________________
ધર્મઘોષસૂરિગચ્છીય (રાજગચ્છીય) અમરપ્રભસૂરિકૃત ‘શત્રુંજય ચૈત્યપરિપાટીસ્તોત્ર'
પ્રથમ સંપાદકે વર્ષો પહેલાં ઉતારી લીધેલું આ સંસ્કૃતભાષા નિબદ્ધ સ્તોત્ર ઘણી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. સુરાષ્ટ્રાલંકાર શત્રુંજયપતિ ભગવાન્ યુગાદિદેવના મહાતીર્થમાં રહેલાં ચૈત્યો સંબંધમાં ઉપલબ્ધ કૃતિઓમાં આ સૌ પહેલી ઐતિહાસિક મૂલ્ય ધરાવતી સ્તોત્રાત્મક એવં ચૈત્યપરિપાટી રૂપી કૃતિ છે. સં. ૧૩૬૯ / ઈ સ ૧૩૧૩માં થયેલા તીર્થભંગ પૂર્વેની આ રચના હોઈ, તેનું મૂલ્ય સ્વયમેવ વધી જાય છે. કૃતિની રચનાનો સંવત ૧૩૨૬ / ઈ. સ. ૧૨૭૦ બતાવ્યો હોઈ તે ભંગ પશ્ચાત્ રચાયેલા (આ ગ્રંથમાં પુનઃ પ્રકાશિત) “પુંડરીકશિખરીસ્તોત્ર” તેમ જ ખરતરગચ્છીય આચાર્ય જિનપ્રભસૂરિના સુપ્રસિદ્ધ ‘શત્રુંજયકલ્પ” (સં. ૧૩૮૫ | ઈ સ૰ ૧૩૨૯) અતિરિક્ત મેરુતુંગાચાર્ય કૃત પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ / ઈ. સ. ૧૩૦૫)થી પણ પૂર્વેની કૃતિ હોઈ, તપાગચ્છીય ધર્મકીર્તિગણિ(ધર્મઘોષસૂરિ)ના શત્રુંજયકલ્પ (પ્રાયઃ ઈ સ ૧૨૬૪)ની જેમ શત્રુંજયતીર્થની ઇતિહાસ-વિષયક ગવેષણામાં તેની ઉપયુક્તતા સ્પષ્ટતયા સવિશેષ બની રહે છે.
કૃતિના અંતિમ ચરણમાં કર્તાએ પોતાનું નામ કેવળ “આનંદસૂરિગુરુના શિષ્ય” એટલું જ બતાવ્યું છે : પણ પ્રતિની સમાપ્તિ-નોંધમાં “અમરપ્રભસૂરિકૃત” કહ્યું છે. આથી પ્રતિલિપિકારને મૂળ કર્તાની જાણ હોય તેમ લાગે છે. ધર્મઘોષસૂરિગચ્છીય આનંદસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિની એક અન્ય કૃતિ, ત્રિભુવનતીર્થમાળા (અપભ્રંશ ભાષામાં નિબદ્ધ), મળી આવી છે, જેનો રચનાકાળ સં. ૧૩૨૩ / ઈ સ ૧૨૬૭ છે : જ્યારે સાંપ્રત કૃતિ તેનાથી ત્રણ જ વર્ષ બાદ રચાયેલી હોઈ, સંદર્ભગત આનંદસૂરિ તે રાજગચ્છીય ધર્મઘોષસૂરિના આમ્નાયમાં થઈ ગયેલા આનંદસૂરિ, અને અહીં અધ્યાહાર રહેલ ‘શિષ્ય’ તે પ્રતિલિપિકારે સૂચવ્યા મુજબ અમરપ્રભસૂરિ જ હોવા અંગે શંકાને ભાગ્યે જ સ્થાન છે.
કર્તાએ આ સ્તોત્ર દશ પદ્યમાં બાંધ્યું છે. એકથી નવ પદ્ય શાર્દૂલવિક્રીડિત છંદમાં છે, જ્યારે છેલ્લું પદ્ય ઉપજાતિમાં ઢાળ્યું છે. એ છેલ્લા પદ્યમાં ગણિત-શબ્દના પ્રયોગથી (રસલોચન-લો-ચંદ્ર) રચના-સંવત્ ૧૩૨૬ (ઈ સ ૧૨૭૦) દર્શાવ્યો છે. ત્યાં સ્તોત્ર યાત્રા (પશ્ચાત્) રચ્યાની નોંધ પણ કરેલી છે.
સ્તોત્રમાં પછીની કૃતિઓને મુકાબલે પદલાલિત્ય અને બંધારણમાં સૌષ્ઠવ ઠેર ઠેર નજરે પડે છે. પ્રથમ પદ્યમાં શત્રુંજય પર્વત સંતિષ્ઠમાન તીર્થપતિ નાભેયદેવની ભાવપૂર્ણ સ્તુતિ
નિ ઐ ભા. ૧-૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org