SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રૂથી લપડાયેલી આગને ગમે એટલી દબાવી રાખે તો પણ ભડકો થયા વિના રહે જ નહિ. પાપરૂપી આગ પણ બાળ્યા વિના રહેતી નથી. એ વિદ્યાર્થી ગ્રંથ આપી આવ્યા પછી ત્રણ માસ પસાર થઈ ગયા. એક દિવસ એનો જાપાનીસ મિત્ર એને ત્યાં આવ્યો. પેલો કંઈ કામે બહાર ગયો, અને આ મિત્ર પોતાના મિત્રને ત્યાં શું સુંદર સાહિત્ય છે, તે ફેંદવા લાગ્યો. ફેંદતાં ફંદતાં એણે પેલાં ચાર ચિત્રો જોયાં. એણે વિચાર કર્યો કે આની પાસે આ ચિત્રો ક્યાંથી ? આ તો પેલા પ્રસિદ્ધ પુસ્તકનાં ચિત્રો છે, અને એ પુસ્તક તો આ પુસ્તકાલય સિવાય ક્યાંય ન મળે. એમ વિચારી ચિત્રો ત્યાં મૂકી, એણે પુસ્તકાલયમાં તપાસ કરી, તો જણાયું કે ત્રણ માસ પહેલાં એનો મિત્ર પુસ્તક લઈ ગયેલો, અને એમાંથી ચિત્રો ફાડી લીધેલાં. તે મિત્રે પુસ્તકાલયના અધિકારીને આ વાત જણાવી અને અધિકારીએ તપાસ કરી એ ચિત્રો પાછાં મેળવ્યાં. પણ તમે જાણીને ખુશ (?) થશો કે, એ પછી ત્યાં એવો એક ધારો થયો કે, “હિંદુસ્તાનના કોઈ વિદ્યાર્થીને આ પુસ્તકાલયમાંથી પુસ્તક આપવું નહિ.' કેવો નિયમ ! સંયમ વિના પ્રમાણિકતા આટલી હદે પલાયન થઈ છે માટે કહેવું પડે છે કે, હવે તો ચેતો. વિશ્વના કચરાને ઘરમાં ઘાલવો છે ? તમે જગતને સુધારવાની મોટી મોટી વાતો કરી સમયને બરબાદ ન કરો. હમણાં એક વર્ષને માટે, માત્ર એક જ વર્ષને માટે, તમે બીજાને સુધારવાનું માંડી વાળો અને માત્ર તમારી જાતને જ સુધારો. પછી જુઓ કે પરિણામ કેવું આવે છે ? “All are good if we are good.' જાતને સુધાર્યા વિના બીજાને સુધારવા જશો તો તમેય બગડશો ને તમારા સમાગમમાં આવનારને પણ બગાડશો. માટે તમે તમારા સ્થાન પર સ્થિર થાઓ. ગ્રીસવાસી આર્કિમીડીઝ કહેતો કે, “મને ટેકા માટે હાથમાં એક દંડ મળે અને ઊભો રહેવા માટે પૃથ્વી બહાર કોઈ સ્થિર સ્થાન મળે તો હું આખા વિશ્વનું પરિવર્તન કરી શકું.” અરે રે, આ માણસને આખા જીવનમાં એવું સ્થિર સ્થાન મળ્યું નહિ, તે માટે એના પર દયા આવે છે : પણ હું તમને કહું છું કે, તમને તો એવું સ્થિર સ્થાન આજે પણ મળી શકે તેમ છે અને તે છે તમારો આત્મા ! આત્માના સ્થિર સ્થાન પર સંયમનો દંડ હાથમાં લઈને, ઊભા થઈ જાઓ, હું તમને કહું છું કે, સંયમના આધારથી તમે આખા જગતને ફેરવી શકશો. પછી કોઈની તાકાત નથી કે તમને કોઈ હલાવી શકે કે ડોલાવી શકે ! સર્વનો માલિક આત્મા છે. હવે તો જાગો ! ૯ ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy