________________
નામનો ઉચ્ચાર કરવો. જય પ્રભુ પાર્શ્વ !
ઉષઃકાળે ખીલેલી બે સોનેરી વાદળીઓ, સૂર્યાગમે જેમ હવામાં અદૃશ્ય થાય, એમ એ મહાન દંપતી, પાછળ લીલી વાડી મૂકીને, કાળને વર્યાં ! આંગણેથી પાળેલું પંખી ઊડી જાય, તો પણ દુ:ખ થાય, પછી આ તો સુશીલ રાજા-રાણીનો સ્વર્ગવાસ હતો.
થોડાક દિવસો શોકનિર્ગમનમાં વહી ગયા. રાજ્યકુળોમાં ઊઠતી બાદશાહી ને બેસતી બાદશાહી વચ્ચેનો કાળ કપરો હોય છે. અનેક પ્રકારની આશંકાઓથી વાતાવરણ સભર હોય છે.
પણ વર્ધમાન સંસારી સંબંધોની દૃષ્ટિએ ખૂબ ભાગ્યશાળી હતા. આદર્શ માતા-પિતા, પતિનિષ્ઠ પત્ની, ને રામને મળ્યા એવા - ભરત જેવા - ભાઈ નંદીવર્ધન એમને મળ્યા હતા ! લોકો માનતા કે સંસારમાં દુઃખ હોય એ સાધુ થાય. વર્ધમાનને દુઃખ શોધ્યું જડતું નહોતું. એવા ભાગ્યશાળીને સંસાર તજવાનું કારણ શું ?
પણ સ્થિતપ્રજ્ઞ વર્ધમાન આવડાં મોટાં પ્રેમબંધનોમાં જકડાઈને પોતાના આદર્શથી જરાય ચલિત થાય તેવા નહોતા. રાગના સાગરમાં નિમગ્ન લાગતા કુમા૨ વર્ધમાનની નસેનસમાં વિરાગની સાધના હતી ! સંસારમાં રંગ બધા કાચા હતા ! લાગ્યા ને ધોવાયા !
માતાપિતાનું સ્નેહબંધન આજે છૂટ્યું ! અઠ્ઠાવીસ વર્ષની વય થઈ ! વર્ધમાન હવે પ્રસ્થાનની તૈયારીઓ કરવા લાગ્યા. કમળદળની કેદમાં રહેલો ભ્રમર હવે સ્વતંત્ર થવાની તૈયારીમાં લાગ્યો; ત્યાં ઉદાસ ને શોકવ્યાકુલ ચહેરે મોટા ભાઈ નંદીવર્ધન આવ્યા. માથે મુગટ નથી, હાથમાં રાજદંડ નથી. અડવાણે પગે છે !
રાજકાજમાં સૌથી વધારે વેર ભાઈ-ભાઈ વચ્ચે હોય છે ! એક મિલકતના બે ભાગીદારો ! એક ઓછો થાય તો બીજાને સદ્ભાગ્ય વરે ! એક માર્ગથી હટી જાય તો બીજાને સિંહાસન વરે ! એવી આ રાજ-સંસારની લીલા !
માયા દેખી જો મુનિવર ચળે, તો સુખ, વૈભવ ને લાલસાના દાસ રાજકુમારોની શી વિસાત !
Jain Education International
For Private & Personal Use Only
૪૬ ૭ ભગવાન મહાવીર
www.jainelibrary.org