________________
૩૨ ૨
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
એમાં પણ વૃદ્ધ માણસ જ્યારે પથારીવશ થઈ જાય છે, કફ નીકળે છે, ઝાડોપેશાબ અચાનક થઈ જાય છે ત્યારે તો સ્વજનો જ ઇચ્છે છે કે ડોસો કે ડોસી ઝટ જાય તો સારું. “ડોસો મરતો નથી અને માચી છોડતો નથી” જેવા તુચ્છકાર વાચક પણ પુત્રવધૂઓ માંહોમાંહે ઉચ્ચારવા લાગે છે.
વૃદ્ધાવસ્થામાં ભલભલા માણસો, શરીરથી લાચાર બની જાય છે. “કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ્ય, વોહી બાણ' એમ એટલા માટે પણ કહેવાય છે. મોટા મોટા સરસેનાપતિઓ યુદ્ધમાં અપ્રતિમ તાકાતથી વિજય મેળવે છે, પણ વૃદ્ધાવસ્થામાં તેઓ લાચાર બની જાય છે. એવરેસ્ટનું શિખર સર કરનાર તેનસિંગને વૃદ્ધાવસ્થામાં જ્યારે હૃદયરોગની ગંભીર બીમારી થઈ હતી ત્યારે એક પગથિયું ચડવા માટે બે બાજુ બે જણનો ટેકો લેવો પડતો હતો.
વૃદ્ધાવસ્થામાં સ્વજનો જ્યારે વિપરીત થઈ જાય છે ત્યારે ગ્લાનિ, નિર્વેદ, ચિંતા, તિરસ્કાર, ધિક્કાર વગેરેની લાગણી તેઓ પ્રત્યે જન્મે છે. ક્યારેક તો વૃદ્ધો પ્રગટ અથવા મનોમન શાપ પણ આપે છે.
વૃદ્ધાવસ્થામાં માણસ જ્યારે પોતાના પૂર્વકાળને યાદ કરે છે અને તેમાં પણ યૌવનના દિવસોને તાજા કરે છે ત્યારે એને થાય છે કે “અહો ! કેટલી ઝડપથી મારા યૌવનના દિવસો વહી ગયા. યૌવન એ તો જાણે સપનાની જેમ ચાલ્યું ગયું. કેટકેટલી મનની મનમાં રહી ગઈ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org