________________
:૪ :
લેશ્યા-ધ્યાન : વિધિ
લેશ્યા-ધ્યાનનો પ્રયોગ પ્રેક્ષા-ધ્યાન સાધના પઘ્ધતિનો એક સર્વાધિક મહત્ત્વપૂર્ણ પ્રયોગ છે. લેશ્યાધ્યાનના પૂર્વોક્ત વિવેચનથી એ સ્પષ્ટ થઇ ગયું હશે કે લેશ્યાધ્યાનમાં સાધક પોતાના જ ચૈતન્યકેન્દ્ર પર ચિત્તને એકાગ્ર કરી ત્યાં જ નિશ્ચિત રંગનું ધ્યાન કરે છે. પણ એ આવશ્યક છે કે સાધક પ્રથમ કાર્યોત્સર્ગ, દીર્ઘશ્વાસ પ્રેક્ષા, શરીર પ્રેક્ષા અને ચૈતન્ય કેન્દ્ર - પ્રેક્ષાનો અભ્યાસ બરાબર સાધી લે અને પછી જ લેશ્યા-ધ્યાનનો અભ્યાસ શરૂ કરે. પ્રશ્ન થઇ શકે કે લેશ્યાધ્યાન શરૂઆતથી જ કેમ કરાવવામાં આવતું નથી? સમાધાન એ છે કે જયાં સુધી સાધકને શ્વાસનો સમ્યક્ પરિચય નથી થઇ જતો, દીર્ઘશ્ર્વાસ પ્રેક્ષા બરાબર સિદ્ધ નથી થતી, શરીર પ્રેક્ષાનો અભ્યાસ પરિપક્વ નથી થઇ ગયો હોતો, ચૈતન્યકેન્દ્રો પર ચિત્તની એકાગ્રતા સધાતી નથી તથા ત્યાંનાં સ્પંદનો પકડાતાં નથી, ત્યાં સુધી લેશ્યાધ્યાન પણ થઇ શકતું નથી. વિકાસ ક્રમથી થાય છે. એટલા માટે અભ્યાસ ક્રમથી જ થવો જોઇએ. પ્રયોગ કરાવનારે પણ જાણવું જોઇએ કે પ્રયોગ કરનાર વ્યક્તિની ચેતનાને ધીમે ધીમે કેવી રીતે આગળ વધારી શકાય. સાધક જ્યારે આગળની ભૂમિકા સુધી અભ્યાસ કરી લે છે ત્યારે તેને કોઇ મુશ્કેલી નડતી નથી. એવરેસ્ટ શિખર પર પહોંચનાર વ્યક્તિ પ્રથમ તળેટીએ પહોંચે છે અને ક્રમશ: આરોહણ કરતાં કરતાં ત્યાં સુધી પહોંચે છે. એક જ દિવસમાં ત્યાં પહોંચી જતો નથી. સાધક જો એમ જ વિચારે કે આટલો બધો લાંબો સમય લાગ્યો, તેના કરતાં તો સારૂં થાત કે પ્રથમ દિવસે જ ત્યાં પહોંચી ગયો હોત. તો તે અસંભવ કલ્પના જ હશે, આરોહણનો એક ક્રમ હોય છે. એ ક્રમને છોડીને છલાંગ મારી શકાતી નથી. રંગોના ધ્યાનના પ્રયોગની ક્ષમતાનો વિકાસ ત્યાં સુધી થઇ શકતો નથી, જયાં સુધી શરીરમાં થનાર વિભિન્ન ક્રિયાઓ સાથે ચાલતા પ્રાણ-પ્રવાહનાં સ્પંદનોનો અનુભવ વ્યક્તિ કરી લેતો નથી, પ્રાણ-પ્રવાહનાં પ્રકંપનોને તટસ્થ ભાવથી પકડવાની અને રાગ-દ્વેષ રહિત દ્રષ્ટાભાવથી તેમની પ્રેક્ષા કરવાની ક્ષમતાનો વિકાસ કરી લેતો નથી તથા શરીરની અંદર રહેલા વિભિન્ન ચૈતન્ય કેન્દ્રોનાં રાસાયણિક આવો અને તેમના સ્પંદનોને સમજી લેતો નથી.
35
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org