________________
મહારાજશ્રીએ તેમને માસિક રૂ. ૧૦ની સ્કૉલરશિપ આપવાનું કહ્યું તો પંડિતજીએ તેનો એમ કહીને સાદર અસ્વીકાર કર્યો કે–જયારે પાઠશાળા મારું બધું ખર્ચ આપતી હોય ત્યારે આવી સ્કોલરશિપ કેમ કરી લઈ શકાય ?
આ દરમિયાન મહારાજશ્રી પાસે આવતા અનેક વિદ્વાનો સાથે પંડિતજીને સારો પરિચય થઈ ગયો હતો. મહારાજશ્રીની ઇચ્છા પંડિતજીને શ્રમણ સંસ્કૃતિમાં પૂર્ણ નિષ્ણાત બનાવવાની હતી. પ્રાકૃત ભાષાનો અભ્યાસ તો આ વખતે કરી જ લીધો હતો, પોતાના પ્રાકૃતના અભ્યાસ માટે તો પંડિતજી એમ જ કહેતા કે, કોણ જાણે શાથી, પણ પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તો મને બહુ જ સરળ થઈ પડી, અને જાણે અચાનક જ આવી મળી ગઈ હોય એમ એ ભાષા મને આત્મસાત્ બની ગઈ. હવે બૌદ્ધધર્મના જ્ઞાન માટે પાલીભાષાના જ્ઞાનની જરૂર હતી. તે માટે આચાર્ય મહારાજે ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણની સાથે પંડિતજીને તથા પં. શ્રી હરગોવિંદદાસભાઈને સિલોન મોકલ્યા. ત્યાં ૮ માસ જેટલા ટૂંકા સમયમાં પોતાનું કામ પતાવીને એ બન્ને જણા પાછા કાશી આવ્યા, અને ગ્રંથમાળામાં પ્રાચીન જૈન ગ્રંથોના સંપાદનનું કામ કરવા લાગ્યા.
આ વખતે ધાર્મિક, સામાજિક અને કોમી શિક્ષણ સંસ્થાઓમાં રાષ્ટ્રીયતાની હવા સુધ્ધાં નહોતી પહોંચી શકતી. પણ બંગભંગની ચળવળનું આછું-પાતળું દર્શન પણ પંડિતજીએ એ વખતે કાશીમાં જે કર્યું, તે ઉપરથી તેમણે દેશી કાપડ વાપરવાનો અને દેશી ખાંડનો ઉપયોગ કરવાનો નિયમ કર્યો હતો. અને સને ૧૯૧૫-૧૬માં ગાંધીજીએ સ્વદેશી અને ખાદીની હાકલ કરી ત્યારથી તેમણે સ્વદેશી કાપડ અને વસ્તુઓનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આમ તે કાળે પંડિતોમાં ભાગ્યે જ જોવા મળતી રાષ્ટ્રીયતાની ભાવના પંડિતજીના અંતરમાં વસવા લાગી હતી.
શરૂઆતમાં પંડિતજીને જૈન ધર્મ ઉપર એવી એકાંગી શ્રદ્ધા કે તેઓ જૈન સિવાય બીજાં પુસ્તકો વાંચે જ નહીં. પણ પ્રાકૃત-અર્ધ માગધી ભાષાના અભ્યાસ પછી મૌલિક પ્રાચીન જૈન સાહિત્યનું જેમ જેમ અધ્યયન ચિંતન આગળ વધતું ગયું તેમ તેમ નવું સત્ય જાણવાની એમની ઇચ્છા વધુ ને વધુ ઉત્કટ બનતી ગઈ; અને મનમાં ઘર કરી બેઠેલી અંધશ્રદ્ધા વિલીન થવા લાગી. પછી તો આગમો કંઠસ્થ કરવાનો એમને એવો નાદ લાગ્યો કે રાતના બે બે વાગે ઊઠીને તેઓ એમાં તન્મય થવા લાગ્યા. પ્રાકૃત ભાષાનું ઊંડું જ્ઞાન તો મળી જ ચૂક્યું હતું, હવે તેમાં આગમોનું વાચન અને ચિંતન ઉમેરાયું એટલે એમનો આત્મા વધુ સત્યશોધક બન્યો. પંડિતજીના જીવનનો આ સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org