________________
મન નિર્ભય છે. મસ્તક ગૌરવથી ઉન્નત છે. કેસરી સિંહ જેમ વન વીંધતો અજાણી ભોમમાં સંચરે, એમ એ ઘૂમે છે. ઘૂમતાં ઘૂમતાં એ સંસારના સીમાડા પ્રેમ ને તપથી સર કરે છે !
ક્ષુધા-પિપાસા સાથે છે, પણ જાણે એય એમનો સ્વભાવ વીસરી ગયાં છે. બે દિવસે કે બાર દિવસે, બે પખવાડિયે કે ચાર પખવાડિયે, બે મહિને કે છ મહિને- જે એક ટંક લૂખું સૂકું મળી જાય, એનાથી એ સંતુષ્ટ થાય છે !
ટાઢ-તાપ પણ જાણે મહાવીર સામે હાર્યાના ગાઉ ગણે છે. મહાવીરને ટાઢ ટાઢ રૂપે નડતી નથી, તાપ તાપરૂપે તપાવતો નથી. સદા મનશાંતિ વસે છે. આશ્ચર્ય તો જુઓ ! પળી જેવું હૃદય આખા સંસારનો સમાસ થાય તેટલું વિશાળ બન્યું છે. ખોબા જેવડું પેટ. જાણે અન્નપૂર્ણાનો ભંડાર બન્યું છે ! વગર ખાધે એ તો અમૃતના ઓડકાર કાઢે છે.
દેહ પર વસ્ત્ર નથી ! પૃથ્વી પર બિછાનું નથી. હાથમાં પાત્ર નથી. મોંમાં જાણે દાદ માગનારી જબાન નથી. માગવું ને મરવું સરખું બન્યું છે. કોઈને દુભવી અન્નનો કણ પણ લેવાની ચાહના નથી.
મિત્ર પ્રત્યે મહોબત્ત નથી. શત્રુ પ્રત્યે શત્રુતા નથી. ફૂલ ને કાંટા પર સમાન પ્યાર છે. ઓળખાણની ખાણ કદી ખોદવાની ઇચ્છા નથી. પોતાની કોઈ રૂપે પણ પિછાન આપવાનો જ ઇનકાર છે. પરિચય વટાવી ખાવાની કદી વૃત્તિ કરી નથી.
જીવનની સર્વ શક્તિઓને નાણી જોવાના એ હિમાયતી છે. જીવનસંગ્રામમાં દરેક મોરચે એ લડવાના ને વિજયના ઉત્સુક છે. કોઈ વનપશુની પણ જ્યાં સલામતી નથી, એવી જગ્યાઓમાં એ વિચરે છે. પશુ, પ્રાણી કે માનવને ડારવા હાથમાં દંડ સાવા જેટલી પણ એમની ઇચ્છા નથી. જ્યાં જીવ જીવનું ખાદ્ય ખાય છે, માનવ માનવને ખાય છે- એવા પ્રદેશમાં આ ધર્મચક્રવર્તી જાય છે, ને દિવિજય સાધી પાછા ફરે છે ! કરુણા અને પ્રેમ પાસે સંસા૨ની સર્વ તાકાતનો એ છેદ ઉડાવી દે છે ! આત્મશક્તિ પાસે સંસારની સર્વ શક્તિઓને શરણાગતિ લેવરાવે છે.
આવી અબોલ પ્રેમવીણાનું મૌન, એ જ એનું ગાન છે. ગલીએગલી, નગરેનગર, અણુએઅણુ એથી ગુંજા૨વ કરી ઊઠ્યું છે ! એ અણુએ વિશાળ સંગમવિજય ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
.