________________
૧૭૨
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
છે. પણ શ્રી નવકાર એ આપણી જીવનશકિતઓનું મુખ્ય કેન્દ્ર છે. શ્રી નવકારથી કર્મનાં આવરણો તૂટે છે. પરિણામે આત્માની મૂળગત શકિતઓનો સ્રોત બહુમુખી વહેવા માંડે છે. આ વાતની પ્રતીતિ સુદઢ રીતે આપણી શ્રદ્ધાના પાયામાં ભળી જાય તો તે શ્રદ્ધાના પરિણામે આરાધનાના પ્રવાહમાં મંદતા આવવાનો સંભવ નહીં.
વિચારોમાં ઢીલાશ કે સંસારનાં કાર્યોમાં મહત્તા આપણી આરાધનાને ઢીલી કરે છે. સંસારમાં રહ્યા એટલે સંસારનાં કાર્યોનો વિચાર અને કરવાપણું રહે તે સ્વાભાવિક છે, પણ સંસારનાં કાર્યો પુણ્યના ઉદય વિના સાચી રીતે સહેલાઈથી થતાં નથી, તે પુણ્યની ઊપજ શ્રી નવકારના એકેક પદ કે એકેક પદના અક્ષરના વિશિષ્ટ સ્મરણથી અપૂર્વ રીતે થાય છે.
એટલે સંસારનાં કાર્યોમાં સફળતા મેળવવા માટે પણ પરમેષ્ઠીઓને સ્મરવારૂપે શ્રી નવકારનો વર્ણયોગથી કરાતો જાપ સંસારી કામોની સફળતા માટે ખાસ જરૂરી છે.
શ્રી નવકાર સસારના પદાર્થોની સફળતા માટે ગણવા એમ આ ઉપરથી ન સમજવું. શ્રી નવકાર તો માત્ર આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ માટે જરૂરી કર્મોના હાસ માટે જ ગણાય. પણ કયારેક આરાધનામાં સંસારી કાર્યોની વિચારણાના ચકરાવે મન ચઢી જાય; આરાધનામાં ડોળાણ થાય; તે વખતે આ રીતે વિચારવું કે, ભાઈ! જે સંસારી કામો માટે તું વિચારે છે તે પુણ્યાઈ વિના થાય નહીં. તે પુણ્યાઈનું સર્જન અગર આડે આવતાં પાપકર્મોને ખસેડવાનું કામ શ્રી નવકારથી જ થવાનું છે.
એટલે આરાધનામાં વિક્ષેપ ઊભો કરનાર સંસારની મોહ-માયાના વિચારોને ધીમા પાડવા, તેની સફળતા માટે પણ શ્રી નવકારની ઉપાસના જરૂરી છે. એમ આપણા મનને શીખવી પ્રયત્નશીલ થવાની જરૂર છે. નહીં તો શ્રદ્ધાનો પાયો ડગમગતો કયારેક સાવ ખસી પડે અને આરાધનાથી વંચિત રહી જવું પડે એવું બને.
માટે સંસારમાં સફળતા મેળવવા તો જરૂરી પુણ્યાઈનો ભંડાર મેળવવા અગર આડે આવતાં પાપકર્મોના વિનાશ માટે શ્રી નવકાર રામબાણ ઉપાય છે. આ વાત ખૂબ ગંભીરપણે સચોટ રીતે આરાધકે ધ્યાનમાં લેવી જોઈએ.
આપણી આરાધનામાં આપણી શ્રદ્ધાનું બળ વ્યવસ્થિતપણે ઉમેરાય તો આરાધનામાં સંસારી મોહ-માયાના વિક્ષેપોનું ડોળાણ થવા ન પામે.
પ્રાથમિક કક્ષાએ આરાધનાના પાયામાં આજ્ઞા - નિષ્ઠાના મજબૂત પથ્થરો બરાબર ગોઠવાયા ન હોય તો કદાચ સંસારી મોહ-માયાના વિક્ષેપો અંતરને ડોળે, પણ જેમ જેમ આરાધનાનું બળ, જાપની સંખ્યા, જાપનો સમય વધતો જાય તેમ તેમ અંતરમાં આનંદ – ઉલ્લાસ – શ્રદ્ધાની તુષ્ટિ વધુ અનુભવાય.
વિક્ષેપોનું શમન થઈ જાય, સંસારી મોહ-માયાનું ખેંચાણ ઘટી જાય. આવું ન થાય તો નિયત સ્થાન-સમયની મર્યાદાની વફાદારીના પાલનમાં આપણી કયાંક ખામી છે. તો તે હઠાવવા પ્રયત્નશીલ થવું ઘટે. ફરિયાદી માનસ કે ઢીલું માનસ આરાધનાના પંથે હિતાવહ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org