________________
અને આમ દર રવિવારે ૯-૩૦ થી ૧૦-૩૦ એક કલાકની પ્રવચન યાત્રા પ્રારંભાઈ. અલબત્ત જાહેરાત કરી નહોતી. કારણ કે ભીડ જોઈતી નહોતી. ટોળું કરવું નહોતું ! પણ થોડાક પરિચિતો... જિજ્ઞાસુઓ અને પિપાસુઓની સાથે જાણે વાર્તાલાપ થતો હોય, ડાયલોગ સધાતો એવું દૃશ્ય... વાતાવરણ સર્જાતું અને આ રીતે સંવાદની સફર પ્રારંભાઈ !
સંવાદમય પ્રશ્નોત્તરી સાંભળવાની એક અનેરી-અદકેરી મજા હતી. એ વખતે આ વાતો લખાય... અક્ષરોમાં ઉતરે... તો સંવાદનું ભાથું જ્યારે જરૂર પડે ત્યારે ‘ઇન્સ્ટન્ટ થેરાપી’ની ગરજ સારી શકે. મનના અફાટ અને અગાધ દરિયામાં ઉઠતા વિકલ્પોથી બચવામાં સહાયક નીવડી શકે.
આ વાર્તાલાપને માણનારા કેટલાક એમ કહે છે... ‘હવે જીવનને જોવાની અને જીવવાની રીત થોડી બદલાઈ છે. સ્વ સાથે સંવાદ કેળવી શકાય છે અને જાત સાથે જ્યારે સંવાદ રચાય છે... ત્યારે જગત સાથેનો વિવાદ આપોઆપ સમેટાઈ જાય છે... ભીતર-બહારનો વિષાદ ઓગળી જાય છે, તો કેટલાકનું કહેવું હતું...
‘આ પ્રવચનો અમારા ભીતરને સમૃદ્ધ બનાવવામાં સહાયક બને છે... એક જાતનો ‘નશો’ બની રહે છે. આ બધી વાતો, રવિવાર અને સાડા નવ વાગ્યાની પ્રતીક્ષા રહેતી હોય છે.’ અલબત્ત સાહેબ ક્યારેય કોઈને સુધારવા કે કોઈને સંભળાવવા માટે બોલતા નથી... અંઓ તો એમના જીવનપાત્રને વધુ સમૃદ્ધ, વધુ સભર બનાવવા, બધું છલકાવવા બોલે છે. અને એ સમૃદ્ધિની છાલક તો આસપાસને પણ છલકાવી જ દેતી હોય છે.
સતત અસ્વસ્થતાના અડાબીડ વન વચ્ચે ભીતરી સ્વસ્થતાના ઉપવનને સમજણ... સ્વીકાર અને જાગૃતિના સિંચન સાથે તરોતાજા રાખવાની એમની જીદ... જોનારની આંખોને ઝળઝળીયાંથી ભરી દે છે તો અનુભવનારના અંતરને ઝળહળતું કરી દે છે ! જીવનના ‘સમ’ ઉપરની એમની પકડ ગજબની છે.
સાક્ષીભાવ... દષ્ટાભાવ... ‘અવેરનેસ’... જાગૃતિ... આ બધી વાતો બહું મોટી તપશ્ચર્યા છે... કપરી સાધના છે. પણ એ કર્યા વગર ચાલવાનું પણ નથી જ . સામંજસ્ય એ સ્વસ્થ જીવનનું રહસ્ય છે. સંતુલન એ જીવનનું મહામૂલું ધન છે.
છેલ્લાં દસ-બાર પુસ્તકો એમણે શ્યામલ રો હાઉસમાં અશોકભાઈ કાપડિયાના મકાનમાં રહીને લખ્યાં છે... પ્રસ્તુત પુસ્તક ‘સંવાદ’ ઉપરના પ્રવચનો પણ એ જ મકાનમાં થયા અને પૂજ્ય સાહેબે આ પુસ્તક પણ ત્યાં જ લખ્યું !
અશોકભાઈ તથા દેવીબેન લગભગ દરરોજ સાહેબની શાતા પૂછવા આવે-આવે એટલે વંદના કરીને એમનો પહેલો સવાલ હોય : ‘આજનો દિવસ કેવો ગયો ? આખો દિવસ કેમ રહ્યું ?' એટલે સાહેબ કહે : ‘સારું છે, ચાલે છે... !'
૬