SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) અમદાવાદના શેઠ શાંતિદાસ, કચ્છના દાનવીર નરશી નાથા કે કર્મયોગી મોતીશા શેઠ જિનભક્તિના કારણે ખરેખર તો તવારીખનાં તેજસ્વી પાત્રો બની ગયાં છે. કોઈ પણ શુભ કામ સિદ્ધિની ટોચ ઉપર ત્યારે જ પહોંચે જ્યારે તેના પાયામાં ભેખધારીઓની નિષ્કામ સેવા ધરબાયેલી પડી હોય. કાળની કસોટીમાં કાંચન નીવડે તેવું એકાદ કલાત્મક સત્કર્મ કરી છૂટીએ તો જીવન કતાર્થ થાય તેમ માનનારા અમદાવાદના શેઠ હઠીસિંગ અને તેમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણી કુમકુમ પગલાંનાં સદ્ભાગી હતાં. આ ધર્મપ્રેમી દંપતીએ અમદાવાદનાં ધર્મકાર્યોમાં અઢળક નાણું વાપર્યું. મંદિરોના નિર્માણમાં અખૂટ ધનરાશિનો ઉપયોગ કર્યો. એમણે ઊભા કરાવેલા શિલ્પકળાયુક્ત જિન મંદિરના પ્રાંગણમાંજ આ ગ્રંથનું વિમોચન થાય છે તેને અમારુ પરમ સદ્ભાગ્ય ગણીએ છીએ. * ૦ શાસનના જ્યોતિર્ધરોનું યુગદર્શન છેલ્લા દોઢ બે દાયકામાં જૈનોની પ્રબળ ધર્મભાવનાએ જોર પકડ્યું છે. તેનાથી જૈન ધર્મ પ્રત્યે સૌની આશા, શ્રદ્ધા ઓર વધી જાય છે. આમ થવાનું કારણ પૂ. આચાર્ય ભગવંતોના આચારવિચારનો પ્રભાવ છે.. મહાન વિભૂતિ હેમચન્દ્રાચાર્યને વિદેહ થયાને નવસો વર્ષ થયાં છતાં કવિતા અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કોશ અને ન્યાય, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપસ્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકારણ અને લોકકલ્યાણ એવાં વિવિધ ક્ષેત્રોને આવરી લેનારું છ સાત દાયકા જેટલા દીર્ધકાળ સુધીનું ચિરંજીવ કાર્ય ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિએ કર્યું હશે. તેના પ્રતાપે જ સારસ્વતયુગનાં અત્રે પગરણ મંડાયાં. પાટણમાં રાજલક્ષ્મી, સરસ્વતી અને ધર્મનો ત્રિવેણી સંગમ, રચનાર આ વિદ્યાનિધિએ એ સમયનાં આંદોલનો ઝીલ્યાં અને કૃતિઓમાં વહાવ્યાં. તત્ત્વવિશારદ, શાસ્ત્રસર્વજ્ઞ, શ્રુતકેવલી ઉપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ. કાશીમાં ૫૦૦ નૈયાયિકોપંડિતોને પરાજિત કરી ન્યાયાચાર્ય નામે સુખ્યાત થવા છતાં ભારે વિનમ્ર અને રત્નત્રયોના પરમોપાસક હતા. એ બીજા હેમચંદ્રાચાર્ય અને જૈન સંપ્રદાયના શંકરાચાર્ય ગણાયા છે. વિક્રમ સં. ૧૭૪૩માં ડભોઈની પુણ્યભૂમિ ઉપર તેમનું અંતિમ ચોમાસું હતું. વિપુલ અને વૈવિધ્ય સભર સાહિત્યસર્જનમાં લાવણ્યસમય, સમયસુંદર, જિનહર્ષ, ઋષભદાસ, ઉદયરત્ન, સહજસુંદર, ગુણવિજય, દીપવિજય અને જયવંતસૂરિ વગેરેનું ભારે યોગદાન નોંધાયેલું છે. વીસમી સદીના સૂરિચક્રવર્તિ આચાર્યપ્રવર વિજયનેમિસૂરિદાદાનું મહોદાર યશસ્તિલક નામ અગ્ર હરોળમાં છે. ગ્રંથસંરક્ષણ, કદંબગિરિ, શેરીસા, રાણકપુર, ખંભાતનાં તીર્થો અને ગામડાંઓનાં જિનાલયોનો ઉદ્ધાર કરાવ્યો. પૂજ્યશ્રીની પુણ્યતિથિ દિવાળીને દિવસે જ પૂ. આ.શ્રી કુન્દકુન્દસૂરિજી મ.ની નિશ્રામાં ગ્રંથ ખુલ્લો મૂકાય છે તેથી ધન્યતા અનુભવાય છે. સાગરાનંદસૂરિજીએ આગમજ્ઞાનના પ્રસાર દ્વારા, મુનિશ્રી પુણ્યવિજયજીએ પ્રાચીન ગ્રંથોના સંશોધન દ્વારા, પ્રેમસૂરીશ્વરજીએ અનેક દીક્ષાર્થીઓને ઊભા કર્યા. એ ઘટનાઓ દ્વારા જૈનશાસનનો જયજયકાર પ્રવર્તતો રહ્યો. અર્વાચીન યુગમાં વલ્લભસૂરિજીએ ઠેર ઠેર સરસ્વતી--મંદિરો સ્થાપવાની ઘોષણા કરી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy