SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ વેરનો વિપાક તપસ્વીઓની દુનિયામાં એક જ્યોતિર્ધર સમા લેખાતા હોવાથી ગામ લોકોને શિખી મુનિ પ્રત્યે મમત્વ તથા બહુમાન જાગે એ સ્વાભાવિક છે. રાજા અને પુરવાસી-સ્ત્રી પુરુષોએ શિખી મુનિને પ્રેમથી વધાવ્યા. અહીં આવ્યા પછી શિખી મુનિને પિતા બ્રહ્મદત્તના અવસાનના સમાચાર મળ્યા. બીજે દિવસે મુનિ પોતે માતા જાલિનીને મળવા સામે ચાલીને ગયા. જાલિનીએ શિખી મુનિના આગમનના સમાચાર તો સાંભળ્યા હતા, એમના પાંડિત્ય અને વિરાગની સ્તુતિ પણ સાંભળી હતી. પણ વિધિની વિચિત્રતા તો એ હતી કે માતાને એ સ્તુતિ અને સન્માનમાં પણ પોતાની નિંદા-કૃણા-તિરસ્કાર મૂર્તિમંત બનતાં દેખાતાં હતાં. વેરને લીધે એને દરેક વાતમાં અવળી મતિ જ સૂઝતી હતી. એ એમ માનતી કે જે પુત્રનો મેં ત્યાગ કર્યો છે, તેનું બહુમાન વસ્તુત: મારી વગોવણી જ છે. મતલબ કે જાલિનીને જે આંખના કણાની જેમ ખૂંચવો જોઈએ તે વિશ્વને પણ ખટકવો જોઈએ અને જો એમ ન બને તો એ કાંટો ઉખેડીને ફેંકી દેવો જોઈએ. જાલિની પોતાની રચેલી જાળમાં પોતે જ અટવાઈ ગઈ હતી. જાલિની હવે એ કાંટો કાયમને માટે ગમે તે ભોગે ખેંચી કાઢવા કટિબદ્ધ બની છે. વાત્સલ્યના દંભમાં, ધાર્મિકતાના ઓઠા નીચે ખરી રીતે તો એ પોતાની પ્રપંચજાળ જ પાથરી રહી છે. શિખી મુનિ પોતે ભદ્રિક અને સરળ સ્વભાવી હોવાથી, જાલિનીના મોં ઉપર જોકે એમને ગ્લાનિની ગાઢ છાયા પથરાયેલી દેખાઈ, પણ એમણે માન્યું કે પિતાના દેહાવસાનને લીધે માતા આજે શોક-સંતમ છે. એક દિવસે પોતાને લીધે જ માતા અને પિતા વચ્ચે કલહ અને વિસંવાદ જામતો એ પ્રસંગો એમને યાદ આવ્યા. પિતા હંમેશાં પોતાનો જ પક્ષ લેતા એનું સ્મરણ થઈ આવ્યું. શિખી મુનિનું હૃદય અત્યારે વલોવાતું હતું, છતાં કાળનો એ જ ધર્મ છે, કાળ કોઈને મૂકતો નથી, એમ કહીને એમણે માતાને થોડું આશ્વાસન આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002061
Book TitleVerno Vipak
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy