________________
પુરોવચન
(પ્રથમ આવૃત્તિ વખતે)
એ દિવસે યુદ્ઘ આવ્યું. અને એ દિવસે જગતમાં પરિવર્ત આવ્યો. યુદ્ધ તો પૂરું લડાયું નહીં, પણ એના વિચારે, એની પૂર્વતૈયારીઓએ જગતનો ચહેરો-મહોરો કેવો ફેરવી નાખ્યો. જગતમાં કામ-કષાયનો કેવો વરસાદ વરસાવ્યો અને એ વર્ષામાં માનવતાની રક્ષા કાજે બત્રીસાઓનો કેટલો આપભોગ આપવો પડ્યો : એની આ કથા છે.
કથાવસ્તુ પ્રાચીન છે. પ્રાચીનમાં પ્રાચીન છે. ચક્રવર્તી ભરતદેવ અને કામદેવના અવતાર લેખાતા એમના ભાઈ બાહુબલી (ગોમટેશ્વરની મૂર્તિવાળા)ની વચ્ચે વહેતાં પ્રેમ ભક્તિ, વૈર, યુદ્ધ અને સમર્પણની આ કથા છે. માણસ મોટાઈ ત૨ફ ખેંચાય, મહત્તા તરફ આકર્ષાય, સત્તા ચલાવવાનો શોખીન બને એટલે યુદ્ધના ઝંઝાવાતો કેવી રીતે અનિવાર્ય બને છે એ આમાં બતાવ્યું છે. યુદ્ધની ભીષણતાનો કંઈક ખ્યાલ આપવા આમાં યથાશક્ય યત્ન કર્યો છે.
આજે યુદ્ઘના પડછાયા આખા જગત પર વિરાટરૂપે પથરાઈ ગયા છે. મહાજોગણીઓનાં કાળ-ખપ્પર જાણે માનવરક્તનાં ભૂખ્યાં બન્યાં છે, માનવસંહારનાં સાધનો પાછળ જગતની મહાલક્ષ્મી વપરાઈ રહી છે; અને એ સંહારની સામે પ્રતિસંરક્ષણને નામે પ્રજાના પેટનો કોળિયો ઝૂંટવાઈ રહ્યો છે, મહાસત્તાઓ બેફામ ખર્ચાઓ કરી રહી છે ! માણસાઈ પિલાઈ રહી છે, પશુતાનો જય અને પ્રભુતાનો પરાજય થાય તેવો ભય ઊભો થયો છે. એ યુદ્ધની ભૌતિક અને આધ્યાત્મિક રીતભાતની આમાં ચર્ચા કરવાનો યત્ન છે.
આ નવલકથા એક રીતે સ્વતંત્ર છે, છતાં એના પુરઃસંધાનમાં ભગવાન ઋષભદેવ’ અને ‘ચક્રવર્તી ભરતદેવ' નામની બે નવલકથાઓ પ્રગટ થઈ ગઈ છે, જેમાંથી પહેલી નવલકથાની હમણાં બીજી સુંદર આવૃત્તિ (સસ્તી કિંમતે) પ્રગટ પણ થઈ ગઈ છે. જેને પ્રારંભથી અંત સુધી કથાપ્રવાહનો રસ માણવો હોય, એને માટે ઉપર્યુક્ત બંને નવલકથાઓ વાંચવી ઉપયોગી થશે.
આ નવલકથા મૂળ ચાલુ વાર્તારૂપે રાજકોટના સુપ્રસિદ્ધ દૈનિક જયહિંદ'માં પ્રગટ થઈ હતી. આ પુસ્તક અંગે મારે પ્રથમ આભાર ‘જયહિંદ’ દૈનિકના તંત્રી શ્રી બાબુભાઈનો માનવો રહ્યો. દૈનિક પત્રમાં નવલ લખવાનો આ મારો પહેલો અખતરો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org