________________
તેઓએ આવતાંની સાથે જ આનંદ શ્રાવકવાળી હકીકત સવિસ્તર પ્રભુ આગળ નિવેદિત કરી : અને છેલ્લે છેલ્લે પ્રાર્થના કરી :
‘હે ભગવન્, આ વિષયમાં આનંદે પ્રાયશ્ચિત્ત કરવું ઘટે કે મારે ?’ સદા સત્યના સમર્થક ને પ્રરૂપક ભગવાન મહાવીરે લેશમાત્ર થંભ્યા વિના
કહ્યું :
‘ગૌતમ, આ બાબતમાં તારે જ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. આનંદ સાચો છે. આનંદ પાસે વેળાસર ક્ષમા યાચી લેવી જોઈએ.’
ભગવાનનો આ નિર્ણય સાંભળી તમામ સાધુઓ ને શ્રોતાગણો રોમાંચ અનુભવી રહ્યા. અરે, ખુદ પ્રભુ પોતે ઊઠીને જાહે૨માં પોતાના પટધરને હલકો પાડે છે ! ન શેહ ન શરમ ! કદાચ જ્ઞાની ગૌતમ ભૂલ્યા હોય તો ભલે ખાનગીમાં પ્રાયશ્ચિત્ત આપી દે, પણ એક શ્રાવક પાસે ક્ષમાયાચના ! અસંભવ, અશક્ય ! ક્યાં આનંદ ! ક્યાં ગૌતમ !
પણ મહાજ્ઞાની ગૌતમની દશા તદ્દન જુદી હતી. ગર્વ, અહંકાર ને અભિમાનને તો એ જીતી ચૂક્યા હતા. શાસનના એક સાચા ઉત્તરાધિકારીને શોભે ને છાજે તેવી વિનમ્રતાથી એ ઊભા થયા. ‘સાચું એ મારું'ના પૂજારીના દિલમાં પોતાના ખોટા વિધાનનો ડંખ હતો. એ સીધા શ્રમણોપાસક આનંદ પાસે પહોંચ્યા. દુનિયા તો દેખતી જ રહી ગઈ.
‘આનંદ, તમે સાચા. મારા અસત્ય વિધાન માટે હું મિચ્છા મિ દુક્કડં-માફી ઇચ્છું છું.'
જ્ઞાની ગૌતમના આ શબ્દોનો શ્રમણોપાસક આનંદ શો જવાબ આપે ? એનાં નેત્રો સજલ થઈ ગયાં. એણે બે હાથ જોડતાં કહ્યું : ‘પ્રભુ, મારી છેલ્લી ઘડી ઉજાળી ! જ્ઞાનીને શોભતી કેટલી ભવ્ય નમ્રતા ! ભવોભવે પણ અલભ્ય એવી કેવી લઘુતા ! જય, પ્રભુ મહાવીરનો જય ! જ્ઞાની ગૌતમનો જય !'
આજુબાજુ એકત્રિત થયેલી જનતા આંખમાં આંસુ સાથે જોઈ જ રહી ! અચાનક સહુના મુખમાંથી ધ્વનિ ગાજી ઊઠ્યો :
જ્ઞાની ગૌતમનો જય !'
Jain Education International
For Private & Personal Use Only
૨૨૦ ભગવાન મહાવીર
www.jainelibrary.org