________________
ભાષાંતર]
ક્ષણિકવાદની ચર્ચા.
[૨૫૭
બૌદ્ધ :- બીજી ક્ષણોનો અભાવ, અભાવરૂપ જ હોવાથી, પ્રથમ ક્ષણના ભાવની સાથે તે તેનાથી અન્ય છે કે અનન્ય છે? એવી કલ્પના કરવી યોગ્ય નથી. કારણ કે જો ભાવ અભાવથી ભેદભેદ સિવાય કોઈ ત્રીજી રૂપે વર્તતો હોય, તો એ કલ્પના યોગ્ય ગણાય, પરંતુ તેમ તો નથી. વળી બીજી ક્ષણનો અભાવ કલ્પિત જ હોવાથી ઉપરોક્ત વિકલ્પનો વિષય પણ નથી.
આચાર્ય - જો એ પ્રમાણે બીજી ક્ષણનો અભાવ કલ્પિત છે, તો તે અસતુ હોવાથી બીજી ક્ષણોમાં પણ ભાવનો પ્રસંગ થશે, તો પછી ક્ષણસ્થિતિધર્મવાળી વસ્તુ છે, એમ ક્યાંથી રહ્યું ? પ્રથમ ક્ષણથી વ્યતિરિક્ત બીજી ક્ષણોનો અભાવ પરિકલ્પિત છે, પરંતુ તેથી અતિરિક્ત તો, તે છે જ, એમ કહેતા હો, તો પ્રથમ ક્ષણનો ભાવ એજ બીજા ક્ષણનો અભાવ થયો, અને ત્યાં પૂર્વે કહેલ દોષ આવશે જ. વળી એમ કહેવામાં આવે કે અમુક વસ્તુનો ઉત્તર કાળમાં થનાર પદાર્થાન્તર ભાવ, તેજ બીજી ક્ષણોનો અભાવ છે, તો ત્યાં પૂર્વે કહેલ અન્ય-અનન્યપણાની કલ્પના થશે, અને ત્યાં કહેલ દોષ પણ આવશે. ક્ષણસ્થિતિ ધર્મવાળી વસ્તુ જ બીજી ક્ષણોનો અભાવ છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયુક્ત છે. કારણ કે ક્ષણસ્થિતિ ધર્મવાળી વસ્તુ, ક્ષણ ભાવ સ્વભાવવાળી કહેવાય છે, તેથી તે ભાવ અને અભાવ પરસ્પર અન્યપણે છે ? કે અનન્યપણે ઇત્યાદિ વિકલ્પો કરતાં જે દોષ આવે છે, તે દોષ અહીં પણ આવશે.
બૌદ્ધ :- બીજી ક્ષણોના અભાવમાં પ્રથમ ક્ષણનો ભાવ નથી, જો ત્યાં ભાવ છે, એમ માનીએ તો બીજી ક્ષણોનો અભાવ ઘટે નહિ. માટે પ્રતિયોગીનો ત્યાં અભાવ હોવાથી, “ભાવ, અભાવથી અન્ય છે કે અનન્ય છે?” એવી કલ્પના કરી શકાય નહિ, કારણ કે જ્યારે ભાવ છે, ત્યારે અભાવ નથી, અને અભાવ છે ત્યારે ભાવ નથી.
આચાર્ય :- જો એમ હોય, તો તે ભાવ જ અભાવભૂત હોવાથી, ભાવની પેઠે અભાવ પણ ભાવનો ધર્મ થયો, જયારે અભાવ એ ભાવનો ધર્મ થયો, ત્યારે સર્વદા વસ્તુનો સદ્ભાવ જ થયો, અને તેથી વસ્તુ સ્વહેતુથી જ ભાવાભાવ ધર્મવાળી ઉત્પન્ન થાય છે, એમ માનવું જોઈએ. કેમકે ક્રમરહિત કારણથી ક્રમવાન્ ધર્મયુક્ત કાર્યની ઉત્પત્તિ ઘટે નહિ. તેથી જયારે ભાવ હોય ત્યારે અભાવ પણ હોય, એટલે વસ્તુ ક્ષણસ્થિતિ ધર્મવાળી ક્યાંથી રહી ? અથવા પ્રથમ ક્ષણની પેઠે પછીના ક્ષણોમાં પણ ભાવ અને અભાવની સાથે અવસ્થિતિમાં વિરોધ ન હોવાથી નિરંતર વસ્તુનો સદ્ભાવ થશે. એ પ્રમાણે સ્વભાવાન્તર કલ્પના પણ કરી શકાય.
, વળી અક્ષણિક પદાર્થમાં અર્થક્રિયા ન થાય, માટે સ્વભાવાન્તર કલ્પના ન કરી શકાય, કેમ કે એ કહેલું જ અયોગ્ય છે, ક્ષણિક પદાર્થમાં જ અર્થક્રિયા ન થાય; જેમ કે (૧) નહિ ઉત્પન્ન થયેલ ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે ? (૨) ઉત્પન્ન થતો ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે? (૩) ઉત્પન્ન થયેલો ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે ? (૪) નાશ પામતો ક્ષણિકપદાર્થ અર્થક્રિયા કરે છે ? (૫) કે નાશ પામેલ ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે? આ પાંચ વિકલ્પોમાંથી ક્યા વિકલ્પ અર્થક્રિયા કરે છે ?
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org