________________
દિગંબર પરંપરામાં આચારાંગ જેટલી પ્રતિષ્ઠા ધરાવતા ગ્રંથ-મૂલાચારમાં પણ ષડ્ આવશ્યકનો અધિકાર વર્ણવાએલ છે. મૂલાચારને હવે વિદ્વાનો યાપનીય સંપ્રદાયનો ગ્રંથ માને છે. તેમાં આવશ્યકનું તાત્પર્ય શ્વેતાંબર પરંપરામાન્ય આવશ્યકસૂત્રથી જ છે. આવશ્યક વિષે ‘પ્રતિક્રમણ ગ્રંથત્રયી' નામે અચેલ પરંપરા પ્રચલિત ગ્રંથમાં શૌરસેની પ્રાકૃત પ્રયોજેલ છે જે અર્ધમાગધી આવશ્યકસૂત્રને અનુસરે છે. આ પ્રતિક્રમણ ગ્રંથત્રયીના અનેક પાઠો યથાવત્ રૂપે કે વાચનાભેદ આદિ સાથે આવશ્યક સૂત્રમાં જોવામાં આવે છે. તેથી એ ફલિત થાય છે કે આ પ્રતિક્રમણ સૂત્ર મૂળમાં યાપનીય પરંપરામાં રહેલું હોવું જોઈએ. જેને પછી દિગંબરોએ અપનાવેલું છે.
આવશ્યક સૂત્રોની પ્રતિષ્ઠા શ્રી નમસ્કાર મહામંત્ર પછીના સ્થાને છે. તેના અનેક પાઠો જૈન બાળકો અને બાળાઓ નાનપણથી જ મોઢે કરે છે. આ પ્રણાલિકા અત્યાર સુધી ચાલતી આવી છે. જિનધર્મની ક્રિયાઓમાં આવશ્યકો પ્રથમ સ્થાને છે. ઐતિહાસિક રીતે અને મહત્વની દૃષ્ટિએ તેમનું સ્થાન સૌથી અગત્યનું છે. સ્નાત્ર મહોત્સવ, વિવિધ પૂજનો કે વિવિધ પૂજાઓ, દેવવંદનો ઈત્યાદિ ત્યારપછીના સમયમાં રચાયા છે.
ષડ્ આવશ્યકોને પ્રતિક્રમણમાં સમાવવામાં આવ્યા છે અને તે આત્મશુદ્ધિના અભિયાન સમાન છે. તેનાથી આત્મા અનેકગુણોથી શોભાયમાન થાય છે. આવશ્યકોની આ ક્રિયા ક્રિયાવંચક યોગ બનતા આત્મામાં સર્વજીવો પ્રત્યે ભીનાશ અને કુમાશ પ્રગટે છે. અનાદિના કુસંસ્કારોથી આત્મા વિમુખ બને છે અને જીવનો શિવ બનવાનો યોગ અહીં પ્રગટ થાય છે.
Jain Education International
૯૪
For Private & Personal Use Only
www.jainelibrary.org