SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૬૯ આદિ પાંચ રંગોમાંથી કોઈ રંગ હોય છે. તેમાં ચાર સ્પર્શોમાંથી કોઈ બે અવિરોધી સ્પર્શ હોય છે. એનો અર્થ એ કે પરમાણુ કાં તો ચીકણો અને ગરમ, કાં તો ચીકણો અને ઠંડો, કાં તો રૂક્ષ અને ઠંડો, કાં તો રૂક્ષ અને ગરમ હોય છે. ત્યણુકથી લઈને અચિત્ત મહાસ્કન્ધ સુધીના સ્કન્ધો પરમાણુનું અનુમાન કરવામાં લિંગ છે. આ રીતે પરમાણુ નિરવયવ છે તેમ જ પરસ્પર અસંયુક્ત છે. ત્યણુકથી લઈને અનન્ત પરમાણુઓના બનેલા સ્કન્ધ સુધીના બધા જ સ્કન્ધો સાવયવ અને પરમાણુઓના સંઘાતરૂપ છે, એટલે આપણે પ્રાયઃ તેમને રાખી શકીએ છીએ, લઈ શકીએ છીએ, આપી શકીએ છીએ, તાત્પર્ય એ કે જગતનો સઘળો વ્યવહાર સ્કલ્પો દ્વારા જ ચાલે છે.] પુદ્ગલનો અન્તિમ અવિભાજય નિરંશ ભાગ અણુ યા પરમાણુ કહેવાય છે. અને એક મુક્ત (free) અણુ જેટલી જગા રોકે તેને પ્રદેશ કહેવાય છે. આ પ્રદેશ આકાશનો અન્તિમ અવિભાજય નિરંશ અંશ છે. આકાશના અનન્ત પ્રદેશો છે પરંતુ તેના જેટલા ભાગમાં સઘળાં દ્રવ્યો રહે છે તે લોકાકાશના અસંખ્યાત પ્રદેશો છે. ધર્મદ્રવ્યના અન્તિમ અવિભાજ્ય નિરંશ અંશોને પણ પ્રદેશ કહે છે. તેના અસંખ્યાત પ્રદેશો છે અને ધર્મદ્રવ્યનો એક પ્રદેશ આકાશનો એક પ્રદેશ રોકે છે. ધર્મદ્રવ્ય લોકાકાશને વ્યાપી રહેલું વ્યક્તિશઃ એક જ દ્રવ્ય છે. એટલે ધર્મદ્રવ્યનો એક એક પ્રદેશ લોકાકાશના એક એક પ્રદેશ પર બરાબર બંધ બેસતો સદા રહે છે. ધર્મદ્રવ્યની જેમ જ અધર્મદ્રવ્યની બાબતમાં સમજી લેવું. જીવદ્રવ્યના અન્તિમ અવિભાજય નિરંશ અંશને પણ પ્રદેશ કહે છે. જીવદ્રવ્યના અસંખ્યાત પ્રદેશો છે. જ્યારે જીવદ્રવ્યનો પ્રત્યેક પ્રદેશ સંપૂર્ણ વિસ્તરે છે ત્યારે આકાશના અસંખ્યાત પ્રદેશોના એક એક પ્રદેશ ઉપર જીવદ્રવ્યના અસંખ્યાત પ્રદેશોનો એક એક પ્રદેશ રહે છે (આવી સ્થિતિ કેવલિસમુઘાત વખતે જ હોય છે, પરંતુ જીવદ્રવ્યના પ્રદેશો જ્યારે સંકોચાય છે ત્યારે તે જીવદ્રવ્યના અસંખ્યાત પ્રદેશો લોકાકાશના અસંખ્યાત પ્રદેશો રોકતા નથી પરંતુ અત્યન્ત ઓછા પ્રદેશો રોકે છે. એટલે અસંખ્યાત પ્રદેશોવાળો જીવ કીડીના શરીરમાં પણ સંપૂર્ણપણે સમાઈ જાય છે. જૈન મતે શરીરી જીવ શરીરની બહાર અંશમાત્ર પણ હોતો નથી. એક મુક્ત અણુ જેટલી જગા રોકે તે આકાશનો એક પ્રદેશ છે. આપણે જાણીએ છીએ કે પુદ્ગલદ્રવ્ય લોકાકાશમાં જ છે અને લોકાકાશના પ્રદેશો અસંખ્યાત જ છે. જૈન મતે અણુઓ અનંત છે. એટલે પ્રશ્ન થાય છે કે અનન્ત અણુઓ લોકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં કેવી રીતે સમાઈ શકે? જૈનનો ઉત્તર છે કે એક મુક્ત અણુ આકાશનો એક પ્રદેશ રોકે છે પરંતુ એકથી વધુ અનન્ત સુધીના અણુઓના બનેલા સ્કન્ધને માટે એ જરૂરી નથી કે તે જેટલા અણુઓનો બનેલો હોય તેટલા જ આકાશપ્રદેશો તેણે રોકવા જોઈએ, તે સ્કન્ધ તો એક આકાશપ્રદેશમાં કે અસંખ્યાત કરતાં અત્યન્ત ઓછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy