________________
જ
રાજદૂત હંસની વાત
:
રાજદૂત હંસે ચક્રવર્તી રાજા પાસે પોતાની વાત આગળ વધારતાં કહ્યું સ્વામિન્ ! આપના અઠ્ઠાણું બાંધવો સાથે અમે અષ્ટાપદ પર્વત પર ગયા. આપના પિતાશ્રી અને વિશ્વપિતા ભગવાન ઋષભદેવ ત્યાં બિરાજતા હતા. શું ત્યાંની શાંતિ ! શું એ પ્રદેશની શોભા ! વગર વસંતઋતુએ જાણે ત્યાં વસંતઋતુ ખીલી હતી. અષ્ટાપદની આઠ પરકમ્માઓ પર ભાતભાતનાં ફૂલોએ જાજમ બિછાવી હતી. ને ભમરાઓએ ગુંજારવ આદર્યા હતા.
પંખી તો આનંદમાં ચારેતરફ ટહુકતાં ફરતાં હતાં. મોર ઠેરઠેર કળા કરી રહ્યા હતા, ને હરણાં કસ્તૂરીની મહેક સાથે આ વનથી પેલે વન છલાંગો મારતાં ગેલ કરતાં ફરતાં હતાં. વગર વાંસળીએ સર્પરાજ મનને આનંદ પમાડે એ રીતે ડોલતા હતા. તળાવોની શોભા અપાર હતી. કમળનો પરાગ લઈને પવન વહેતો હતો.
ચક્રવર્તી દેવ ! શું કહું આપને ! રાજદૂતે કહ્યું : મેં મારી સગી નજરે નિહાળ્યું છે, કે માથી વિખૂટું પડેલું ગોવત્સ ભૂલથી વાઘણને પોતાની મા સમજીને ધાવતું હતું; ને કલ્યાણી ગાયો દોડીને વાઘનાં શિશુને પોતાનાં બાળ સમજી ચાટી રહી હતી ! જાણે જન્મજાત વેર પણ ત્યાં ભુલાઈ ગયાં હતાં ! પ્રેમ, પ્રેમ ને પ્રેમ ! ભયનું નામ નહિ ! સહુ નિર્ભય !'
રાજદૂત હંસ વાત કરતો કરતો અડધો થઈ ગયો. જાણે એ ખોવાઈ ગયો હોય તેમ થોડી વાર શાંત ઊભો રહ્યો. ચક્રવર્તી મહારાજ ભરતદેવે એની આ સુષુપ્તિને ઢંઢોળતાં કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org