SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ વર્ષની ઉંમર થઈ ચૂકી છે. દેહ કેન્સરગ્રસ્ત બન્યો હોઈને હવે ગણતરીના દિવસો અને કલાકો બાકી રહ્યા છે. પથારીમાં સૂતાં સૂતાં જ શ્રી લક્ષ્મણભાઈને કોઈ સૂચના આપવી છે. દીકરી હેમા કે ભત્રીજો શ્રી ગુણવંતભાઈ કે પુત્રવધૂ શ્રીમતી સગુણાબહેનમાંથી જે કોઈ હાજર છે તે નોટબુક સાથે રાખીને, શ્રી લક્ષ્મણભાઈના હાથમાં પેન આપે છે. હંમેશની પેઠે લખવાનો પ્રયત્ન થાય છે પણ હવે અક્ષરો પાડવાનો પ્રયત્ન નિષ્ફળ બને છે. છેલ્લા કેટલાક દિવસોથી માંડમાંડ ઉકેલાતા અક્ષરોને આજે ઉકેલવા ત્રણે ખૂબ મથામણ કરે છે ! જે વ્યક્તિએ જીવનભર જૂની લિપિને ઉકેલવાનો યજ્ઞ કર્યો હતો તે જ વ્યક્તિના ખુદના અક્ષરોને આજે કટુંબીજનો ઉકેલવાની મથામણ કરે છે. છતાંય એ અક્ષરો વણઉકલ્યા જ રહે છે ! આ કેવી વિડંબના ! ઊંટવાળાની ગોદડી પર, પેલા રાજસ્થાનના રણમાં ખુલ્લી ખીણમાં નિશ્ચિત બનીને પેલો યુવાન જેમ તે રાત્રે પોઢી ગયેલો હતો તેવી જ રીતે ૭૦ વર્ષથી એક જ સૂરના તાનમાં મગ્ન બનેલ, મસ્ત બનેલ આતમરામ એ જ સૂરની સમાધિ લગાવીને ૮૭ વર્ષની ઉંમરે પોઢી ગયો. પેલી ગોદડી પર પોઢી ગયેલ યુવાન બીજે દિવસે બીજે ગામ પોતાની મંજિલ સૂંઢવા ચાલી નીકળેલો હતો તેવી જ રીતે, નિશ્ચિતતાથી પોઢી ગયેલ આ આતમરામ જાણે આ ક્ષીણ દેહ ચાલી શકે તેમ નહીં હોવાથી, પોતાનાં આદર્યા અધૂરાં પૂરાં કરવાને, પુનર્જન્મ માટે દૂર દૂર અનંતની યાત્રાએ હવે ચાલી નીકળ્યો છે. આવા, ખૂબ જ જાણીતા લિપિવિદ્ શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક (દાદા) સાથેનો મારો પરિચય તથા નિયમિત-અનિયમિત રીતે છેલ્લાં પાંચ વર્ષની એમની સાથેની મારી મુલાકાતો અને તે દરમિયાન થતી જ્ઞાનગોષ્ઠીઓ એ મારા જીવનનું ઘણું મોટું સદ્ભાગ્ય છે. ઈ. સ. ૧૯૮૦માં ગુજરાતી સાહિત્યમાં આત્મકથા : સ્વરૂપ અને વિકાસ' પરનો મારો મહાનિબંધ’ પરીક્ષણાર્થે મોકલાયો હતો. અવકાશના આ ગાળામાં મને હસ્તપ્રતલિપિ શીખવાનું મન થયું. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી (લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ) નામે ઓળખાતી સંસ્થામાં હું ગઈ. ઈન્ડોલોજીના શ્રી જેશિંગભાઈ (જેઓ ‘કાકાથી ઓળખાતા) પાસે પહેલી વાર લિપિ શીખી. શ્રી કનુભાઈ શેઠે (જેઓ “મામા'થી ઓળખાતા) ત્યારબાદ મને દશાર્ણભદ્ર સઝાયની ચાર પ્રતો આપી, પાઠભેદો તારવીને સંપાદન કરવાનું શીખવ્યું. ઇન્ડોલૉજીના ભોંયરામાં આમ જ્યારે હું લિપિ તથા સંપાદનનું કામ શીખી રહી હતી ત્યારે એક દિવસ મેં અમારા ટેબલથી દૂરના એક ટેબલ પર એક ભાઈને બેઠેલા જોયા. તે દિવસે તે સ્થળે પહેલી વાર હું એમને જોતી હતી. એ ટેબલની આસપાસ પુસ્તકોના કબાટો હતા. ટેબલ પણ હસ્તપ્રતો અને પુસ્તકોની ઊંચી થપ્પીઓથી ભરેલું હતું. દૂરથી પોથીને વીંટાળેલ લાલ કપડું પણ દેખાતું હતું. કુતુહલવશ મેં “મામાને પૂછયું : “પેલા ભાઈ કોણ છે ? અહીં શું કામ કરે છે ? આ પહેલાં તો મેં જોયા નથી એમને.” મારી પશ્નોત્તરીના જવાબમાં જણાવ્યું : “લો, એમને ઓળખતાં નથી ?! મુનિશ્રી પુણ્યવિજયજી સાથે એમણે કામ કર્યું છે. આપણી આ સંસ્થામાં તો તેઓ શરૂઆતથી જ છે – Senior most. તમે આજ સુધી ન જોયા તેનું કારણ તેઓ જ્ઞાનભંડારના કામ અંગે બહારગામ ગયેલા.” શ્રી લક્ષ્મણભાઈનો આ પ્રથમ પરિચય. એક વાર ટેબલ પરથી ઊભા થઈ, દાદર ચઢીને ઉપર જતાં મેં એમને જોયા. ટટ્ટાર ચાલ, સીધી નજર, ઊંચી દેહયષ્ટિ, પાછળથી જોતાં તો મારા પિતા જેવા જ દેખાય. આ હતું એમનું પહેલું સ્પષ્ટ દર્શન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy