________________
શ્રાવો મતઃ | ભાઈ હો તો આવા હજો
વિક્રમની વીસમી સદીના રાજનગરના નરરત્નોની યાદી બનાવીએ તો શ્રી મનસુખભાઈ ભગુભાઈનું નામ લેવું જ પડે. એવું તેમનું કામ અને નામ હતું. શ્રી દેવ અને ગુરુની અથાગ ભક્તિ, ઉદારતા, બાહોશી, દીર્ધદષ્ટિપણું, આ બધું તો હતું જ પણ તેમના દરિયાવ દિલના દર્શન કરાવતો એક પ્રસંગ આજે અહીં વર્ણવવો છે.
શ્રી મનસુખભાઈ ભગુભાઈ અને જમનાભાઈ ભગુભાઈ બે ભાઈઓ મૂળ પેથાપુરના પણ વર્ષોથી અમદાવાદ આવી વસેલા. શહેરમાં કાલુપુર ટંકશાળ પાસે ટેમલાની પોળમાં રહેતા. પુણ્ય જાગતું હતું. ભાગ્ય ઝગારા મારતું હતું. દેશ-પરદેશમાં એમના વ્યાપાર-વણજ ચાલે. વછિયાત-વેપારી રોજ રોજ સંખ્યાબંધ આવતા. બધાની ખૂબ મહેમાનગતિ થતી રહેતી. ઘર મોટું અને વિશાળ હતું, તો પણ નાનું લાગતું. શહેરની બહારના વિસ્તારમાં ખાનપુરમાં એક નવો બંગલો બનાવીને રહેવા લાગ્યા.
પણ આ બંગલો પણ સાંકડો પડવા લાગ્યો તેથી મનસુખભાઈ માટે એક વિશાળ બંગલો બનાવવાનો વિચાર કર્યો અને શાહીબાગ-ગિરધરનગર પાસે એક મોટો બંગલો બનાવવો એમ વિચાર્યું.
ભાઈઓ બે હતા પણ જીવ એક હતો.મનસુખભાઈને એક સંતાન - માણેકભાઈ. જમનાભાઈને સંતાન ન હતું. પણ માણેકબેન શેઠાણી જાજરમાન નારી-રત્ન હતાં. જાણે હરકોર શેઠાણીનું જ બીજું રૂપ જોઈ લો. જમનાભાઈ ભલા અને ભદ્રિક હતા. મનસુખભાઈ કાબેલ, વિચક્ષણ અને નેકદિલ હતા. વ્યાપાર-વણજ બધું તેઓ જ સંભાળતા; એટલે તેમને ત્યાં અવર-જવર વધારે રહે તેથી તેમને માટે મોટો બંગલો- બાગ-બગીચા, મોટર ગેરેજ, માળી - ધોબી વગરેની વસાહતવાળો બંગલો અને ત્યાં મનસુખભાઈને રહેવા જવાનું. અને જે ખાનપુરનો બંગલો હતો ત્યાં જમનાભાઈએ રહેવાનું; આમ નક્કી થયું. ' વિ. સં. ૧૯૭૪ની આ વાત છે. બંગલો તૈયાર થઈ ગયો. વાસ્તુનું મુહૂર્ત પણ નક્કી થયું. સગાં-વહાલાં અને મહેમાનો બધાને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં હતાં.
વાસ્તુના આગલે દિવસે બન્ને ભાઈઓ, પરિવાર, મહેતા-મુનિમને લઈને બન્ને બંગલે નજર કરવા ગયા. બધું કામ લગભગ પૂરું થયું હતું. થોડું થોડું બાકી હતું. ઠીક-ઠીક કરવાની સૂચનાઓ અપાતી હતી. બંગલાના રંગરોગાન, બારી-બારણાં, ભીંત-ફરસ-છત -- બધું જ મજબૂત, ટકાઉ અને સુંદર બન્યું હતું.
મનસુખભાઈ આમ તેમ ફરતા હતા ત્યાં એકાએક, જમનાભાઈ બારણા વચ્ચે ઊભા રહી ટગર-ટગર જોતા હતા એના પર એમની નજર પડી. મનસુખભાઈ પાસે જઈને નાનાભાઈને ખભે હાથ મૂકી પૂછે છે : જમના ! શું જુએ છે ?
જમનાભાઈ કહે : ભાઈ ! બંગલો તો સુંદર બન્યો છે.
તરત મનસુખભાઈ બોલ્યા : જમના ! તને આ બંગલો ગમતો હોય તો તું રાખે. હું ત્યાં જ રહીશ. જમનાભાઈ કહે: ના..ના..ભાઈ, આ બંગલો આપના માટે બરાબર છે. મોટાભાઈએ ફરી કહ્યુંઃ તને ગમે છે તો તું રાખ.
એક સાદી બોલ-પેન કોઈકને આપતા હોઈએ તેમ આખો વિશાળ બંગલો આપી દીધો.
બીજે દિવસે બંગલાનું વાસ્તુ થયું. જમનાભાઈની ઘર-સામગ્રી ગીરધરનગરના બંગલે આવી. ત્યારથી આ બંગલો શેઠ જમનાભાઈનો બંગલો બની રહ્યો. આજે પણ ઊભો છે.
ભાઈ-ભાઈ વચ્ચેનો આવો પ્રેમ જોઈ આપણા મુખમાંથી પણ સહજ ઉદ્ગાર નીકળે કે, ‘ભાઈ હો તો આવા હોજો.' આવા હૃદયનો નિર્મળ સ્નેહ આપણને મળે તો કેવું સારું !
કથા-પરિમલઃ ૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org