________________
૨૫૮]
ક્ષણિકવાદની ચર્ચા.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
(૧) નહિ ઉત્પન્ન થયેલ પદાર્થ તો અર્થક્રિયા કરી શકતો નથી, કેમ કે તે અવિદ્યમાન છે. (૨) ઉત્પન્ન થતો ક્ષણિક પદાર્થ પણ નથી કરતો, કેમ કે ઉત્પન્ન થવાની અવસ્થામાં તમે ક્ષણિકવાદીઓ અર્થક્રિયા નથી માનતા. જો માનતા હો, તો તે વખતે પદાર્થનો કેટલોક અંશ ઉત્પન્ન થયો હોય, અને કેટલોક અંશ ન થયો હોય, તેથી સાંશ વસ્તુ માની ગણાશે, અને તેમ થવાથી અમારા મંતવ્યાનુસાર દ્રવ્યપર્યાય ઉભયરૂપ વસ્તુની સિદ્ધિ થવાથી અમારા પક્ષની સિદ્ધિ થશે. કારણ કે અંશ માનવાથી અંશવાન્ અવયવીની સિદ્ધિ થાય છે, અને તે અવયવી અહીં દ્રવ્ય છે. તથા અંશો તે પર્યાયો છે. એમ દ્રવ્ય પર્યાય ઉભયરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે.
(૩) ઉત્પન્ન થયેલ ક્ષણિકપદાર્થ પણ અર્થક્રિયા કરતો નથી, કેમ કે તે સંપૂર્ણ ઉત્પન્ન થયેલ હોવાથી સહકારી કારણોથી કંઈ વિશેષતા તેમાં નથી થઈ, જો વિશેષતા થઈ હોય, તો ભિન્ન કારણથી થયેલ વિશેષતા તેનાથી ભિન્ન થાય. સહકારી કારણ તેનું અવિશેષપણું છે, તે સહકારી કા૨ણોની સાથે મળીને આ ઉત્પન્ન થયેલો ક્ષણિક પદાર્થ વિશિષ્ટ અર્થક્રિયા કરે છે, એમ કહેવું એ કેવળ પોતાના ચિત્તનું જ સમાધાન કરવા જેવું છે. કેમકે જો એ પ્રમાણે વસ્તુ વિશિષ્ટ અર્થક્રિયા કરે, તો તે માત્ર સહકારી કારણોનાં સંયોગની જ અપેક્ષા રાખે, તો પછી બીજા અનેક અસહકારીની સાથે પણ એનો સંયોગ છે, શા માટે અમુક સહકારીની અપેક્ષાથી જ અર્થક્રિયા કરે છે ? માટે એ સહકારીઓથી તેમાં વિશેષતા શું થાય છે ? કંઈ જ નહિ, કેમ કે ક્ષણિક પદાર્થમાં એવી વિશેષતા ઘટે નહિ.
(૪) હવે ચોથા પક્ષથી નિવર્તમાન એવો ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયુક્ત છે, કારણ કે નિર્વતમાન અવસ્થા તમે ક્ષણિકવાદી માનતા નથી, જો માનતા હો તો વસ્તુને સાંશ માનવી પડશે. અને તેથી સ્યાદ્વાદમત માનવો પડશે.
(૫) છેલ્લા પાંચમા વિકલ્પથી નિવૃત્ત એવો ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે, એમ કહેતા હો, તો તે પ્રલાપ માત્ર છે, કેમ કે નિવૃત્તિ પદાર્થ અવિદ્યમાન હોવાથી અર્થક્રિયા કેવી રીતે કરે ?
આ પ્રમાણે કોઈ પણ પ્રકારે ક્ષણસ્થિતિ ધર્મવાળી વસ્તુ ઘટતી નથી, માટે દ્રવ્ય પર્યાયત્મક નિત્યઅનિત્ય રૂપે જ વસ્તુ માનવી જોઈએ. કેમ કે તેવા પ્રકારે જ વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ છે, જેમ કે માટીનો પિંડ-શિવક-સ્થાસ-ઘટ-અને કપાલ આદિ સર્વમાં માટીનો અન્વય સામાન્યપણે ણાય છે, અને એ દરેકમાં પરસ્પર ભિન્નતા પણ અનુભવાય છે, એટલે જેવો આકાર મૃગ્લિંડનો છે, તેવો આકાર સ્થાસ-શિવકાદિમાં નથી જણાતો, પરંતુ દરેકમાં ભિન્નભિન્ન આકાર જ અનુભવાય છે. જેવો આકારભેદ અને તેનું જ્ઞાન વિજાતીય પાણી-અગ્નિ પવન આદિમાં થાય છે, તેવો આકારભેદ શિવકાદિમાં નથી થતો, કેમ કે એ સર્વમાં માટીનો અન્વય સામાન્યપણે અનુભવાય છે. આવો સર્વજન પ્રસિદ્ધ અનુભવ છતાં પણ, તે અનુભવ અયોગ્ય છે, એમ કહેવામાં આવે તો તેથી અતિપ્રસંગ થાય. વળી આ સંવેદન-અનુભવ તે ભ્રાન્તિ છે, એમ પણ ન કહી શકાય, કારણ કે દેશ કાળ અને મનુષ્યની ભિન્નભિન્ન અવસ્થામાં પણ એવું જ સંવેદન થાય છે. તેમજ અર્થ પદાર્થથી થયેલ યથાર્થજ્ઞાન સિવાય જાતિના વિકલ્પોથી પદાર્થની વ્યવસ્થા માનવી તે પણ ઉચિત નથી, કેમકે જાતિવિકલ્પો પ્રતીતિ થવામાં બાધકરૂપ હોવાથી અનાદેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org