________________
વગડાવવા માટે એટલું સાહસકાર્ય પૂરતું હતું ! પણ આ કંઈ સંસારનાં વખાણ માટેનો પ્રવાસ નહોતો, પ્રસિદ્ધિની એ પતાકા નહોતી. એ તો હતી આત્મસુવર્ણની કસોટી.
હાથમાં દીવો લઈને દુઃખને શોધવા નીકળનાર મહાયોગી મહાવીર અને આર્ય ગોશાલકે ફરી આર્ય ભૂમિમાં પ્રવેશ કર્યો, પણ આટલી કસોટી અધૂરી હોય તેમ, પહેલે પગલે એક નવી કસોટી સામે આવીને ઊભી રહી.
આર્ય ભૂમિના બે ચોર અનાર્ય ભૂમિમાં ચોરી કરવા જતા હતા. શુકનની રાહમાં હતા, ત્યાં આ બંને જણા સામા મળ્યા. આ લોકોએ આપણને અપશુકન કર્યા. એમને ઠાર કરી નાખીએ. ઉઘાડી તલવારે બંને સામે દોડ્યા, પણ અહીં તો આત્માના અજબ વીરોએ અનેક ઉઘાડી તલવારોને નમાવી હતી, તો આ ચોર કોણ માત્ર ? તપસ્તેજ પાસે તલવારનાં પાણી એમ ને એમ ઊતરી ગયાં.
મહાવીરે અનાર્ય ભૂમિમાંથી આવી, પાંચમું ચોમાસું મલય દેશની દ્દિલ નગરીમાં કર્યું. ચાર મહિનાના ઉપવાસ કર્યા. પારણું નગર બહાર કર્યું. અહીંથી કર્યાલ સમાગમ, જંબૂસડ થઈ તંબાય સન્નિવેશમાં આવ્યા. અહીં પાર્શ્વ સંપ્રદાયના નંદીષેણ સ્થવિર મળ્યા. ગોશાલકને એમની સાથે લડાઈ થઈ. મહાવીરે બેમાંથી કોઈની ભેર ન કરી.
તંબાય સન્નિવેશથી તેઓ કૂપિય સન્નિવેશમાં આવ્યા. અહીં આ કોઈ ગુપ્તચરો છે, એમ સમજી બંનેને પકડવામાં આવ્યા. વાત કઢાવવા માટે માર માર્યો, પણ બોલે એ બીજા. રાજપુરુષો પકડીને લઈ જતા હતા, ત્યાં વિજયા ને પ્રગલ્ભા નામની સાધ્વીઓ ત્યાં આવી ચઢી. એમણે મહાવીરને ઓળખ્યાઓળખાવ્યા. અહીંથી તેઓ વૈશાલીમાં આવ્યા.
નાની-મોટી હેરાનગતિઓથી હવે ગોશાલક કાયર-કાયર થઈ ગયો હતો. એણે કહ્યું : ‘હું આપનો પક્ષ કેટલો ખેંચુ છું ! તો આપ તો કોઈ દિવસ મારી ભેરમાં ઊભા જ રહેતા નથી. આપનો પક્ષ લેતાં માર ખાઈ ખાઈને હું તો અધમૂઓ થઈ ગયો.'
મહાવીરે કંઈ જવાબ ન વાળ્યો. ગોશાલક રિસાઈને અહીંથી છૂટો પડીને ચાલ્યો ગયો. નિજાનંદમાં મસ્ત મહાવીર વૈશાલીમાં એક લુહારની કોઢમાં જઈને ઊતર્યા. મોટી માંદગીમાંથી ઊઠેલો લુહાર એ જ દિવસે કામે બેસવાનો હતો.
૧૨૨ કે ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org