________________
શ્રી ગણધરેન્દ્રાય નમઃ શ્રી વિશેષાવશ્યકના પૂર્વાર્ધનો ઉપોદ્ઘાત દરેક મતવાળાઓ જો કે પોતાના ધર્મનો મહિમા જણાવવા માટે કથાનો ભાગ ઘણો પ્રચલિત કરે છે અને તેનાથી જ પોતાના મતની મહત્ત્વતા સમજવામાં સફળતા માને છે અને તેથી બાળપણથી તે તે મહિમાને જણાવવા વાલી કથાઓનો જ દરેક મતમાં અભ્યાસ કરવામાં આવે છે, જો કે બાલજીવો માટે તેવી કથાઓનો ભાગ જરૂરી છે, પણ તે કથાઓના શ્રવણથી થયેલ અસર મોટી ઉમ્મરે આવતાં અથવા તત્ત્વ સ્વરૂપમાં ઉતરતાં નિર્મુલ નહિ તો ઘણી ઝાંખી થઈ જવા પામે છે, એ વાતમાં કોઈ જાતની શંકા હોઈ શકે નહિ. તેથી જ જે મતો માત્ર કથાના મહિમાથી જ ચાલવાવાળા હોય છે, તેમાં અણસમા સામાન્ય સમજવાળા વધારે પ્રવૃત્તિ કરે છે અને તેઓ પાછળથી સમજવાળા થતાં યુગોના યુગો સુધી કરેલી ક્રિયાઓ ને ભાવનાઓને વાસના સાથે છોડી દે છે. માટે સચોટ જ્ઞાન સિવાય કોઈપણ પ્રકારે સમજા તથા લાયક ઉમરનો મનુષ્ય પોતાની ક્રિયાઓ ભાવનાઓ અને વાસનાને ટકાવી શકતો નથી અને ટકાવી શકે પણ નહિં. એટલા કારણથી ઉમરની લાયકાતથી અથવા સ્વતંત્ર બુદ્ધિની લાયકાતથી મનુષ્યને તત્ત્વની ગવેષણા થાય ત્યારે તેઓએ અવશ્ય પોતપોતાના મતનું તત્ત્વજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જ જોઈએ.
આ એક સર્વ સામાન્ય હકીકત કહ્યા પછી વિશેષ અંગે શ્રીજિનેશ્વરમહારાજના શાસનમાં જે નિયમ કહેલ છે, તે ઉપર ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે અસલથી જૈનશાસ્ત્રનો રીવાજ જ એવો હતો કે કોઈપણ સૂત્રની વ્યાખ્યા કરનારે તે વ્યાખ્યામાં કદિ પણ એકલી કથા કહેવી નહિ. પણ દરેક સૂત્ર ઉપર વ્યાખ્યાન કરતાં તત્ત્વજ્ઞાન માટે આત્મા કર્મ આદિનું સ્વરૂપ તથા તેમાંના છોડવા લાયક ને આદરવા લાયક પદાર્થનો છોડવા તથા આદરવાનો વખત વગેરે જણાવા સાથે તેમાંથી છોડવા લાયક પદાર્થને છોડનાર અને આદરવા લાયકને આદરનાર પોતાના અકૃત્રિમ સાધ્યને કેવી રીતે સાધી શકે છે તે જણાવવું, એ બધું જણાવવાની જરૂર એટલી જ કે તે શ્રોતાને ઝવેરાતની કિંમત સમજવાથી ઝવેરાતને લેવાની ઈચ્છા થાય, તેમ હેયને છોડવાની તથા ઉપાદેયને આદરવાની ઈચ્છા થાય, અને જ્યારે તે શ્રોતાની સ્વતંત્રપણે તે હેયોપાદેયને છાંડવા અને આદરવાની ઈચ્છા થાય, ત્યારે તેને તે હેયના ત્યાગની અને ગ્રાહ્યને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરવાની જરૂર પડે છે.
આ સ્થળે કેટલાકોની એવી સમજ છે, કે છોડવા લાયક પદાર્થોને છોડીયે અને આદરવા લાયકને આદરીયે એટલે બસ છે. છોડવા ને આદરવાની પ્રતિજ્ઞા લેવાની જરૂર શી? પણ આ સમજણ વાસ્તવિક નથી, કારણ કે જેવી રીતે કાયાથી પાપ છોડનાર મનુષ્ય વચન અને મનથી પાપ ન રોકે, તો તે જરૂર કર્મબંધનનો ભાગી થાય છે. તેવી જ રીતે જે મનુષ્ય વર્તમાનમાં પાપને રોકે છે, છતાં ભવિષ્યને માટે પ્રતિજ્ઞા કરતો નથી, તે મનુષ્ય ભવિષ્યના વિચારોથી અથવા યોગની મુસ્કલતાથી જરૂર પાપનો ભાગી થાય છે. વળી જે મનુષ્યો પ્રતિજ્ઞા કરે છે તેઓ પોતાના આત્માને તે પાપોથી જરૂર નિયંત્રિત રાખી બચાવી શકે છે. દરેક મનુષ્ય પોતાના અનુભવથી પણ જોઈ શકશે કે જેની પ્રતિજ્ઞા નથી થઈ, તે પાપોને છોડવાના વિચારો છતાં પણ તે છુટતાં નથી અને જેની પ્રતિજ્ઞા થઈ હોય છે, તે પાપો બરોબર છુટે છે. કોર્ટના ન્યાયથી જોશો તો માલુમ પડશે કે ત્યાં પ્રતિજ્ઞા સિવાય સાક્ષી કે અરજી અપાતી નથી અને આપે તો તેને હિસાબમાં જ લેવાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org