SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) સંયમથી ચૂકેલા સિંહગુફાવાસી મુનિના શાન અને સમજ લાવનારી કોશા પણ શ્રાવિકા જ હતીને? પોતાનાં પાવિત્ર્ય અને તેજ–પૂંજથી ચંપાનગરીમાં બંધ પડેલાં દ્વાર ખોલાવનારી સતી સુભદ્રાના ઝાઝરમાન ઇતિહાસથી કોણ અજાણ છે? સિદ્ધર્ષિ ગણિને ઉપાશ્રયના દરવાજા સુધી પહોંચાડનાર એની માતા સંસ્કારી શ્રાવિકા જ હતીને? અનેક યશોગાથા પાછળ આવી ધર્મિષ્ઠ શ્રાવિકાઓનું યોગદાન નજરે પડે છે. પિતાનું આંગણું અજવાળે, પતિનો ઉંબરો સાર્થક કરે, છેલ્લે મોક્ષના રાહની ચાહ જગાડનારી શ્રાવિકાઓને લાખલાખ ધન્ય છે! સેવાસમર્પણથી શોભિત, સત્ય અને સ્વત્વથી અલંકારિત, શક્તિ સમજથી ભૂષિત, આર્યત્વની આન--શાન આ શ્રાવિકાઓની ભૂમિકાને ધન્ય ધન્ય! જૈનશાસનમાં શાસનપ્રભાવિકા નારીરત્નો અને માતૃત્વના અદ્ભુત નમૂનાઓ જોવાસાંભળવા મળ્યા તેમાં માત્ર ત્રણ ભવમાં જ મોક્ષગમન કરનાર માતા મરૂદેવી, પુત્રના સુખે સુખી માતા ભદ્રા, કે પુત્રની સદ્ગતિપ્રેરક માતા રુદ્રસોમા આપણા સૌની વંદનાનાં અધિકારી બન્યાં. માતૃત્વનો અદ્ભુત નમૂનો માતા દેવાનંદામાં જોવા મળ્યો. બ્રાહ્મી સુંદરીથી પ્રારંભ કરીને દાની, દયાળુ, ત્યાગી, તપસ્વી અને સહનશીલતાની મૂર્તિ સમાં સતી સુલસા, સીતા, અંજના, અંબિકા જેવાં અસંખ્ય નારીરત્નોએ ઇતિહાસનાં ઠીક ઠીક પાનાં રોક્યા છે. ભગવાન મહાવીરના સમયકાળમાં શ્રીસંઘમાં ૭૫ % શ્રાવિકારત્નો અને ૨૫% શ્રાવકવર્ગ હોવાનું કહેવાય છે. ૦ પુણ્યપ્રભાવકોનો પ્રભાવ સુકોમળ શાલિભદ્રજીએ સંસારની ક્ષણભંગુરતાનો પળનાએ વિલંબ વિના ત્યાગ કર્યો, તેના પાયામાં જિનશાસનની ઉચ્ચતમ પ્રેરણા ધરબાયેલી હતી. રૂપવતી યૌવનાઓનો સ્વામી અચાનક જ રાજમહેલોનાં સુંવાળાં સુખોને તણખલાની માફક છોડીને નિર્જન વનની વાટ પકડે છે એ ઘટના અસાધારણ ગણાય છે. યૌવનપ્રદીપ્ત સૌંદર્યના ભંડારસમી વીરાંગના કોશાના અદમ્ય આકર્ષણ સામે તરુણ સ્થૂલભદ્રજીના હૃદયનો ધબકાર ગજબ રીતે ટકરાયો અને પછડાટ ખાવાને બદલે પછડાટ ખાનારને જ એમણે ઊંચકી લીધી. ધન્ય સ્થૂલભદ્રજી! તેમના પ્રભાવે જુઓ તો ખરા, વિલાસની દાસી જિનશાસનની દાસી બની ગઈ! વાસનાને પગ તળે કચડી ઉન્નત મસ્તકે આગળ વધતા મુનિ સ્થૂલભદ્રજીના કદમે કદમે વીરાંગના કોશા પણ ધર્મી બનીને પાપો પખાળવા લાગી. આવાં દૃષ્ટાંતોથી સમજાય છે કે નારી એ ઉપાસક છે વાસનાનું સાધન નથી. આવો હતો આપણા પ્રભાવકોનો પ્રભાવ. જૈન મહર્ષિઓના પ્રભાવને કારણે અનેક રાજા- મહારાજાઓ, રાણીઓ, રાજકુમારો, સૌએ રાજવૈભવનો ત્યાગ કર્યો અને પછી આત્મવૈભવ પ્રાપ્ત કરવા આ બધા શ્રીમંતો અને શ્રેષ્ઠીઓએ ભોગવિલાસના વાઘા છોડી દઈને યોગસાધનાનો માર્ગ અપનાવ્યો. જેમનામાં સત્ત્વ અને શક્તિ પ્રગટ્યાં તે સૌએ સાધુજીવનનો સ્વીકાર કર્યો. ક્ષત્રિયો અને બ્રાહ્મણો ખૂબજ મોટી સંખ્યામાં સામેલ થયાં અને ઇતિહાસનાં તેજસ્વી પાત્રો બની ગયાં. સિદ્ધસેન દિવાકરજીએ કલ્યાણમંદિર સ્તોત્રની રચના દ્વારા અવંતિ પાર્શ્વનાથની પ્રતિમા સ્વયં પ્રગટાવી. માનતુંગસૂરિજીની ભક્તામર સ્તોત્રની રચના દ્વારા ૪૪ બેડીઓનાં તાળાં સ્વયં તૂટી ગયાં. બંધ દ્વારા સ્વયં ખુલી ગયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy