________________
[e] વિદ્વાનને તેનો પરમાર્થ ખ્યાલમાં આવી ન શકે, જેમ કે ૧૪મી વિંશિકાના ૪થા શ્લોકમાં‘શિવગુરુવળસંĚિ’ આવું કહેવા દ્વારા ૩ પ્રકારના પ્રત્યયની વાત કરેલ છે. યોગબિંદુ ગ્રન્થમાં જે વાતને બે શ્લોક દ્વારા (૨૩૧/૨૩૨) તેઓશ્રીએ જણાવી છે તે જ વાત અહીં એક શ્લોકના ચોથા પદ દ્વારા જણાવેલ છે. અધુરામાં પૂરું લહિયાઓની બેદરકારી, પ્રમાદ વગેરે કારણે તેમ જ મુદ્રણદોષ વગેરેના લીધે મૂળગ્રન્થની એક પણ સર્વાંગશુદ્ધ પ્રતિ મળી શકી નથી. જે હસ્તલિખિત પ્રતો મળે છે તેમાં અશુદ્ધિઓ ઘણી છે. આ બધી બાબત ઉપરથી વાચકવર્ગને ખ્યાલ આવી શકશે કે આ ગ્રન્થરત્ન ઉપર સંસ્કૃતભાષામાં કલમ ચલાવવી કેટલી અઘરી હશે ? આવું અઘરું-કપરું પરોપકારનું કાર્ય પૂજ્ય આચાર્યશ્રીએ ઘણી જહેમત ઉઠાવી ખંતથી કરેલ છે એ વર્તમાનસંઘનો વિશિષ્ટ પુણ્યોદય ગણાય.
ઘણા સ્થળે ટીકાકારશ્રીએ સૂરિપુરંદરના ભાષાસંક્ષેપના તાળા ખોલી અસંક્ષિપ્ત પદાર્થોને ખુલ્લા કર્યા છે. ભગવદ્ગીતા વગેરેના અન્યદર્શનના ગ્રંથોના સંવાદ તથા ભગવતીજી, ઉપાસકદશાંગ, યોગબિંદુ, યોગશતક વગેરે સ્વદર્શનના ગ્રંથોના સંવાદ અને મૂલાચાર વગેરે સ્વદર્શનના અન્ય સંપ્રદાયના ગ્રન્થોના સંવાદ દ્વારા મૂળગ્રન્થને સમૃદ્ધ તથા વ્યાપક કરવાનો પ્રયાસ પણ સ્તુત્ય છે. ટીકામાં સૃષ્ટિવાદની મીમાંસા પણ અદ્ભુત છે, તો કુલનીતિધર્મોની છણાવટ પણ બેનમુન છે. પુદ્ગલપરાવર્તની વ્યાખ્યા, કારણપંચક વિચારણા, ધર્મબીજાદિ વિવેચન સમ્યગ્દર્શનપ્રાપ્તિની પ્રક્રિયાનું વિવરણ, આગમાનુસારે દાનની છણાવટ, પૂજાવિધિ-પ્રકાર-ફળ વગેરેનું નિરૂપણ, શ્રાવકધર્મકર્તવ્યની સંકલના, શ્રાવકપ્રતિમાઓનું વિધિસર પ્રતિપાદન, યતિધર્મ અને તેના અવાન્તર ભેદોની સચોટ નિરુક્તિ, યતિશિક્ષાનો અદ્ભુત કસબ, ગોચરી શુદ્ધિનો નિર્દેશ, ગોચરીના અંતરાયોનો આવિષ્કાર, આલોચના અને પ્રાયશ્ચિત્તની સતર્ક રજુઆત, યોગભેદ વિવેચન, નયભેદથી ધ્યાનયોગની વ્યવસ્થા, સિદ્ધસુખની ગણિતની રિભાષામાં આપેલી સરળ સમજણ વગેરે દ્વારા ટીકા સમૃદ્ધ બનેલ છે.
દીર્ઘકાલીન અધ્યાપન, વિશાળ વાંચન વગેરે પિરબળોના લીધે ટીકાની રચના કરનારા પૂજ્ય આચાર્યશ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજે આ પૂર્વે પણ આચારાંગઅક્ષરગમનિકા, કલ્પસૂત્ર અક્ષરગમનિકા, વિંશિકા પ્રકરણનો અનુવાદ વગેરે અનેક અદ્ભુત નજરાણા શ્રી સંઘને આપેલ છે. સંસ્કૃત-ગુજરાતી ભાષામાં હજુ આવા અનેક સ૨ળ સફળ સાહિત્યસર્જન તેઓશ્રીના વરદહસ્તે થતું રહે એવી મંગલકામના/અપેક્ષા તેઓશ્રીની અંતર્મુખતા, અપ્રમત્તતા, સ્વાધ્યાયરસિકતા, અધ્યાપનકુશલતા વગેરે ગુણવૈભવને જોતાં અસ્થાને નહિ ગણાય.
ભવાટવીમાં ભૂલા પડેલા જિજ્ઞાસુ વાચકવર્ગ માટે પ્રસ્તુત પ્રકાશન ભોમિયાની ગરજ સારશે એવું લાગ્યા વિના રહેતું નથી.
તરણતારણહાર જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
Jain Education International
20
For Private & Personal Use Only
લી. મુનિ યશોવિજય
ભાદ. વદ. ૧૨, વિ. સં. ૨૦૫૫ પંકજ સોસાયટી, અમદાવાદ
www.jainelibrary.org