________________
નવી નવાઈની આ ઘટના પર એને એક ક્ષણ આશ્ચર્ય જાગ્યું, પણ ક્રોધ વિવેકને વીસરાવે છે. વિવેક વિસરાય તો જ ક્રોધ થાય ને ! સાપ આગળ વધ્યો. એ ગૂંચળું વળ્યો, શરીરને તીરની જેમ તાણ્યુંને પછી ભાથામાંથી બાણ છૂટે એમ છૂટ્યો - સીધો જઈને મહાવીર પાસે. પડતાની સાથે એણે મહાવીરના પગના અંગૂઠે જોરથી ડંખ દીધો.
ડંખ તે કેવો ? અંદરથી લોહીનો ફુવારો છૂટ્યો. લોહી તે કેવું ? ધોળું દૂધ જેવું ! માના ધાવણ જેવું !
અને મહાવીરનું મુખ તો જુઓ. કેવું ભાવભર્યું છે એ ! વાત્સલ્યધેલી માતા જ જોઈ લો ! રે, માતાના અંતરના પ્રેમ-રસાયનમાં જ એ કરામત છે, કે પુત્ર માટે પોતાના લોહીને પળવારમાં દૂધમાં ફેરવી નાખી શકે છે !
માતાના હૈયાનો પ્રેમ એવો છે. એને વટી જાય તેવું માતૃત્વ મહાવીરના હૃદયમાં હતું. માતા તો પોતાના પુત્ર માટે જ પ્રેમ ધરાવતી હતી : મહાવીરરૂપી માતાનું વાત્સલ્ય તો જગતના જીવમાત્ર પર અનરાધાર વરસતું હતું !
ક્રોધનો ભંડાર ચંડકૌશિક આ જોઈ સ્તબ્ધ થઈ ગયો. આશ્ચર્યના આઘાતથી એ અંતરમાં ઘાયલ થઈ ગયો, ત્યાં તો મહાવીરના મુખમાંથી શબ્દો સર્યા... સુકાયેલી ધરતી પર જાણે વર્ષાનાં રિમઝિમ વાદળ વરસ્યાં :
ચંડકૌશિક ! ભાઈ ! “સમજ ! સમજ!'
સાચા પ્રેમની ભાષાને માનવ તો શું, પશુ તો શું, પથ્થર પણ સમજે છે. પથ્થરહૃદયનો સાપ પણ આ શબ્દરૂપી રસાયનથી પીગળી ગયો. કાળભૈરવસમો કાળોતરો લાંબો સોટ થઈને મહાવીરના ચરણ પાસે પડ્યો.
ગુરુનું મૌન શિષ્ય માટે વ્યાખ્યાન બન્યું. પડ્યો પડ્યો સાપ જાણે દિવ્ય વાણી સાંભળી રહ્યો. અભય સામે ભય નિર્માલ્ય છે. “જે બીતો નથી, બિવરાવતો નથી, એ વીર છે ! દૂધથી ભરેલા ઘડામાં જેમ વિષનું એક જ ટીપું,
૯૦ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org