SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ભવચક્રમાં સર્વ કોઈ અરિહંતોને પ્રથમવાર થતાં સમ્યકત્વને “વરબોધિ સમ્યકત્વ કહેવાય. મિથ્યાત્વ નામનો દોષ જાય અને સમ્યકત્વગુણ પ્રગટે એટલે સંસારનાં સુખો દુઃખરૂપ લાગે. વિષયો ઝેર જેવા લાગે અને મોક્ષે જવાની તાલાવેલી જાગે. મોક્ષે જવાના ભાવથી પૂર્વના ત્રીજા ભવે વીસસ્થાનકતાની ભવ્ય આરાધના કરી સાથે સાથે સંસારની ચાર ગતિમાં અનંતાનંત જીવોને ભયંકર દુઃખમાં રિબાઈ રહેલા જોઈને આપનું અંતર કકળી ઊઠયું. એ દુઃખોથી જીવોને મુક્ત કરવા માટે આપના અંતરમાં અપાર કરુણા જાગી. “આ જીવોને સંસારના રસિયા મિટાવી, શાસનના રસિયા બનાવી, અનંતસુખનું ધામ મોક્ષપદ પ્રાપ્ત કરાવી દેવાની ભવ્યા ભાવના જાગી.” એ ભાવનાથી “શ્રીતીર્થકર નામકર્મ' નામનું ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું. છેલ્લા ભવમાં આપ માતાના ઉદરમાં પધારો છો ત્યારે માતાને ૧૪ મહાસ્વપ્નોનાં દર્શન થાય છે. એથી માતાને પરમ હર્ષ થાય છે. ગર્ભમાં ત્રણ જ્ઞાનના ધારક એવા આપને ૬૪ ઇન્દ્રો નમસ્કાર કરી “શક્રસ્તવ” સ્તોત્રથી સ્તવના કરે છે. આપનો વિશ્વકલ્યાણકારી જન્મ થાય છે ત્યારે ત્રણે લોકમાં પ્રકાશ પથરાય છે. ચૌદ રાજલોકમાં રહેલા પ્રાણીમાત્રને ક્ષણભર સુખનો અનુભવ થાય છે. છપ્પન્ન દિકકુમારિકાઓ સૂતિકર્મરૂપ જન્મોત્સવ ઊજવે છે. ૬૪ ઇન્દ્રો તથા અસંખ્યદેવો મેરુશિખર ઉપર જન્માભિષેકનો ઉત્સવ કરે છે. બાલ્યવયમાં પણ આપના જ્ઞાનની પ્રૌઢતા જોઈ લોકો આશ્ચર્યમગ્ન બને છે. યૌવનવયમાં જિતેન્દ્રિયપણું, વિનય, વિવેક અને વિરાગદશા વગેરે બધું જ અલૌકિક હોય છે. નિકાચિત ભોગાવલી કર્મો ખપાવવા માટે પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો આપશ્રીએ રોગની જેમ, રાગ રહિતપણે, ન છૂટકે ભોગવ્યા. મહાવિરાગદશામાં જીવન જીવતાં આપે અવધિજ્ઞાનથી દીક્ષાકાળ જાણી સંવત્સરી મહાદાન આપ્યું. ચારિત્ર ગ્રહણ કરતાંની સાથે જ આપને નિર્મળ એવું ચોથું મનઃપ્રર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. છદ્મસ્થઅવસ્થામાં પણ રત્નત્રયીની તેમજ દશ પ્રકારના શ્રમણધર્મની સુંદર આરાધના દ્વારા અનુપમ આત્મવિકાસ થતો ગયો. અપ્રમત્તભાવે નિરતિચાર ચારિત્રના પાલનથી, ઘોર, વીર, ઉગ્ર, તપથી, શુભધ્યાનની અખંડધારાથી, પરિષહ અને ઉપસર્ગના પ્રસંગે મેરુ જેવી ધીરતાથી ચાર ઘાતિકર્મનો ક્ષય કરી આપ લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા. વીતરાગ-અરિહંત બન્યા. આપને જન્મથી જ ચાર અતિશય હતા. કર્મક્ષયથી અગિયાર અતિશય પ્રગટ થયા અને દેવતાઓએ ઓગણીશ અતિશયો કર્યા. એમ આપ ચોત્રીશ અતિશયવંત બન્યા ! હે ત્રિલોકનાથ ! આપ અઢાર દોષથી રહિત છો માટે જ જગતમાં સાચા દેવ-સાચા ભગવાન આપ જ છો. આપ બાર ગુણે ગુણવંત છો. આઠ મહાપ્રાતિહાર્યની પૂજાથી પૂજિત છો. વાણીના પાંત્રીશ અતિશયોથી યુક્ત છો. આપ કૃપાળુનો પુણ્યદેહ છત્ર ચામરાદિ ૧૦0૮ લક્ષણોથી શોભિત છે. ગણધર ભગવંતો આપના ચરણકમલની સેવા કરે છે. ઓછામાં ઓછા એક ક્રોડ દેવતાઓ આપની સેવામાં હાજર હોય છે. આપના પરાકાષ્ઠાએ પહોંચેલા અહિંસાદિ ધર્મોના પ્રભાવે જન્મથી વૈરવાળા પ્રાણીઓ સિંહ-હરણ, ઉંદર-બિલાડી, વાઘ-બકરી વગેરે વૈરભાવ છોડી આપની પાસે પરમ મિત્રભાવને ધારણ કરે છે. સામાયિક વિજ્ઞાન શ્રુતસરિતા ૧૬૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy