________________
ભૂમિમાત્ર ભરતની હતી !
આ કારણે આખા દેશનું નામ ભરતભૂમિ પડ્યું હતું.
ભરતભૂમિનો આખો નકશો પલટાઈ ગયો હતો. નિર્બળોને હક ને સબળોને માથે ફરજ એમ બેવડેદરે રાજસૂત્ર ગૂંથાયું હતું.
વન-જંગલ, જ્યાં શાસનનું નામ નહોતું ત્યાં પણ ભરત શબ્દ પહોંચતા શાસન સ્થપાઈ જતું.
‘ભરત ! ભરત ! ભરત !' આ ત્રણ શબ્દો મંત્રોચ્ચાર જેવા બન્યા હતા. એ શબ્દોના ઉચ્ચાર સાથે વનવગડાનાં વાસી પણ ભરતશાસનનાં પ્રજાજન બની જતાં છૂટાં છૂટાં ઘર અને આવાસો વચ્ચે આવજાનો ત્રણ ગાડાં જેટલો માર્ગ રાખી, નદી તટે સહુ પાસે પાસે વસી જતાં. એમાંથી પછી દશ ડાહ્યાઓ ગામનગરના સંચાલનનો બધો ભાર ઉપાડી લેતા. એ દશમાંથી એક જણ અગ્રણી બનતો; એનો શબ્દ નિયમ બનતો.
એ અગ્રણી ભરત-સિંહાસનને વફાદાર રહેતો. પછી ભરતદેવને સદેહે તો એ ન જાણે ક્યારે નીરખતો ! અહીં તો શબ્દથી જ શાસન ચાલતું.
નામમાત્રનો મહિમા વિસ્તર્યો હતો.
ભરતના નામે આતતાયીઓ ડાહ્યા થઈ જતા. દુષ્ટ લોકો પાંસરા ચાલતા. ન જાણે સૂર્ય કઈ ભૂમિ પર ઊગતો હશે, પણ એની પ્રકાશ-મર્યાદામાં આખું જગત આવી જાય છે, એમ ભરત શાસનનું બન્યું હતું.
ભરતના નામે જગતમાં સહુ સારાનું કામ ચાલતું. ભરતના નામથી ન્યાય ચૂકવાતો.
આખું જગત ભરત-શાસનથી ભર્યું ભર્યું થઈ ગયું હતું પણ ખુદ ભરતદેવનું હૃદય ખાલી થઈ ગયું હતું. એમને ભોગમાં રોગ દેખાતા હતા, શોખમાં શોક દેખાતો હતો. ચિરંજીવના આશીર્વાદમાં આયુષ્યની અલ્પતા લાગતી હતી. સદાકાળ અંતરમાં યુદ્ધ ચાલ્યા કરતું હતું.
અરીસાભવનમાં તો હવે કોણ જતું જ હતું ? ને ક્યારેક જવાનું થતું તો આત્મસમાધિ લાગી જતી. રાણી સુભદ્રાનું રૂપ તો વસંતમાં કેસૂડાં ખીલે એમ
૨૧૨ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org