________________
મહાવીરે આગળ ચલાવ્યું :
‘દીવો આખા અંધકારને દૂર કરે, તોય એની નીચે અંધકારની છાયા રહે. માણસની બુદ્ધિ દીવાની જેમ પ્રકાશે, પણ નીચે સંશયની છાયા રહે. એ છાયા કોઈ સ્વયંસંબુદ્ધ દૂર કરે. વાત નાની, પણ ગાડાના પૈડાના ખીલા જેવી. નાનકડી ખીલી ગાડા આખાને ઊથલાવી નાખે.’
ગૌતમ સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા. અરે ! ઇંદ્રજાળી મહાવીરે ખરી ઇંદ્રજાળ કરી !
‘પ્રિય ગૌતમ ! તારા મનમાં સંદેહ છે, કે જીવ છે કે નહિ. હું કહું છું કે જીવ છે. એ અરૂપી છે. એને વર્ણ નથી, સ્પર્શ કે ગંધ નથી, એ અવિનાશી છે, વિનાશી દેહમાં રહે છે, ને પુણ્ય-પાપનો, સુખ-દુ:ખનો કર્તા-ભોક્તા બને છે. એ કીડીના દેહમાં રહ્યો છે, ને હાથીના દેહમાં પણ વસ્યો છે; પણ એને આકાર નથી. ચૈતન્ય, વિજ્ઞાન, સંજ્ઞા આદિ લક્ષણોથી એ જાણી શકાય છે. જીવ ન હોય તો પુણ્ય-પાપનું પાત્ર કોણ થાય ? તું આ યજ્ઞ આદિ ક્રિયા કરે છે, એનું નિમિત્ત કોણ બને ? તેનું ફળ કોણ ભોગવે ?'
વાણી સ૨ળ છે, નિર્મળ છે. એમાં નથી છલ-પ્રપંચ, નથી મગજ પકાવી નાખનારી યુક્તિઓ ! આટલું નિખાલસ આત્મપ્રતીતિવાળું ને નમ્ર તત્ત્વજ્ઞાન એણે સાંભળ્યું નહોતું.
પાંડિત્યના પંકમાં ડૂબેલા પોતાને, જાણે બહાર નીકળી, આત્માના પંકજને ખીલવવાની કોઈ હાકલ કરતું હતું !
એમનો ઋજુસ્વભાવી આત્મા નમ્ર બની ગયો. અંદર ને અંદર જાણે એને કોઈ સાદ કરી રહ્યું હતું :
ગૌતમ મહાપંડિત હતા, સાથે સત્યના શોધક પણ હતા.
‘ગૌતમ ! અભિમાન છાંડ !
‘ગૌતમ ! પૂર્વગ્રહથી પીછેહઠ કર !
‘ગૌતમ ! પાંડિત્યનાં જાળાં દૂર કર !
‘ગૌતમ ! સત્યની ખોજ કર ! એમાં ખોવાઈ જા !'
‘સત્ય તો અંતરમાં બેઠું છે. લોકોની વાહ-વાહ અને હિરણ્ય જોઈ ભુલાવામાં ન પડશો.’
Jain Education International
For Private & Personal Use Only
૧૬૪ ૨ ભગવાન મહાવીર
www.jainelibrary.org