________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વત્રિકા
૧૧૩
પ૪
પાલનપુર
૨૦-૧૦-૮૩ શ્રદ્ધા-ભકિતનું વહેણ જ્યારે સમર્પિત ભાવથી પવિત્ર બને છે ત્યારે જીવન-શક્તિઓનો અંતરંગ સ્રોત ધસારાબંધ ફૂટે છે અને આપણી સઘળી મલિનતાઓને ખેંચી આપણા જીવન પ્રવાહને નિર્મલ વહેતા ભાગીરથી ગંગાના પ્રવાહની જેમ પવિત્ર બનાવી મૂકે છે.
પરિણામે ભગત તરીકેનું આદર્શજીવન શરૂ થાય, જેમાંથી સંત જીવનની વિકસિત અવસ્થાનો પ્રાદુર્ભાવ સુશકય બને છે.
શ્રદ્ધા = એટલે અંતરંગ સ્થિર પ્રતીતિ કે આ શ્રી નવકાર અને તેની પ્રક્રિયા દ્વારા જ મારા જીવનનો વિકાસ છે.
ભકિત = અંતરંગ અહોભાવ – કેવા મહાન પુણ્યનો ઉદય મારો કે આવા વિષમ કાળમાં તરણતારણહાર પતિતપાવન શ્રી જિનશાસનની આરાધનાના પ્રાથમિક પાયારૂપ શ્રી નવકાર મહામંત્રની આરાધનાની પવિત્ર તક મળી છે.
સમર્પિતભાવ = અંતરથી ભાવોલ્લાસ સાથે કાયદાની કે રોગની ગૂંચમાં ફસાયેલ મહાન માનસિક ભાવ-વેદના ભોગવતો અસીલ કે દર્દી જેટલી નિષ્ઠા તમન્નાથી વકીલ કે ડૉકટરને તેના કહ્યા પ્રમાણે ચાલવાની તત્પરતા સાથે સરંડર થાય છે તેવો બલ્ક તેનાથી વધુ નિષ્ઠા અને આંતરિક સૂઝ સાથે શ્રી નવકાર મહામંત્રની તારકતાને જણાવનાર શ્રી તીર્થંકર પરમાત્મા - શાસ્ત્રો અને સદ્ગુરુના માર્ગનિર્દેશનને સંપૂર્ણપણે જીવનમાં ઉતારવાનો થનગનાટ.
આ ત્રિવેણી – ત્રિપુટીના સહયોગથી ગમે તેવા નિકૃષ્ટ કક્ષાએ વર્તતા પણ પામર પ્રાણીનો સહજમાં ઉદ્ધાર થઈ જાય છે.
આપણા જીવનમાં બુદ્ધિ, તર્ક, મિથ્યાભિમાન આદિ અંતરનાં દૂષણો આ ત્રિપુટીના મર્મને સમજવા દેતા નથી. વધુમાં આપણી શકિતઓના વહેણને આજ્ઞાના કેન્દ્ર તરફ વાળવાના બદલે સ્વના કેન્દ્ર તરફ વાળી દે છે, પરિણામે જીવનશક્તિઓ વધુ રૂંધાય છે.
તેથી અંતરંગ જીવન શકિતઓના સર્વાગી - સુકૃત વિકાસ માટે અંતરની નિખાલસતા સાથે શ્રદ્ધા – ભકિત અને સમર્પિતભાવની કેળવણીના સહયોગથી જીવનશકિતઓને આજ્ઞાન કેન્દ્ર તરફ વાળવા પ્રયત્ન કરવાની સૌથી અગત્યની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org