SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. ભોગીલાલ સાંડેસરા ૨૯૯ મંદિરના ડાયરેક્ટર હોવા છતાં પોતાના વ્યવહારમાં ક્યારેય પોતાના ઉચ્ચ પદનો ભાર લાગવા દેતા નહિ. બહુ સરળતાથી વાત કરે અને એમના ઘરે હોઈએ ત્યારે પણ બધી સગવડોનું ચીવટપૂર્વક ધ્યાન રાખે. વડોદરા હું એક દિવસ માટે પણ ગયો હોઉં ત્યારે મારો સમય નિરર્થક વેડફાય નહિ અને નીરસ ન બને એ માટે તેઓ આખા દિવસના કાર્યક્રમનું ઝીણવટથી ધ્યાન રાખતા. કેટલાંક વર્ષ પહેલાં અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ડૉ. સાંડેસરાનાં ત્રણ વ્યાખ્યાનો ગોઠવવામાં આવ્યાં હતાં. એ વખતે ડૉ. સાંડેસરા મારા ઘરે ઊતર્યા હતા. એમની સરળ પ્રકૃતિનો ઘરમાં સૌને અનુભવ થયો હતો. તેઓ ઘરમાં એકલા પડે ત્યારે તરત પુસ્તક વાંચવા બેસી જતા. પોતાની પિત્ત પ્રકૃતિને કારણે ડૉ. સાંડેસરાને મરચાં વગરની મોળી રસોઈ જોઈતી. તેઓ એ બાબતમાં બહુ ચીવટવાળા હતા અને જ્યાં પણ જમવા જવાનું હોય ત્યાં અગાઉથી પોતાની મરચાં વગરની રસોઈ માટે સ્પષ્ટ સૂચના લખી દેતા. અમને પણ એ સૂચના અગાઉથી લખી હતી. એક વખત દિલ્હી યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપકના ઇન્ટરવ્યૂ માટે પસંદગી સમિતિમાં અમે સાથે હતા. તે વખતે પણ અમારે જેમને ત્યાં જમવા જવાનું હતું તેમને ડૉ. સાંડેસરાએ અગાઉથી પત્ર લખીને પોતાની રસોઈ અંગે સૂચના આપી દીધી હતી. ડૉ. સાંડેસરાને ભોજન પછી અડધો કલાક આડા પડવાની ટેવ હતી. જો તેમ ન કરે તો તેમની આંખો બળવા લાગતી. એક વખત મુંબઈમાં તેઓ મારા ઘરે જમવા આવ્યા હતા. ત્યારે બીજા મહેમાનો પણ જમનાર હતા. જમ્યા પછી બધા વાતોએ વળગ્યા. એમ કરતાં અડધા કલાક કરતાં વધુ સમય થઈ ગયો. ડૉ. સાંડેસરાએ તરત ઊભા થઈને મને કહ્યું, ‘રમણભાઈ, હવે આંખો બળવા લાગી છે. તમે બધાં વાતો કરો. હું અડધો કલાક આડો પડી લઉં.' એવી એક માન્યતા છે કે જે લેખકો વાંચન-લેખન માટે ઘણો પરિશ્રમ કરતા હોય અને સતત ચિંતન કરતા રહેતા હોય તેવા લેખકોને જ્ઞાનતંતુઓની નબળાઈને કા૨ણે બીજા માણસ કરતાં વધુ ઠંડી લાગે. આ માન્યતા સાચી હોય કે ન હોય, પરંતુ પંડિતયુગમાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું ઉદાહરણ તેમના જમાનામાં જાણીતું હતું. આપણા સમદર્શી વિવેચક સ્વ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને પણ ઘણી ઠંડી લાગતી અને તેઓ એ બાબતમાં ઘણી કાળજી રાખતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy