________________
૨૩
ડૉ. ભોગીલાલ સાંડેસરા
સંસ્કૃત, પ્રાકૃત અને મધ્યકાલીન જૂની ગુજરાતી ભાષાના પ્રકાંડ પંડિત, જૈન આગમ ગ્રંથોના અભ્યાસી, સમગ્ર ગુજરાતમાં યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાએ યુવાન વયે પ્રોફેસર તરીકે નિયુક્ત થનાર પ્રથમ અધ્યાપક, ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ, રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર, પાટણના વતની ડૉ. ભોગીલાલ સાંડેસરાનું ૭૮ વર્ષની વયે અમેરિકામાં એમના પુત્રને ત્યાં અવસાન થયું. છેલ્લા કેટલાક સમયથી તેમને કૅન્સરની બીમારી હતી.
ડૉ. સાંડેસરાનાં દીકરા-દીકરી બધાં અમેરિકામાં રહે છે. એટલે છેલ્લાં કેટલાંક વર્ષથી તેઓ અમેરિકા આવજા કરતા હતા. આ વખતે તેઓ સતત લગભગ ત્રણ વર્ષ ત્યાં રહ્યા. એમના સાથી અધ્યાપક અને ગાઢ મિત્ર ડૉ. રણજિતભાઈ પટેલ (અનામી) અવારનવાર મને ડૉ. સાંડેસરાના સમાચાર આપતા રહેતા. કેટલાક વખત પહેલાં એમણે મને લખ્યું હતું કે જાન્યુઆરીમાં ડૉ. સાંડેસરા વડોદરા આવવાના છે. પરંતુ તેઓ આવે તે પહેલાં જ તેમના સ્વર્ગવાસના સમાચાર આવ્યા. છેલ્લા કેટલાક વખતથી સાંડેસરા દંપતીનું સ્વાસ્થ્ય સારું રહેતું નહોતું. એટલે અમેરિકા કરતાં ભારતમાં રહેવું વધુ ગમતું હતું છતાં તબિયતને કા૨ણે અને એમના દીકરા ડૉક્ટર હોવાને કારણે વૃદ્ધાવસ્થામાં અમેરિકામાં રહેવાનું વધુ અનુકૂળ રહેતું હતું. વિદેશમાં પોતે દેહ છોડશે એવું તેમણે સ્વપ્નેય ધાર્યું નહિ હોય !
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ મારા રસનો વિષય હોવાથી છેલ્લાં ઘણાં વર્ષથી ડૉ. સાંડેસરા સાથે મારે આત્મીય સંબંધ થયો હતો. વડોદરામાં હતા ત્યારે ‘પ્રભુદ્ધ જીવન’નો અંક મળતાં તેઓ અવારનવાર મારા લેખ માટે સ૨સ પ્રતિભાવ દર્શાવતા. ડૉ. સાંડેસરાના જવાથી મને એક મુરબ્બી માર્ગદર્શકની ખોટ પડી છે.
૩૬૮ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org