________________
અમદાવાદ
તા. ૪-૬-૮૮ મકરન્દભાઈ,
તમને મોકલેલાં મારાં લખાણોના તમે કરેલા સ્વાગતથી ખુશી થઈ. સાંસારિક વિનાશને ખાળવા, પૂરને પાછું વાળવા તમે તો વરસોથી તમારી રીતે કામ કરો જ છો. આચાર/વ્યવહાર, વિચાર/પ્રચાર અને શિક્ષણની કક્ષાએ વિવિધ જૂથો, સંસ્થાઓ, વ્યક્તિઓ વડે આસ્થા નિષ્ઠાથી પ્રવૃત્તિ થતી રહેશે તેનું નક્કર પરિણામ આવશે જ.
સંત–ઋષિ–સદનનો પાઠ્યક્રમ તમે બરાબર વિચારીને ગોઠવ્યો છે : ભજનિક અને આખ્યાનકારની તાલીમ વેદ-ઉપનિષદ-પુરાણનું મર્મદર્શન અને ઉપાસના, તુલનાત્મક, ધર્મદર્શન- એ દ્વારા સમગ્ર ભારતમાં સંસ્કારપરંપરાની જાળવણી, વિકાસ, પોષણની દિશામાં આગળ વધી શકાશે. આ માટે જરૂરી અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને પ્રબંધકોનું આયોજન એ અનેકોનો સંયુક્ત પ્રયાસ અને સહકાર માગી લે છે. તમે અને તમારા સહયોગીઓ આ બાબતમાં કેટલાક સમયથી કાર્યશીલ હોવાનો મારો ઝાંખો ખ્યાલ છે.
આપણા આ પત્રવ્યવહારની પહેલાં જ મને એવો વિચાર આવેલો કે વરસાદ પછી બેચાર દિવસ તીથલ જવું – મારે કોઈ વાર ત્યાં જવાનું બન્યું નથી. તો અનુકૂળ સમયે, તમે નંદિગ્રામ હો ત્યારે એ ગોઠવીશ.
મુંબઈ હિમ્મત ઝવેરી, કરશનદાસ માણેકની સ્મૃતિમાં માણકલાકેન્દ્રની યોજનાએ હવે કશુંક નક્કર સ્વરૂપ આપવા સક્રિય બન્યા છે. મારી દષ્ટિએ આવી પ્રવૃત્તિ માટે મુંબઈ યોગ્ય સ્થળ નથી. પણ તેમનો પણ તમારી યોજના સાથે સહયોગ ફળપ્રદ નીવડે. ઉમાશંકરભાઈ સાથે વાત થઈ કે હમણાં તીથલ હતા ત્યારે તમને મળ્યા હતા.
“ચૂંદડી'ની વ્યુત્પત્તિ વિશેની નોંધને તમે જરૂર પ્રમાણે ઉપયોગમાં લેશો– કશો જ વાંધો ન હોય.
યુગના મનોવિજ્ઞાન પરત્વે તેના Shadow ના ખ્યાલની વર્તમાન હિંસાવૃત્તિના સંદર્ભે પ્રસ્તુતતા ચર્ચતો એક અભ્યાસલેખ હમણાં જોવાનું થયું. તેની નકલ તમને મોકલીશ- કદાચ તમને રસ પડશે. કુશળ હશો.
- હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org