________________
૨. પવિત્ર શું ?
શુદ્ધ મન
શિષ્ય પૂછે છે : ‘ગુરુદેવ, પવિત્ર શું જોઈએ ?’
ગુરુ કહે છે : ‘શુદ્ધ મન !!
માત્ર બે અક્ષરઃ મન. તમે જ્ઞાની હૉ કે અજ્ઞાની હો, મનનો પાર કોણ પામી શકે છે ? મનની સાથે જ રાગ-દ્વેષ અને મોહ સંકળાયેલા છે ! અભય, અદ્વેષ અને અખૈદ પણ મન સાથે જ જોડાયેલાં તત્ત્વો છે.
શ્રીમંત તા હોય પણ મનનો મેલો હોય તો એ શ્રીમંત હોવા છતાંય ભિખારી છે. ભિખારી હોય પણ મનનો ઊજળો હોય, મનથી મસ્ત હોય, ઓલિયા ને અલગારી હોય તો એના જેવો કોઈ શ્રીમંત નથી ! પણ મનનાં કોઇ ધારાધોરણ હોતાં નથી. ક્યારેક પ્રસન્નતાભર્યા વાતાવ૨ણમાં એ ઉદાસ થઈ જાય છે, અને ક્યારેક ઉદાસીના બળબળતા રણમાં આનંદનો કોઈ લય લહેરાય છે ! જેમ કે પથ્થરમાં ઝરણું ફૂટે !
એવી જ રીતે મનનું કોઈ પાકું ગણિત નથી. જેને એ ચિક્કાર ચાહે છે એને ચિક્કાર ધિક્કારે છે ! તો ક્યારેક ધિક્કારની વચ્ચે પણ વહાલની સરવાણી ફૂટ છે ! આપણું મન આપણને વશ ક્યાં છે ? ક્યારેક એ ભૂતકાળની સ્મૃતિમાં રમતું હોય છે, તો ક્યારેક ભવિષ્યના સ્વપ્નમાં રાચતું હોય છે ! ક્યારેક પવિત્ર સ્થાનમાં અપવિત્ર વિચારો કરે છે, તો ક્યારેક ઉકરડાની વચ્ચે પવિત્ર વિચારો કરે છે ! ક્યારેક પ્રવૃત્તિમાં ધમધમતું હોય છે ત્યારે નિવૃત્તિ ઝંખે છે અને નિરાંતની પળોમાં પ્રવૃત્તિ ચાહે છે !
આવા મનને કેમ-કેવી રીતે સ્થિર કરવું. અર્થાત્ કેવી રીતે શુદ્ધ કરવું તે ગંભીરતાથી વિચારવું જોઇએ. મનને પવિત્ર કરવાના ઉપાયો શોધી કાઢવા જોઈએ. છે ઉપાયો. ઉપાયો જાણીને અમલમાં મૂકવા પડે.
સંવાદ