________________
ચૈતન્યની સ્વતંત્ર સત્તાનો અનુભવ
વિજ્ઞાનનું લક્ષ્ય પણ સત્યને પ્રાપ્ત કરવાનું છે, જેને માટે તે નિરંતર પ્રયત્નશીલ છે. પરંતુ વૈજ્ઞાનિક શોધોના વિષયો ફક્ત પદાર્થ છે, પરમાણુ છે, ચેતનાની સ્વતંત્ર સત્તા તેનો વિષય નથી. વિજ્ઞાને પદાર્થ પર ઘણી બધી શોધો કરી છે અને આજે પણ તેની શોધો ચાલુ છે. પદાર્થના અસ્તિત્વના કણે કણને તપાસાઇ રહ્યું છે. વિજ્ઞાનની શોધ યંત્રો અને અન્ય ભૌતિક સાધનોના માધ્યમથી થઇ રહી છે. એટલા માટે તે પદાર્થ સુધી જ પહોંચી શકશે. તેની પહોંચ આત્મા સુધી જઇ શકવાની નથી. ચેતન સત્તા તેનો વિષય પણ નથી. એટલા માટે વૈજ્ઞાનિક જગતે ચેતનની સ્વતંત્ર સત્તાનો હજુ સુધી સ્વીકાર કર્યો નથી. તે (અસ્વીકારના) કારણે જ આજે આપણને ધ્યાનની ઉપયોગિતા એટલી જ લાગે છે કે તેનાથી તાણ ઓછી થાય છે, શારીરિક સ્વાસ્થ્ય જાળવી શકાય છે વગેરે વગેરે. બસ, ધ્યાનની ઉપયોગિતા સમાપ્ત. એ સાચું છે કે ધ્યાનથી સ્નાયવિક, માનસિક અને ભાવાત્મક તનાવ ઓછો થાય છે, સ્વાસ્થ્ય સુધરે છે, લોહીનું દબાણ સંતુલિત રહે છે. પરંતુ ધ્યાનનો ઉદ્દેશ ફક્ત શરીરને પુષ્ટ અને સ્વસ્થ કરવાનો જ નથી. જો કે શારીરિક સ્વાસ્થ્ય પણ ઓછું મૂલ્યવાન નથી અને ધ્યાનનો એક ઉદ્દેશ્ય શારીરિક સ્વાસ્થ્ય પણ છે, પણ સૌથી અધિક મૂલ્યવાન ઉદ્દેશ્ય છે - પોતાના અસ્તિત્વનું જ્ઞાન-અનુભવ. જયાં સુધી વ્યક્તિ પોતાના અસ્તિત્વનું જ્ઞાન પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી દુ:ખનો નાશ કરી શકતો નથી. દુ:ખનો નાશ કરવાનું એક માત્ર સાધન છે - સત્યની ઉપલબ્ધિ, અસ્તિત્વની ઉપલબ્ધિ.
અંતર્દષ્ટિની જાગૃતિ
અંતર્દષ્ટિનો અર્થ છે પ્રિયતા અને અપ્રિયતાની અનુભૂતિથી મુક્તિ. જયાં સુધી આપણે પ્રિયતા - અપ્રિયતાથી મુકિત મેળવી શકતા નથી, ત્યાં સુધી આપણને સત્યની પ્રાપ્તિ થતી નથી. આપણે મોટા મોટા શાસ્ત્રો ગોખી લઇએ, તત્ત્વોનું પારાયણ કરી લઇએ, છતાં પણ આપણને અંતર્દષ્ટિની પ્રાપ્તિ થઇ શકતી નથી. અંતર્દીષ્ટ, સમ્યગ્દષ્ટિ, સમ્યકત્વ, સત્ય બધાં એક જ છે. ધ્યાન આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે આપણા અસ્તિત્વને જાણીએ, જ્ઞાતાને જાણીએ, દ્રષ્ટાને જાણીએ, દ્રષ્ટા જ્ઞાતા જે પરદા પાછળ ચાલ્યો ગયો છે તેનો આપણે અનુભવ કરીએ. એક વૈજ્ઞાનિક તેને જાણી શક્તો નથી, એક ધ્યાન-સાધક તેને જાણી શકે છે. ધ્યાનના બધા જ નિયમો જ્ઞાતા સુધી પહોંચાડવા માટે છે. સાધક
27
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org