનામાં તે બુદ્ધિબળ બરાબર ખપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org