________________
ક્ષણવારમાં વાતાવરણ બદલાઈ ગયું. બધાં માન-પાન આપવા લાગ્યા, પણ મહાવીર તો ત્યાંથી ચાલતા થયા. દેહનાં માનપાન તો માણસને પાડનારાં હોય છે. માન આત્મપ્રેમી હોવા જોઈએ. બંને જણા પુરિમતાલ નામના ગામના શકટમુખ ઉદ્યાનમાં જઈને રહ્યા. વર્ગુર નામના શ્રાવકે તેમનો સત્કાર કર્યો. અહીંથી ઉન્નાગ ને ગોભૂમિમાં થઈને રાજગૃહ ગયા. ત્યાં આઠમું ચોમાસું વિતાવ્યું.
ચોમાસું પૂરું થયુ, ને વળી મહાવીરની ઇચ્છા અનાર્ય ભૂમિ તરફ જવાની થઈ. હવે તો આત્મિક બળ વધી ગયું હતું. ફરી એક દિવસ અનાર્ય ભૂમિમાં બંનેએ પ્રવેશ કરી દીધો.
ફરી એ જ તાડના, એ જ તર્જના !
એ જ માર ને એ જ વિટંબના !
પણ એક વાર ખેડેલો પ્રવાસ ને અનુભવેલાં દુ:ખોમાં કંઈ વિશેષતા ન લાગી. સુખ રોજનું થતાં સુખ લાગતું નથી; દુઃખ રોજનું થતાં દુઃખ લાગતું નથી.
જ્યાં ખાવાના સાંસા હોય ત્યાં રહેવા ઘર કોણ આપે ? મહાવીરે છએ માસ ભોજન વિના ચલાવ્યું. આખો ચાતુર્માસ આશ્રય વિના વિતાવ્યો. ઝાડ, લતા કે સ્મશાન, જ્યાં આધાર મળ્યો, ત્યાં લીધો. આખરે ચાતુર્માસ વીત્યે ગુરુ-શિષ્ય પાછા ફર્યા.
Jain Education International
For Private & Personal Use Only
૧૨૪ ૭ ભગવાન મહાવીર
www.jainelibrary.org